- સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશિપની જાહેરાત
- સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
- યુવાનોને ટ્રેનિંગની સાથે 1 લાખનું મહેનતાણું મળશે
સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવાનો માટે એક મોટી યોજનાની જાહેરાત કરી છે. રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થામાં તેજસ્વી યુવાઓના ઇનોવેટીવ આઈડિયાઝ-વિચારોની ઊર્જાનો સમાવેશ થાય તે માટે ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ ની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કરેલ આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ માટે યુવાનોની અરજીઓના આધારે નિર્ણય લેવાશે. આ ફેલોશીપની સમાયાવધિ એક વર્ષની રાખવામાં આવી છે તેમજ આ સમય દરમિયાન ફેલો યુવાઓને માસિક રૂ. 1 લાખનું મહેનતાણું પણ સરકાર આપશે.
રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી પ્રોજેક્ટસના સફળ અમલીકરણમાં નવીનતા, અસરકારકતા અને ગુણવત્તા સુધારણા માટે આ ફેલો યુવાઓની જ્ઞાન સંપદાનો ઉપયોગ કરાશે. આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટસમાં મુખ્યત્વે પી.એમ. પોષણ યોજના, એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અને બ્લોક્સમાં આ યોજના અન્વયે અપાતા ભોજન-પોષણયુક્ત પદાર્થોનો વ્યય અટકાવવો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એનરોલમેન્ટ સુધારણા તથા વિજ્ઞાન અને ગણિત જેવા ગહન વિષયો પ્રત્યે રૂચી કેળવવા જેવી બાબતો આવરી લેવાઇ છે. આ ઉપરાંત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવો, નર્મદાના જળનો સિંચાઈ હેતુ માટે વ્યાપક અને મહત્તમ ઉપયોગ, હેરિટેજ, વાઇલ્ડ લાઇફ, બિચ ટુરીઝમને પ્રમોટ કરવા અને શહેરી તથા ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ તેમજ શહેરોમાં ઘન અને પ્રવાહી કચરાના રિસાયકલિંગના આયામો જેવા સેક્ટર્સ પણ ફેલો પ્રોગ્રામ અન્વયે આવરી લેવામાં આવશે.
સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામમાં વિશ્વ ખ્યાત મેનેજમેન્ટ સંસ્થાન IIM-અમદાવાદ એકેડેમિક પાર્ટનર તરીકે જોડાશે. IIM-અમદાવાદના ફેલોની પસંદગી અને તાલીમ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ અને કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. ફેલોશીપ માટે આવેલી અરજીઓ સાથેના વ્યક્તિગત આવેદનનાં મૂલ્યાંકન, અંતિમ પસંદગી માટે ઇન્ટરવ્યૂ તેમજ ત્યારબાદ ફેલો યુવાઓને તાલીમ માટે મેન્ટર તરીકે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ સેવાઓ આપવાની છે. એટલું જ નહીં, ફેલોના કાર્યકાળ દરમિયાન ફેલો દ્વારા કરવામાં આવેલ કામગીરીના ઇવેલ્યુએશનમાં પણ IIM, અમદાવાદના તજજ્ઞોનો સહયોગ લેવામાં આવશે અને કાર્યકાળ પૂર્ણ થયા પછી ફેલોને ગુજરાત સરકાર અને IIM, અમદાવાદ સંયુક્ત સર્ટિફિકેટ પણ આપશે.
રાજ્યના હોનહાર યુવાઓને એક વર્ષની આ ફેલોશીપથી રાજ્ય અને સમાજની સેવા માટે સક્રિય યોગદાન આપવાની તક ઉપલબ્ધ થવાની છે. ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’માં 60 કે તેથી વધુ ટકા સાથે સ્નાતક થયેલા અને 35 વર્ષથી ઓછી વયના ઉમેદવારોને તક અપાશે. આવા સી.એમ ફેલોને બે અઠવાડિયાની તાલીમ તેમજ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં બે સપ્તાહ ફિલ્ડ ટ્રેનિંગ આપશે. આવા સી.એમ. ફેલો યુવાઓ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો અંતર્ગત પ્રોજેક્ટસ હાથ ધરાશે. આ યુવાઓના ઇનોવેટિવ વિચારો, આગવું કૌશલ્ય તથા નવ યુવાઓની ઉર્જા-ચેતના સરકારના જનહિત કાર્યોમાં ઉપકારક બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારતની પ્રતિબદ્ધતાને ગુજરાતમાં વધુ વેગવંતા બનાવવાની નેમ સાથે આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ’ જાહેર કર્યો છે.