- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- સીએમ ભૂપેન્દ્ર પટેલની બેઠક
- ઉચ્ચ અધિકારીઓ સાથે કરી સમીક્ષા
અમદાવાદમાં 19 નવેમ્બરે ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવા જઈ રહી છે. આ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. ફાઈનલ પહેલા જ અમદાવાદ શહેરમાં મેચનો રોમાંચ નજરે જોઈ શકાય છે. અનેક મોટા સેલેબ્રિટીઝ પણ આ મેચમાં સામેલ થવા આવશે એવી જાણકારી સામે આવી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોનું માર્ગદર્શન આપ્યું હતું. આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો-મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચના આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના છે તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.
કેન્દ્ર સરકારના મંત્રીઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત મેચ જોવા આવનારા મહાનુભાવો માટેની સિક્યુરિટી અંગે પણ તેમણે મુખ્યમંત્રીને જાણકારી આપી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રિતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થયો હતો. પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર મલ્લિકે બેય ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત 4500થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી.


