- ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
- ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અસરકર્તા છે નિર્ણ
- શૈક્ષણિક વર્ષ 2023-24થી અમલી થશે નિયમો
ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઈને એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24થી થશે.
કેન્દ્રની મોદી સરકાર દ્વારા 2020માં લાવવામાં આવેલી ન્યુ એજ્યુકેશન પોલિસીના અન્વયે શિક્ષણ ક્ષેત્રે કેટલાક મહત્વના નિર્ણયો સીએમ ભૂપેન્દ્ર પટેલનીઅધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે જરૂરી ઠરાવો બહાર પડાયા છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવ રાજકુમાર તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને અન્ય વરિષ્ઠ સચિવો સામેલ થયા હતા.
આ મામલે ગુજરાત સરકાર દ્વારા જે મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યા છે તેમાં,
- ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન/જુલાઇ માસમાં યોજવા. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.
- ધો-10 માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પૂરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પૂરક પરીક્ષા લેવાશે.
- ધો-12 સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પૂરક પરીક્ષા લેવાશે.
- ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ 20 ટકા છે તેને બદલે 30 ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ 80 ટકાને બદલે 70 ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
- ધો-12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 50 ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ 2023-24 થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે આ મામલે જરૂરી ઠરાવો બહાર પાડ્યા છે.