શાળાઓના મહત્વને વધારવા શિક્ષણ પ્રણાલીમાં સરકાર લાવશે ધરખમ ફેરફાર
કોચિંગ કલાસના પ્રભુત્વને ડામવા લાગશે લગામ
કલાસીસ પર વધતી નિર્ભરતાને ગંભીર ચિંતાનો વિષય બન્યો : બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સરકારે રચેલી હાઇ લેવલ કમિટી દ્વારા પાંચ ભલામણો કરાઇ : સુચનથી બાળકો કોચિંગના અનંત ચક્રમાંથી બહાર આવશે
અગ્ર ગુજરાત, રાજકોટ
વર્તમાન સમયમાં શિક્ષણમાં બાળકો પર સફળતા અને અપેક્ષાઓનો બોઝ વધી ગયો છે અને તેના લીધે બાળકો ગંભીર બિમારી અને જીંદગી ટુંકાવી રહ્યાં છે ત્યારે આ ઘટનાઓ અટકાવવા સરકાર એકશનમાં આવી છે.
રાજકોટ સહિત રાજયભરમાં શાળાકીય શિક્ષણના ઘટતા મહત્વ અને કોચિંગ સંસ્થાઓ પર બાળકોની વધતી નિર્ભરતા એ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. વિદ્યાર્થીઓ શાળાઓને બદલે કોચિંગ સેન્ટરોને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે, જેના કારણે માત્ર શિક્ષણનું સંતુલન જ નથી બગડી રહ્યું, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગની એક હાઈ લેવલ કમિટીએ ક્રાંતિકારી ભલામણો રજૂ કરી છે.
શિક્ષણ વિભાગના સચિવ વિનીત જોશીના અધ્યક્ષપદ હેઠળની આ કમિટીમાં CBSE, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને IITના પ્રતિનિધિઓ સામેલ છે. કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાકીય શિક્ષણને મજબૂત બનાવવો અને બાળકોને કોચિંગના અનંત ચક્રમાંથી બહાર લાવવાનો છે.
હાઈ લેવલ કમિટીની આ ભલામણો જો અમલમાં આવશે, તો તે ભારતીય શિક્ષણ પ્રણાલી માટે એક ‘ટર્નિંગ પોઈન્ટ’ સાબિત થઈ શકે છે. કોચિંગના કલાકોને મર્યાદિત કરવા અને શાળાના અભ્યાસક્રમને આધુનિક બનાવવો એ માત્ર શિક્ષણની ગુણવત્તા સુધારવામાં જ મદદ કરશે નહીં, પરંતુ બાળકોના બાળપણને ‘કોચિંગના બોજ’ હેઠળ દબાતા પણ બચાવશે.
શિક્ષણનો વાસ્તવિક હેતુ માત્ર ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાનો નથી, પરંતુ એક વિકસિત મગજનું નિર્માણ કરવાનો છે. શાળાઓને તેમની ખોવાયેલી ગરિમા પાછી અપાવવી એ જ આ કમિટીનો મુખ્ય લક્ષ્ય છે.
કોચિંગના કલાકો પર મર્યાદા: દિવસમાં માત્ર 2-3 કલાક
કમિટીની ભલામણોમાં સૌથી મહત્વનો મુદ્દો બાળકોના કોચિંગ સેન્ટરમાં વિતાવેલા સમય અંગે છે. હાલમાં બાળકો શાળા પછી 6 થી 8 કલાક કોચિંગમાં વિતાવે છે, જે તેમના સર્વાંગી વિકાસમાં અવરોધરૂપ છે.
- ભલામણ: કમિટીએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વિદ્યાર્થી માટે કોચિંગનો સમય દિવસમાં 2 થી 3 કલાકથી વધુ ન હોવો જોઈએ.
- તર્ક: સમય મર્યાદિત કરવાથી વિદ્યાર્થીઓને સેલ્ફ સ્ટડી (સ્વ-અભ્યાસ), શાળાના કામ અને શારીરિક-માનસિક આરામ માટે પૂરતો સમય મળી રહેશે. આનાથી કોચિંગ સંસ્થાઓનું દબાણ ઘટશે અને વિદ્યાર્થીઓ તણાવમુક્ત થઈને અભ્યાસ કરી શકશે.
અભ્યાસક્રમમાં ફેરફાર: સ્કૂલ અને એન્ટ્રન્સ વચ્ચેનું અંતર ઘટશે
અવારનવાર જોવામાં આવે છે કે શાળાનો બોર્ડ સિલેબસ અને JEE-NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સ્તર અલગ-અલગ હોય છે. આ તફાવતને દૂર કરવા વિદ્યાર્થીઓ કોચિંગનો સહારો લે છે.
- એકીકૃત અભ્યાસક્રમ: કમિટીએ સૂચવ્યું છે કે ધોરણ 9 થી 12 ના અભ્યાસક્રમને એવી રીતે તૈયાર કરવો જોઈએ કે તે બોર્ડ શિક્ષણની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની જરૂરિયાતોને પણ પૂરી કરે.
- શાળામાં જ તૈયારી: જો શાળાઓમાં જ એન્ટ્રન્સ એક્ઝામના સ્તરનું શિક્ષણ આપવામાં આવશે, તો વિદ્યાર્થીઓને અલગથી મોટી ફી આપીને કોચિંગમાં જવાની જરૂર નહીં પડે. આનાથી શાળાઓ પર વિદ્યાર્થીઓનો વિશ્વાસ અને ફોકસ બંને વધશે.
ધોરણ 11મા થી જ શરૂ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ
સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણને ઘટાડવા માટે કમિટીએ એક નવો અને રસપ્રદ પ્રસ્તાવ મૂક્યો છે.
- વહેલો અનુભવ: ભલામણો અનુસાર, ધોરણ 12 દરમિયાન અથવા પછી લેવાતી પરીક્ષાઓના કેટલાક તબક્કા ધોરણ 11 થી જ શરૂ કરી દેવા જોઈએ.
- ફાયદો: આનાથી વિદ્યાર્થીઓ શરૂઆતના તબક્કે જ પોતાની તૈયારીની ઝીણવટભરી બાબતો સમજી શકશે. તેમને પોતાની ભૂલો સુધારવા માટે એક વર્ષનો વધારાનો સમય મળશે અને અંતિમ સમયે થતા ભારે તણાવમાંથી મુક્તિ મળશે.
બોર્ડ પરીક્ષાઓના મહત્વ પર ભાર
આજકાલ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓને માત્ર એક ‘ઔપચારિકતા’ માનવા લાગ્યા છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન માત્ર એન્ટ્રન્સ સ્કોર પર જ હોય છે. કમિટી આ વિચારધારા બદલવા માંગે છે.
- પરિણામોનું જોડાણ: કમિટીએ કહ્યું છે કે એન્ટ્રન્સ એક્ઝામ અને બોર્ડ એક્ઝામના પરિણામોને એકબીજા સાથે જોડવા અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.
- ભવિષ્યની સુરક્ષા: ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષાના ગુણને વેઇટેજ આપવું જોઈએ જેથી વિદ્યાર્થીનું આખું ભવિષ્ય માત્ર એક દિવસની સ્પર્ધાત્મક પરીક્ષા પર નિર્ભર ન રહે.
‘ડમી સ્કૂલ’ અને કોચિંગ કલ્ચર પર ગંભીર ચિંતા
કમિટીએ દેશમાં ઝડપથી વધી રહેલી ‘ડમી સ્કૂલ’ (જ્યાં વિદ્યાર્થીઓ માત્ર નામ પૂરતું એડમિશન લે છે પણ ભણવા કોચિંગમાં જાય છે) ના ચલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
- શૈક્ષણિક પતન: ‘ડમી સ્કૂલ’ અને મોટી કોચિંગ સંસ્થાઓ મળીને શાળા શિક્ષણના માળખાને ખોખલું કરી રહી છે. આનાથી વિદ્યાર્થીઓનો સામાજિક વિકાસ અને શિસ્ત પ્રભાવિત થાય છે.
- પારદર્શિતા: શિક્ષણ પ્રણાલીને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે નિયમો કડક કરવાની જરૂરિયાત જણાવવામાં આવી છે.


