નાણાકીય વર્ષના પ્રારંભે જ પ્રજાને આર્થિક બોઝ
કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ગંભીર અસર
વાણિજ્યક LPG બાટલાનો ભાવ રૂ.૨૨૪૬.૫૦ સુધી પહોંચ્યો: રેસ્ટોરન્ટ, હોટેલો, ખાણીપીણીના ધંધાર્થીઓને ફટકો
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને ખાસ કરીને વેપારી વર્ગ માટે માઠા સમાચાર આવ્યા છે. આજથી એટલે કે 1 એપ્રિલ, 2026થી દેશમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલું વપરાશના 14.2 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકારી તેલ કંપનીઓએ જાહેર કરેલા નવા દરો મુજબ, દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ₹195.50 નો વધારો થયો છે. કોલકાતામાં આ વધારો સૌથી વધુ ₹218 નોંધાયો છે. આ ભાવ વધારા પાછળનું મુખ્ય કારણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ (ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા તણાવ) અને તેના કારણે વૈશ્વિક ઓઈલ માર્કેટમાં સર્જાયેલી અસ્થિરતા હોવાનું માનવામાં આવે છે. ફેબ્રુઆરીના અંતથી અત્યાર સુધીમાં કાચા તેલની કિંમતોમાં લગભગ 50% નો ઉછાળો જોવા મળ્યો છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો ઝીંકાયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં અમદાવાદમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને આશરે ₹2100 થી ₹2130 ની આસપાસ પહોંચી ગયો છે. સુરત અને વડોદરામાં પણ ભાવમાં ₹190 થી ₹200 નો વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત હજુ પણ સ્થિર છે, જે શહેર મુજબ ₹920 થી ₹950 ની વચ્ચે છે.
શા માટે વધી રહ્યા છે ભાવ?
વૈશ્વિક બજારમાં ઊર્જા સંકટ ઘેરો બન્યો છે. ખાસ કરીને ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક અને વિનિમય દર (ડોલર સામે રૂપિયો) ના આધારે એટીએફ (ATF) અને એલપીજીના ભાવ નક્કી કરે છે. ગત મહિને પણ ઘરેલું સિલિન્ડરમાં ₹60 અને કોમર્શિયલ સિલિન્ડરમાં ₹144.5 નો વધારો કરવામાં આવ્યો હતો.
5 કિલોના FTL સિલિન્ડર પણ મોંઘા થયા
નાના વેપારીઓ અને શ્રમિકો માટે વપરાતા 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી (FTL) સિલિન્ડરના ભાવમાં પણ ₹51 નો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 23 માર્ચ 2026 થી અત્યાર સુધીમાં દેશભરના પરપ્રાંતીય મજૂરોને 3.2 લાખથી વધુ 5 કિલોના સિલિન્ડર વેચવામાં આવ્યા છે. મોંઘવારી વધવા છતાં સરકારનો દાવો છે કે ગેસની અછત (Dry-out) સર્જાઈ નથી.
સામાન્ય માણસ પર અસર
ભલે ઘરેલું ગેસના ભાવ વધ્યા નથી, પરંતુ કોમર્શિયલ ગેસ મોંઘો થવાથી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીની લારીઓ પર મળતો ખોરાક મોંઘો થઈ શકે છે. બહાર જમવું કે નાસ્તો કરવો હવે સામાન્ય માણસના ખિસ્સા પર વધુ બોજ નાખશે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં દિલ્હીમાં અનુક્રમે ₹94.72 અને ₹87.62 પર સ્થિર છે, જે એકમાત્ર આશ્વાસન છે.


