- જો માવઠું થાય તો ખેતરોમાં પાણી ભરાય તો બટાકા જેવા પાકને નુકસાનની ભીતિ
- જિલ્લામાં અગાઉ પણ કમોસમી વરસાદના કારણે એરંડાની ઊપજમાં ઘટાડો થયો હતો
- આકાશમાં વાદળછાયા વાતાવરણને પગલે ખેડુતોમાં ચિંતાના વાદળો છવાયા
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી માવઠાને કારણે ખેડુતોને થયેલ નુકશાન સંદર્ભે સહાય ન મળતા ખેડૂતો નારાજગી પ્રવર્તિ રહી છે. ત્યારે છેલ્લા બે દિવસથી ફરીથી આકાશમાં વાદળછાયા વાતાવરણને પગલે ખેડુતોમાં ચિંતાના વાદળો છવાયા હતા.અને ફરીથી માવઠુ થાય તો તૈયાર પાકને અને ખેતરમાં પાણી ભરાવાથી બટાકા જેવા પાકનુ નિકંદન નીકળી જવાના ભયથી ચિતિંત બન્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી આકાશમાં વાદળછાયા વાતાવરણને પગલે ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. અગાઉ પણ જિલ્લા ગ્રામ્યમાં કમોસમી વરસાદના કારણે અરંડાના ઉત્પાદનમાં ઘટાડો થયાનુ અને કેટલાકને પાકમાં રોગ આવતા ઉત્પાદન ઘટતાં નુકશાન વેઠવુ પડયુ છે. ત્યારે રવિવારે સવારથી જ બનાસકાંઠા જિલ્લા ગ્રામ્યમાં આકાશમાં વાદળો છવાતા ઠંડીનુ પ્રમાણ વધ્યુ હતુ. અને વાદળો વિખેરાતા ઠંડીનુ માર પ્રમાણ વધવાની સંભાવના છે. ત્યારે બીજી તરફ ખાનગી વ્યક્તિઓ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ આ બાબતે તંત્ર દ્વારા અગમચેતી અંગે કોઈ સુચના આપવામાં આવી નથી. જોકે બે દિવસથી આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે.


