પાસપોર્ટ કબ્જે લેવાયો : મોરબી જિલ્લાની હદમાં નહી પ્રવેશવાની શરત
મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપી ઓરેવાના સીએમડી જયસુખ પટેલની ધરપકડ થઇ હતી. તેનો સુપ્રિમ કોર્ટના આદેશથી છુટકારો થયો છે. પરંતુ તેને શરતી જામીન અપાયા છે. જે મુજબ તેમને મોરબી જિલ્લાની હદમાં પ્રવેશવાનું નથી. આ ઉપરાંત તેમનો પાસપોર્ટ વગેરે પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ઝુલતો પુલ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા આજે મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. જેમાં સરકારી વકીલે સમગ્ર ઘટનાક્રમ અંગે કોર્ટમાં જાણકારી આપી હતી. તેમજ આરોપી ત્રણ માસ સુધી ફરાર રહ્યા હતા સહિતની દલીલો રજુ કરી હતી. જયારે બચાવપક્ષના એડવોકેટ દ્વારા પણ દલીલો રજુ કરવામાં આવી હતી. બંને પક્ષની દલીલો ધ્યાને લઇને કોર્ટે શરતી જામીન મંજુર કર્યા હતાં.
જેમાં આરોપી જયસુખભાઇ પટેલને એક લાખના જામીન લેવા, તેઓને પોતાનું રેસીડેન્સીયલ પ્રુફ આપવું કે તેઓ કયાં રહે છે અને તેમાં ફેરફાર થતા કોર્ટમાં જાણ કરવાની રહેશે. આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઇ પ્રયત્ન કરવા, પાસપોર્ટ હોય તો સરન્ડર કરવાનો રહેશે તેઓને ભારત બહાર જવું હોય તો કોર્ટમાંથી પરવાનગી લઇને જવાનું રહેશે. સૌથી મહત્વની શરત જયસુખભાઇ પટેલ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહી. તેઓ કોર્ટ મુદત સિવાય મોરબી જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને મોરબી જિલ્લાની હદ બહાર રહેવાનું રહેશે. તેવી માહિતી સરકારી વકીલ વિજયભાઇ સી. જાનીએ આપી હતી.