- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે અમેરિકા જશે
- રાહુલ ગાંધી ત્યાં ભારતીય મૂળના લોકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, થિંક ટેન્ક અને સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરશે
- રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીમાં રહેશે
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતા અઠવાડિયે અમેરિકાના પ્રવાસે જવાના છે. આ પદ પર નિયુક્ત થયા બાદ આ તેમની પહેલી મુલાકાત હશે. આ મુલાકાતનો હેતુ ભારતીય મૂળના લોકો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ, થિંક ટેન્ક અને સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરવાનો છે. કોંગ્રેસના ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સૈમ પિત્રોદાએ આ પ્રવાસની માહિતી શેર કરી છે.
રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરે અમેરિકાના ડલ્લાસ શહેર પહોંચશે, જ્યાં તે ટેક્સાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરશે. આ સિવાય રાહુલ ગાંધી સ્થાનિક ભારતીય સમુદાય અને કેટલાક ટેકનિકલ નિષ્ણાતોને પણ મળશે. ડલ્લાસમાં તેમનો કાર્યક્રમ રાત્રિભોજન સાથે સમાપ્ત થશે જેમાં તેઓ સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરશે.
ચૂંટણીના માહોલ વચ્ચે પ્રવાસ
9 અને 10 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં હશે, જ્યાં તે વિવિધ લોકો સાથે વાતચીત કરશે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો માહોલ છે.
ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સૈૈમ પિત્રોદાએ રાહુલ ગાંધીની આગામી અમેરિકા મુલાકાત વિશે માહિતી શેર કરી છે. તેમને કહ્યું કે રાહુલ સપ્ટેમ્બરના રોજ ડલ્લાસ, ટેક્સાસ અને 9 અને 10 સપ્ટેમ્બરે વોશિંગ્ટન ડીસીની મુલાકાત લેશે. તેમને વધુમાં કહ્યું, ‘આપણા એનઆરઆઈ ભાઈઓ અને બહેનો, ટેકનોક્રેટ્સ, બિઝનેસ લીડર્સ, વિદ્યાર્થીઓ, મીડિયા બિરાદરીઓ અને રાજકીય નેતાઓ સહિત ભારતીય પ્રવાસી સમુદાય રાહુલ ગાંધીનું સ્વાગત કરવા અને તેમની સાથે વાતચીત કરવા આતુર છે.’
શા માટે ખાસ ગણવામાં આવે છે આ પ્રવાસ?
રાહુલ ગાંધીની આ મુલાકાત ભારતીય સમુદાય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં રહેતા ભારતીયો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પહેલા તે ગયા વર્ષે જૂનમાં યુએસ ગયા હતા, જ્યાં તેમણે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. તે સમયે તેમને પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને ભારતીય સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી.
વિપક્ષના નેતા તરીકે નિયુક્ત થયા બાદ પહેલો વિદેશ પ્રવાસ
આ મુલાકાતનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કે તાજેતરમાં જ રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 2014 થી 2024 સુધી આ પદ પર કોઈ નેતા ન હતા, કારણ કે વિરોધ પક્ષો પાસે પૂરતા સાંસદો ન હતા. પરંતુ તાજેતરની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકોની સંખ્યામાં વધારો થતાં રાહુલ ગાંધીને આ પદ મળ્યું છે.
રાહુલ ગાંધીની આ મુલાકાતથી ભારતીય સમુદાયને આશા છે કે તે તેમની સમસ્યાઓ અને ચિંતાઓ સાંભળશે અને તેમના માટે કેટલાક નક્કર પગલાં ભરવાનું આશ્વાસન આપશે. આ મુલાકાત માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ ભારતીય ડાયસ્પોરા માટે રાહુલ ગાંધી સમક્ષ તેમના મંતવ્યો અને મુદ્દાઓ સીધા રજૂ કરવાની તક પણ છે.


