બોટીંગ માટે તળાવમાંથી ગાંડી વેલ દૂર કરાશે : પાર્કને ડેવલોપ કરવા વિવિધ પ્રોજેકટો શરૂ થશે
રાજકોટ નજીક આવેલ કલેક્ટર કચેરી હસ્તકના ઈશ્વરીયા પાર્કને ડેવલપ કરવા માટે કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં એક માત્ર ઈશ્વરીયા પાર્કમાં જ બોટીંગ કરવામાં આવે છે. જેમાં અત્યારે તળાવમાં પાણી નહીવત હોવાથી અને ગાંડી વેલનું સામ્રાજ્ય પથરાયું હોવાથી બંધ હાલતમાં છે. બોટીંગ ચાલુ કરવા માટે ગાંડીવેલને દૂર કરવા મહાપાલિકા સાથે કામગીરી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ૭૭ એકરમાં બનાવવામાં આવેલ ઈશ્વરીયા પાર્કના નવીનીકા પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી નવા પ્રોજેક્ટની ફિઝીબીલીટી ચકાસવામાં આવી હતી.
ઈશ્વરીયા પાર્કમાં તળાવ ફરતે વોક-વે બનાવવામાં આવશે. તેમજ કેટર્સ ગાર્ડન બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે જમીનની પસંદગી કરવામાં આવશે. પાર્કમાં પર્યટક વધારવા માટે અત્યારે હરવા-ફરવા આવનાર મુસાફરોને ખાણી-પીણીની તકલીફ પડી રહી છે. અત્યારે માત્ર એક જ કેન્ટીન જેવી વ્યવસ્થા છે તેના બદલે ફૂડકોર્ટ શરૂ કરવાની વિચારણા છે.
આ ઉપરાંત વર્તમાન ટિકીટના દર છે. તેમાં પણ ઘટાડો કરવાનું પ્લાનીંગ થઈ રહ્યું છે. તેમજ ગાર્ડનમાં ફુવારાને અપગ્રેડ કરવામાં આવશે અને વધારાના હિચકા, લપસીયા પણ નાંખવામાં આવશે. વન વિભાગને સાથે રાખી વન ચેતના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. બાજુમાં સાયન્સ સીટી આવેલ હોવાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રની શાળાના બાળકો આખો દિવસ સાયન્સ સીટીની મુલાકાત કર્યા બાદ પાર્કમાં રાતવાસો કરવા માટે ટેન્ટ ઉભા કરવામાં આવશે.


