- સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોની જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી
- રેશનકાર્ડધારકોને અનાજ ઉપરાંત તેલ અને તુવેરદાળની સાથે ખાંડ પણ આપવામાં આવનાર છે
- સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ઓગસ્ટ માસમાં સાતમ આઠમના તહેવારો આવે છે. ત્યારે તહેવારોને ધ્યાને લઈ સસ્તા અનાજનો પુરવઠો સમય મર્યાદામાં મળે તે માટે સસ્તા અનાજના દુકાનદારોએ જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી કાલને ગુરૂવારથી ઓગસ્ટ માસ શરૂ થઈ રહ્યો છે. ત્યારે ઓગસ્ટ માસના અંતમાં તા. 25 અને 26ના રોજ સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે. ઝાલાવાડમાં સાતમ આઠમના તહેવારોનું ભારે મહત્વ રહેલુ છે. ત્યારે તહેવારોને ધ્યાને લઈ સસ્તા અનાજનો પુરવઠો દુકાનદારોને સમય મર્યાદામાં મળે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા ફેર પ્રાઈઝ એસોસિયેશન દ્વારા મંગળવારે જિલ્લા પુરવઠા અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. એસોસિયેશનના પ્રમુખ નારણભાઈ ચાવડા, ઉપપ્રમુખ ધનજીભાઈ પરમાર સહિતનાઓએ રજૂઆત કરતા જણાવ્યુ કે, ઓગસ્ટ માસ માટેના પૈસા સસ્તા અનાજના દુકાનદારોએ ભરી દીધા છે. બીજી તરફ તુવેરદાળ સહિતનો માલ હજુ સુધી ગોડાઉનમાં આવ્યો નથી. તહેવાર નિમિત્તે આ મહિને વધારાની એક કિલો ખાંડ આપવામાં આવનાર છે. ત્યારે સમય મર્યાદામાં અનાજ, તેલ, તુવેરદાળ, ખાંડ મળી રહે તે માટે કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યુ છે. જેથી તહેવારના દિવસોમાં છેલ્લી ઘડીએ દુકાનદારોને ગ્રાહકો સાથે ઘર્ષણમાં ન ઉતરવુ પડે અને ગ્રાહકો તથા દુકાનદારો પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવી શકે.


