કવિ કુલગુરુ કાલિદાસ રચિત `રઘુવંશ’માં દર્શાવાયું છે કે શૈશવ કાળમાં રઘુએ ચાર વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. એમાં એક વિદ્યાનું નામ છે આન્વીક્ષિકી વિદ્યા. બીજી વિદ્યાનું નામ છે ત્રયી. ત્રીજી વિદ્યાનું નામ છે વાર્તા અને ચોથી વિદ્યાનું નામ છે દંડનીતિ. આ ચારેયની આજે ભારતને અને સુંદર પૃથ્વીને જરૂર છે. આ સુંદર રમણીય વસુંધરામાં ચારેચાર વિદ્યા વધારે ને વધારે સ્થાપિત થવી જોઈએ. `રઘુવંશ’ કથિત પહેલી વિદ્યા છે આન્વીક્ષિકી. આન્વીક્ષિકી વિદ્યાનો એક અર્થ થાય છે કે એ વિદ્યાધર, એ વિદ્યા પ્રાપ્ત કરનારો એવો માણસ હોય કે જેની એક આંખમાં તેજ હોય અને એક આંખમાં કરુણા હોય. આ વિદ્યાનો બહુ સીધો, આપણે સમજી શકીએ એવો અર્થ છે. જેની આંખમાં તેજ હોય; પણ આ તેજ તપાવે એવું નહીં, આપણને પ્રકાશિત કરે, જેથી કરીને આપણે સામાવાળાની કરુણાને અનુભવી શકીએ. એક એવું પ્રતાપી તેજ જે મને ને તમને થોડાક અંદરથી ઉઘાડે. એવી બે આંખો આપણને મળે; એવી કોઈ વિદ્યા આપણને મળે; એવી વિદ્યા આપણા દેશને મળે; આપણી પૃથ્વીને મળે કે આપણને ઉષ્ણ ન કરે, પણ આપણી ઊર્જાને જાગ્રત કરે. એ સૂર્યનું તેજ હોય તો પણ ચંદ્ર જેવું હોવું જોઈએ. આ ધરતી ઉપર જેટલા જેટલા બુદ્ધપુરુષો થયા છે એ બધાની પાસે આન્વીક્ષિકી વિદ્યા હતી. ક્યારેક કોઈ મહાપુરુષોએ એને ઔપનિષદીય વિદ્યા પણ કહી છે. સૌના એક સત્યને જોવાના જુદા જુદા માર્ગો છે, દૃષ્ટિકોણ છે, પણ અહીંયાં એવી કોઈ બે આંખો આપણને જુએ એવી એક વિદ્યા; મેલી વિદ્યા નહીં. આપણે ત્યાં એક શબ્દ છે `મેલી વિદ્યા.’ એકવીસમી સદી મેલી વિદ્યા માટે નથી. ખોટા પરચા ઊભા કરે એના માટે એકવીસમી સદી નથી. ખોટા ચમત્કારો નિર્માણ કરે એના માટે એકવીસમી સદી નથી. એકવીસમી સદી છે આન્વીક્ષિકી વિદ્યા માટે.
રઘુવંશની ચર્ચા કરતાં કરતાં ગોસ્વામીજી કહે છે, પરમાત્મા રઘુકુળનું એવું ભૂષણ છે, રઘુકુળનું એવું ઘરેણું છે, એ દૂષણનો નાશ કરે છે. આપણે ત્યાં છ વિકારો છે – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, પણ અહીંયાં જે દૂષણને નષ્ટ કરે છે એ કયાં દૂષણ? મારા ગુરુમુખી અધ્યયનની વાત કરું તો એ મને કહેવામાં આવેલું કે એ દૂષણ બે જ છે, એક ઈર્ષ્યા અને બીજો દ્વેષ. રઘુવંશના ભૂષણ ભગવાન રામ એવું પરમ તત્ત્વ છે કે આપણામાંથી દ્વેષ અને ઈર્ષ્યાનો નાશ કરે. કામનો બહુ નાશ કરવાની વાત નથી. કામ એ તો એક પ્રકૃતિ છે. એની સમ્યકતા હોવી જોઈએ. બાકી એના વગર આ દુનિયા કંઈ ચાલે નહીં. ક્રોધને પિત્ત કહ્યો છે, પણ પિત્તપ્રકોપ ન થાય તો શરીરની તંદુરસ્તી માટે પિત્ત સારો છે. આયુર્વેદમાં એમ કહે વાત, પિત્ત, કફ ત્રણેય સમ્યકરૂપે માણસના શરીરમાં હોય તો માણસ તંદુરસ્ત રહે, પણ એનો પ્રકોપ થાય ત્યારે આપણે રોગી બનીએ.
દૂષણનો અર્થ છે ઈર્ષ્યા અને દ્વેષ. આપણા કરતાં કોઈક જરાક કોઈ પણ ક્ષેત્રમાં ઊંચો ઊભો થાય એટલે નેટવર્કો શરૂ થઈ જાય; ષડ્યંત્રો શરૂ થઈ જાય! કારણ કે દ્વેષ અને ઈર્ષ્યા ષડ્યંત્ર રચાવ્યા વગર ન રહે. આ દ્વેષ જેટલો ઓછો થાય એટલું આપણું જીવન ધન્ય બનશે. ઘણા માણસો દેશ છોડી દે, દ્વેષ ન છોડી શકે! અને મને ગમે કે સત્તા હોય એ માણસને દેશનિકાલ કરે, પણ સત્ હોય એ માણસને દ્વેષમુક્ત કરે. કેવો દ્વેષ લોકોની અંદર જાગે છે! કોઈ કોઈનો ઉત્કર્ષ જોઈ શકતું નથી! કોઈ કોઈને દાદ આપી શકતા નથી! દ્વેષ તો મોટાં ષડ્યંત્રો રચે છે કે કોની દોરી કાપવી! હા, આ માનસિક રોગ પણ છે અને શારીરિક રોગ પણ છે. આનાં ગૂમડાં એવાં છે કે એની દવા નથી! અને પાછું દવાખાનામાં ડોક્ટરો જ બીમાર હોય તો શું કરવું? ધર્મજગત પણ આનાથી પીડાય છે!
નિંદા જીભથી થાય અને ઈર્ષ્યા અને દ્વેષ જીવથી થાય. ખબર ન પડે! આ સમજી લીધું એણે તો કોઈ દિવસ કોઈનો દ્વેષ કર્યો નથી. એણે તો માણસોના દ્વેષને દેશનિકાલ કર્યો છે, પણ બહુ જ કઠિન છે. નિષ્કુળાનંદ સ્વામી કહે,
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના,
કરીએ કોટિ ઉપાય જી.
અંતર ઊંડી ઈચ્છા રહે,
તે કેમ કરીને તજાય જી.
વેશ લીધો વૈરાગનો,
દેશ રહી ગયો દૂર જી;
ઉપર વેશ અચ્છો બન્યો,
માંહી મોહ ભરપૂર જી.
અંદર તો કેટલા આપણા અભરખા હોય છે! જેનામાં વૈરાગ્યરસ આવ્યો એના તમામ રસ ફિક્કા પડી જાય, પણ દ્વેષ અને ઈર્ષ્યા આવે છે ત્યારે ષડ્યંત્રો રચાય છે.
બીજી વિદ્યા છે ત્રયી. ત્રયીનો એક અર્થ એવો પણ મળે છે ભાષ્યકારો પાસેથી કે ત્રયી એટલે ત્રણ વેદ. આન્વીક્ષિકી વિદ્યાનો એક અર્થ એવો પણ મળે છે કે પ્રયોગ કરેલું વિજ્ઞાન. પ્રયોગથી પરિણામ પામેલું વિજ્ઞાન. આ વિદ્યા આપણે ત્યાં હોવી જોઈએ. વિજ્ઞાન હોવું જોઈએ, વિજ્ઞાનનું શિક્ષણ હોવું જોઈએ, જે વિજ્ઞાન સંવેદન ચૂકે નહીં એવું વિજ્ઞાન હોવું જોઈએ. ગાંધીજી કહેતા કે સંવેદન વગરનું વિજ્ઞાન એ સામાજિક પાપ છે. શિક્ષણમાં વિજ્ઞાન છે જ આજે, પણ એની સાથોસાથ ત્રયી એક બીજો વિષય પણ હોવો જોઈએ અને તે વેદવિદ્યા. વેદવિદ્યા એટલે વેદનાને બરકરાર રાખતી, સંવેદનાને સતત પ્રગટાવતી વિદ્યા. આ ત્રયીનો મારે તલગાજરડી અર્થ કરવો હોય તો હું એમ કહું મારી જવાબદારીએ કે ત્રણ વિદ્યા હતી, સત્ય, પ્રેમ અને કરુણા. એ ત્રયી હતું. મારે મારા માટે પ્રસ્થાનત્રયી જ આ છે. જેટલી માત્રામાં થઈ શકે એટલું આ પ્રસ્થાન કરીએ, આના ઉપર ચાલીએ તો આપણો બેડો પાર.
ત્રીજી વિદ્યાનું નામ છે વાર્તા. `વાર્તા એટલે સંવાદ. વિગ્રહ ન કરવો, વાતચીત કરવી. રાજાઓ માટે પણ ઉપયોગી છે. સીધું લડી ન પડવું. પહેલાં વાતચીત માંડવી. વિગ્રહ નહીં, વાર્તા, સંધિ, સંવાદ. આ `માનસ’ તો કથા જ સંવાદની છે. અહીં વિવાદ છે જ નહીં. કારણ વગર તમે ઊભા કરો તો વાત જુદી છે! રાવણે આટલું આટલું કર્યું છતાંય રામ વાર્તાનો પક્ષ લે છે કે હે અંગદ, રાજદૂતના રૂપમાં તું જા અને રાવણને સમજાવ. જો સંવાદ સિદ્ધ થાય તો આપણે સંઘર્ષ નથી કરવો. આ સંવાદની પ્રસ્થાપના `રામચરિતમાનસે’ કરી. આ વાર્તા વસ્તુ જ એવી છે, બધાને ભેગા કરે. તો ત્રીજી વિદ્યા છે વાર્તા અને ચોથી વિદ્યા રઘુ ભણ્યા રઘુ વંશમાં એ છે દંડનીતિ. રઘુને શીખવ્યું હતું કે તું કાલે રાજા બનીશ. દિલીપના કુળમાં યુવરાજપદ તને મળશે. એટલે અત્યારથી તું આ ચોથી વિદ્યા શીખી લે દંડનીતિ. દંડને નીતિ કહી છે. આપણે ત્યાં જે સામ, દામ, દંડ, ભેદની વાતો છે એને નીતિ કહી છે; અનીતિ નથી કહી. દંડ અનીતિકારક ન હોય; દંડ નીતિકારક હોય. હા, જરૂરી છે, નહીંતર દુનિયા સચવાય નહીં. કોઈ ગુના કરે તો દંડ એને મળવો જોઈએ, પણ જે દંડ આપે એના ચિત્તમાં દ્વેષ ન હોવો જોઈએ. દ્વેષમુક્ત ચિત્તથી દંડ અપાય. તો ચાર પ્રકારની વિદ્યા રઘુવંશનું મોટું યોગદાન છે.


