મનોજ પનારાએ પોલીસ ફરિયાદ નોંધાવી : કાજલ માફી નહી માંગે તો ગુજરાતભરના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી
પોતાની બેબાક વાણી માટે જાણીતી થયેલી કાજલ હિન્દુસ્તાનીએ મોરબીમાં પાટીદાર સમાજની દિકરીઓની સ્વચ્છંદી જીવનશૈલી અંગે જાહેરમાં કરેલા વિવાદીત વિધાન સામે પાટીદાર સમાજના અગ્રણીઓ ભડકી ઉઠયા છે. ભૂતકાળમાં પાસના કન્વીનર તરીકે રહેલા પાટીદાર અગ્રણી મનોજ પનારાએ આજે તેમના ટેકેદારો સાથે મોરબી પોલીસને એક નિવેદન આપી કાજલ હિન્દુસ્તાનીને તેમના વિધાનો પાછા ખેંચી માફી માંગવાની માંગણી કરી હતી.
જો કાજલ હિન્દુસ્તાની તેના વિધાનો અંગે માફી નહી માંગે તો પાટીદાર સમાજ સમગ્ર ગુજરાતમાં કાજલ હિન્દુસ્તાની સામે મોરબીના વિધાનો અંગે માફી માંગવાની શરત સાથે એફઆઇઆર નોંધાવશે. વિવાદાસ્પદ નિવેદન કરનાર કાજલ હિન્દુસ્તાનીનો આ મામલે હજુ કોઇ જવાબ આવ્યો નથી. કાજલ હિન્દુસ્તાની અનેક સ્થળે હિન્દુ સમાજના જાગરણનું કામ કરે છે.
મોરબીના પ્રવચનમાં તેમણે મોરબીના પાટીદાર સમાજની દિકરીઓની સ્વચ્છંદી જીંદગી અંગે જે વિધાનો કર્યા તેના વીડિયો વાયરલ થયા હતા. સોશિયલ મીડિયામાં કાજલ હીન્દુસ્તાનીની આ વાત સાંભળી પાટીદાર સમાજના લોકો ચોંકી ઉઠયા હતા. તેમણે કાજલ હિન્દુસ્તાનીની આ વાતનો વિરોધ કરી માફી માંગી લેવા પોલીસમાં ફરિયાદ કરતાં વિવાદ થયો છે.