- ઈદગાહને લઈને ચાલી રહેલા જમીન વિવાદ પર મહત્વનો ચુકાદો
- ઇદગાહ સંકુલના સર્વેક્ષણ પર લાદવામાં આવેલ સ્ટે ઓર્ડર યથાવત રહેશે
- અરજી પર વધુ સુનાવણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે
સુપ્રીમ કોર્ટે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા અને તેની બાજુમાં બનેલી ઈદગાહને લઈને ચાલી રહેલા જમીન વિવાદ પર આજે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે ઇદગાહ સંકુલના સર્વેક્ષણ પર લાદવામાં આવેલ સ્ટે ઓર્ડર યથાવત રહેશે. કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું કે મેનેજમેન્ટ ટ્રસ્ટ શાહી મસ્જિદ ઇદગાહની સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર વધુ સુનાવણી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.
આગામી ત્રણ મહિનામાં તમામ દલીલો રજૂ કરવા સૂચન
મથુરાના બહુચર્ચિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદની સુનાવણી કરી રહેલી સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું છે કે, જ્યાં પણ હાઈકોર્ટ દ્વારા વચગાળાના આદેશો આપવામાં આવ્યા છે, તે સર્વોચ્ચ અદાલતના અંતિમ નિર્ણય સુધી અસરકારક રહેશે. કોર્ટ એપ્રિલ, 2024 માં કેસને ફરીથી સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ કરતી વખતે, અદાલતે કેસમાં સામેલ તમામ પક્ષોને આગામી અંદાજિત ત્રણ મહિનામાં દલીલો પૂર્ણ કરવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મંદિર સંબંધિત તમામ અરજીઓની સુનાવણી એપ્રિલમાં એકસાથે કરવામાં આવશે. જણાવી દઈએ કે, 16 જાન્યુઆરીએ આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટે 14 ડિસેમ્બર, 2023ના રોજ આપેલા તેના આદેશમાં કહ્યું હતું કે શાહી ઈદગાહ મસ્જિદ સંકુલનો સર્વે કોર્ટની દેખરેખ હેઠળ કરવામાં આવે. સર્વેની દેખરેખ માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કેસમાં સામેલ હિંદુ પક્ષકારોની દલીલ છે કે મસ્જિદ પરિસરમાં અનેક નિશાનીઓ છે, જે સાબિત કરે છે કે તે ઈતિહાસમાં મંદિર હતું.
સ્ટે ઓર્ડર યથાવત રાખવાના આદેશ સિવાય સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટમાં પેન્ડિંગ ટાઈટલ સૂટ પર સુનાવણી ચાલુ રહેશે. કોર્ટે કહ્યું કે સિવિલ પ્રોસિજર કોડ (CPC)ના ઓર્ડર 7 નિયમ 11 હેઠળ હાઈકોર્ટમાં જમીન વિવાદ પર સુનાવણી ચાલુ રહેશે. કોર્ટે હિંદુ પક્ષકારોને મસ્જિદ સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે.


