- યુપીએ સરકારમાં જે નુકસાન થયું તે સંકટને એનડીએ સરકારે પાર પાડ્યુ
- UPA કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેંકો સંકટમાં આવી
- UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવામાં નિષફળ રહી
સુરતમાં લોકસભામાં રજૂ થયેલ શ્વેત પત્ર બાબતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશે પત્રકાર પરિષદ યોજી હતી. સી. આર. પાટીલે, કોંગ્રેસ શાસનની નાકામી દર્શાવી હતી અને મોદી સરકારમાં થયેલા કામો રજુ કર્યા હતાં. આ પત્રકાર પરિષદમાં ગૃહ મંત્રી હર્ષ સંઘીવી, મંત્રી મુકેશ પટેલ સહિત ધારાસભ્યો તેમજ શહેર ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
એનડીએની સરકારે 54.9 હજાર કિલોમીટરના હાઈ-વે બનાવ્યા
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, 2004 થી 2014 સુધીમાં યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ નબળી પડી તેમાં શ્વેત પત્ર મુકવામાં આવ્યું છે. સરકારમાં જે નુકસાન થયું છે, તે સંકટને એનડીએ સરકારે મોદીજીના નેતૃત્વમાં પાર કર્યો છે. UPA કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેંકો સંકટમાં આવી હતી. UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવામાં નિષ્ફળ રહી છે. UPA સરકારમાં 5 વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી. NDA સરકારે આ તમામ સંકટ પાર કર્યા છે. મોદી સાહેબે દેશની કમાન સાંભળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ કટોકટીમાં હતી. એનડીએની સરકારે 2015 થી 2023 સુધીમાં 54.9 હજાર કિલોમીટરનો હાઇવે બનાવ્યા છે.
મોદી સરકારમાં સરેરાશ 20 કલાક વીજળી મળે છે
વધુમાં પાટીલે જણાવ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળી 12 કલાક મળતી હતી, હવે મોદી સરકારમાં સરેરાશ 20 કલાક વીજળી મળે છે. કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન 85.1 ટકા હતું. મોદી સરકારમાં 100 ટકા ઉત્પાદન થઈ રહ્યું છે. ભાજપની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂરા કરવામાં આવ્યાં છે. મોદી સાહેબના સમયમાં રોડથી માંડીને જે અલગ-અલગ જરૂરિયાત પૂર્ણ થઈ તે અકલ્પનીય છે.
પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 10 લાખ લોકો જોડાયા
ગુજરાત ભાજપે એક રેકોર્ડ કર્યો છે, જેમાં એક પણ લોકસભાના સભ્યની જાહેરાત કર્યા વગર તામામ લોકસભા કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે. દેશ કે દુનિયાના કોઈપણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં 10 લાખ લોકો એક સાથે જોડાય તેવું નથી બન્યું, આ માત્ર મોદીની લોકચાહના છે.


