અત્યારે આ ગ્રહ પર સૌથી મોટી સમસ્યા આ છે: જો તમારા જીવનમાં નાની વસ્તુઓ ખોટી રીતે થાય, તો તમે વિચારો છો કે તમારા દુ:ખ માટે કોઈ બીજું જવાબદાર છે. જો તમારા જીવનમાં મોટી વસ્તુઓ ખોટી રીતે થાય, તો તમે વિચારો છો કે ભગવાન જવાબદાર છે. તમે પોતે કોઈ પણ વસ્તુ માટે જવાબદાર હોવ એવું લાગતું નથી.
સમસ્યા એ છે કે તમે એક ગોળ ગ્રહ પર છો અને તે ફરી રહ્યો છે. બ્રહ્માંડમાં ક્યાંય એવું લખ્યું નથી કે `આ ઉપરની દિશા છે.’ જો તમને ખબર જ ન હોય કે કઈ દિશા ઉપરની છે, તો તમે અનિવાર્યપણે ખોટી દિશામાં ઉપર જોઈ રહ્યા છો. કેવી રીતે `ઉપર’ કોઈક વસ્તુ તમે શું છો તેના માટે જવાબદાર છે? હવે સમય આવી ગયો છે કે આપણે આ જવાબદારી લઈએ – પછી આપણે આપણાથી થાય તેટલું શ્રેષ્ઠ કરી શકીએ છીએ.
આ સંસ્કૃતિમાં હંમેશાં તમને કહેવામાં આવ્યું છે, `તમારું જીવન તમારું કર્મ છે.’ કર્મને સામાન્ય રીતે સજા કે ઇનામ તરીકે દર્શાવવામાં આવે છે, પણ તે એવું નથી. કર્મનો અર્થ કાર્ય છે. તમે તમારા જીવનની દરેક ક્ષણે, જાગૃત અવસ્થામાં અને ઊંઘમાં પણ શારીરિક, માનસિક, ભાવનાત્મક અને ઊર્જાના સ્તરે કાર્યો કરી રહ્યા છો. આ અવિરત ક્રિયા એક ચોક્કસ પ્રકારની સ્મૃતિના રૂપમાં એકઠી થાય છે. તે બધી જ જાગરૂક સ્મૃતિ નથી, પંચાણુ ટકાથી વધુ અજાગરૂક સ્મૃતિ છે. આ એવું છે જાણે તમે એક અજાગરૂક સોફ્ટવેર બનાવી રહ્યા છો. જેમ જેમ આ વધે છે, આ સ્મૃતિ તમારી વૃત્તિઓ, તમે કેવી રીતે વર્તન કરો છો અને તમે કેવી રીતે પસંદગીઓ કરો છો તે નક્કી કરવા લાગશે. કેમ કે આ આપણી અંદરથી થઈ રહ્યું છે અને મોટાભાગના લોકો આ કેવી રીતે થઈ રહ્યું છે તે વિશે જાગરૂક નથી, એટલે તમને એવું લાગે છે કે બીજી કોઈ શક્તિ ક્યાંકથી તમને અસર કરી રહી છે.
જ્યારે તમે કહો છો કે મારું જીવન મારું કર્મ છે, તમે જે કહી રહ્યા છો તે એ છે કે મારું જીવન મારું બનાવેલું છે. આ જીવવાની સૌથી ગતિશીલ રીત છે. આ એકમાત્ર સંસ્કૃતિ છે જ્યાં સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યું છે કે તમારું જીવન ક્યાંક બીજી કોઈ શક્તિ દ્વારા બનાવવામાં આવતું નથી, તમારું જીવન દરેક ક્ષણે તમારા દ્વારા ઘડવામાં આવે છે, તે તમારું બનાવેલું છે. બસ વાત એ છે કે તમે તેને અજાગરૂક રીતે બનાવી રહ્યા છો. તમે જે અજાગરૂક રીતે કરી રહ્યા છો, જો તમે તે જ વસ્તુ જાગરૂક રીતે કરો, તો તમે તમારા પોતાના ભાગ્યના નિર્માતા બની જશો.
જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયા કરીએ છીએ, ત્યારે તેનો અર્થ એ છે કે તમે તમારા કર્મને તમારા હાથમાં લઈ રહ્યા છો. તમે ભૂતકાળના કર્મને બદલી શકતા નથી. તે ચાલતું રહે છે, પણ આજનું કર્મ સો ટકા તમારા હાથમાં છે. જો તમે આજના કર્મને સંપૂર્ણપણે તમારા હાથમાં લો, તો તમારા અનુભવના સંદર્ભમાં તમારી અંદર શું થાય છે તે તરત જ નક્કી કરી શકાય છે. તમારી આસપાસ શું થાય છે તે ચોક્કસ સમયગાળામાં નક્કી કરી શકાશે.
આ સંદર્ભમાં આપણે કર્મ વિશે વાત કરી રહ્યા છીએ. દરેક માણસે આજના કર્મને પોતાના હાથમાં લેવા જોઈએ, ગઈ કાલના કર્મ વિશે રડવું નહીં, કેમ કે તે બદલી ન શકાય, પણ જો તમે આજના કર્મને પોતાના હાથમાં લો છો, તો ગઈ કાલના કર્મનો તમે અત્યારે કેવા છો તેના પર કોઈ પ્રભાવ નથી અને અસ્તિત્વનો આ ગતિશીલ માર્ગ – એ જોવું કે મારું જીવન મારું બનાવેલું છે, તેમાં માણસને એક સીમિત વસ્તુમાંથી અસીમિત સંભાવનામાં રૂપાંતરિત કરવાનો સાર રહેલો છે.