- ચકચારી બનાવના 25 દિવસ બાદ આખરે માંડલ પોલીસ સ્ટેશનમાં અંધાપાકાંડનો
- ભોગ બનનાર પૈકીના એક દર્દીએ દાખલ કરાવતા કાર્યવાહી હાથ ધરાઈ
- હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે આવેલ શ્રી સેવા નિકેતન ટ્રસ્ટની રામાનંદ આંખની હોસ્પિટલમાં ગત તા. 10 જાન્યુઆરીએ અમદાવાદ જિલ્લા ગ્રામ્ય, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાના કુલ 28 દર્દીઓના મોતીયાના ઓપરેશન કરાયા હતા. તેમજ દર્દીઓને થોડા દિવસો બાદ ફરીથી ચેકઅપ માટે બોલાવ્યા હતા. ત્યારે 28 પૈકી 17 દર્દીઓને આંખની દ્રષ્ટિમાં ઝાંખપ આવી ગઈ હોય અને આંખમાંથી પાણી પડતું હોય, કેટલાંક દર્દીઓને દેખાતું બંધ થઈ ગયેલ હોઈ જેવી ફરિયાદો ઉઠતાં અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગથી લઈને ગાંધીનગર સુધી દોડધામ મચી જવા પામી હતી. તેમજ ગુજરાત હાઈકોર્ટે પણ સમગ્ર મામલાની નોંધ લીધી હતી. આ ઉપરાંત તપાસ કમિટી દ્વારા હાઈકોર્ટને પ્રાથમિક રીપોર્ટ પણ સબમીટ કર્યો હતો. જેમાં ટ્ર્સ્ટની હોસ્પિટલમાં માળખાકીય સુવિધાનો અભાવ અને બેદરકારી દાખવી હોવાની ચોંકાવનારી ઉજાગર થવા પામી હતી. ત્યારે સદર મામલે 25 દિવસ બાદ માંડલ પોલીસ મથકમાં અંધાપાકાંડ મામલે કુલ 11 સામે નામ જોગ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ પાટણ જિલ્લાના રુગનાથપુરાના દર્દી વશરામભાઈ ભીમાભાઈ ભરવાડ, ઉ.વ.60 જેમને અંધાપાકાંડને લઈ રામાનંદ આંખની હોસ્પિટલની ઘોર બેદરકારી જણાવતાં હોસ્પિટલના ડોક્ટર સહિત સંચાલકો અને ટ્રસ્ટીઓ સહિત કુલ 11 લોકો સામે માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વશરામભાઈને આંખે ઓછું દેખાતું હોવાને લઈ તેઓ માંડલની રામાનંદ હોસ્પિટલમાં આંખ બતાવવા માટે ગયેલા હતા અને ત્યાં હાજર ડો.જૈમિન પંડયા, ડો.દાનુભાઈ ડોડીયા દ્વારા ફરિયાદીની આંખોને ચેક કરી હતી અને તા.10મીએ તેમને મોતીયાનું ઓપરેશન કરાવવા માટે જણાવેલ હતું. તા.10મીએ સવારે માંડલ ખાતે મોતીયાનું ઓપરેશન કરાવવા ગયેલ ત્યાં તેમના સહિત અન્ય 28 દર્દીઓ પણ મોતીયાનું ઓપરેશન કરાવવા આવેલાં હતાં. તમામ દર્દીઓના આંખના ઓપરેશન થઈ ગયાં બાદ તા.12મીએ ફરિયાદીની ઓપરેશન કરેલ આંખે ઓછું દેખાતું હોઈ તેઓ ફરી હોસ્પિટલમાં બતાવવા સારું ગયેલ હતાં. ત્યાં ડો.દાનુભાઈ ડોડીયાને બતાવેલ અને તેમને જણાવેલ કે, ડો.જૈમીનભાઈ કાલે તા.13મીએ આવશે. એટલે તમે ફરી બતાવવા કાલે આવશો, એવું જણાવવામાં આવેલ હતું. જેથી તા.13મીએ વશરામભાઈ ભરવાડ માંડલ રામાનંદ હોસ્પિટલમાં ફરી બતાવવા ગયેલ ત્યારે તેમની સાથે અન્ય કેટલાંક દર્દીઓ પણ આંખમાં સોજો આવી ગયેલ છે, આંખ લાલ થઈ જવી જેવી ફરિયાદો લઈને ચેકઅપ માટે આવેલાં પરંતુ ડોક્ટરોએ આંખો ચેક કરીને જરૂરી દવાઓ આપી તા.1પમીએ ચેકઅપ માટે બોલાવેલા હતાં જેથી દર્દીઓ ફરી હોસ્પિટલમાં બતાવવા ગયેલ ત્યારે પાંચ દર્દીઓની આંખની દ્રષ્ટિ ગુમાવી દેવાની ગંભીર ફરિયાદો કરતાં (1)શાંતાબેન આલાભાઈ રાઠોડ (2) વશરામભાઈ ભીમાભાઈ ભરવાડ (3) બાલુબેન વિનુભા દરબાર (4)રામાભાઈ મનુભાઈ વાઝા અને (5)ચંદુબેન કાનાભાઈ કાંગસીયા સહિતના ફરિયાદી અને અન્ય 4 દર્દીઓને અમદાવાદની સરકારી આંખની હોસ્પિટલમાં રીફર કરેલાં હતાં. ફરિયાદમાં જણાવેલ અનુસાર રાજ્ય સરકાર દ્વારા વિભાગીય નાયબ નિયામક અમદાવાદ નાઓના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરેલ હોય જે સમિતિ દ્વારા આંખોમાં ચેપ લાગવાની ઘટનાને પગલે રામાનંદ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલાં 12 દર્દીઓને વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરાયાં હતાં એક દર્દીએ એમ પણ જણાવ્યું હતું કે, હુ. પોતાની રીતે સારવાર કરાવી લઈશ તેવી માહિતી પણ ફરિયાદમાં જણાવવામાં આવી હતી. આમ અમદાવાદની હોસ્પિટલ ખાતે 12 દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. એ અરસામાં એક દર્દી શાંતાબેન રાઠોડ અને પોતે ફરિયાદીને એક આંખ કાઢી નાખી હોવાના કિસ્સામાં કાયમી આંખ ગુમાવવી પડી હોવાની પણ માહિતી આ ફરિયાદમાં જણાવે હતી અને અન્ય દર્દીઓને ગંભીર પીડાઓ થયેલ અને આંખે દેખાવવાનું ઓછું થયેલ, કેટલાંક દર્દીઓને બીલકૂલ દેખાતું બંધ થયું જેવી ઘટનાઓને પગલે હોસ્પિટલના ડોક્ટર અને સંચાલકો તેમજ ટ્રસ્ટીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
આ ઉપરાંત સરકારની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ ના હોઈ નિયમોનો ભંગ કરી નીતિનિયમોનું ઉલ્લંઘન કરી દર્દીઓની જિંદગી જોખમમાં મુકવાની સંભાવના હોવાનું જાણવા છતાં સેવા નિકેતન ટ્રસ્ટની આંખની હોસ્પિટલ કાર્યરત રાખેલ, યોગ્ય નર્સીંગ સ્ટાફ અને ઓટી ઓપરેટર પણ અભ્યાસુ ન હોઈ બેદરકારી દાખવી રહ્યાં છેનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરાયો છે. માંડલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર ઘટનાને લઈ 11 લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ છે.
કોની વિરુદ્ધ થઈ ફરિયાદ
ડો.જૈમીન પંડયા, ડો.દાનુભાઈ ડોડીયા, ભરતભાઈ ખુમાણ, રણછોડભાઈ પરમાર, પટેલ મણીલાલ સોમાભાઈ, દલવાડી નારણભાઈ ઈશ્વરભાઈ, પટેલ શંકરભાઈ ધરમશીભાઈ, પંચાલ ગોવિંદભાઈ ભીખાભાઈ, ભાવસાર ભુપેન્દ્રભાઈ જશવંતલાલ, પટેલ જગદીશભાઈ મણીલાલ, ચાવડા માનુભાઈ લક્ષ્મણભાઈ.


