વાજડી વીરડાની અંદાજીત ર૮૦ કરોડની જમીનના નકશામાં સમય પ્રમાણે ફેરફાર
ભૂમાફિયાને ફાયદો થાય એ પ્રમાણે નકશાની હદ બદલવામાં સાગઠિયાવાળી થયાની આશંકા
કલેકટર ડીએલઆર પાસે લેન્ડગ્રેબીંગ કેસની જમીનના તમામ દસ્તાવેજો મંગાવી રેવન્યુ વિભાગ પાસે તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય
રાજકોટ મનપાની ટાઉનપ્લાનીંગ કચેરીમાં સસ્પેન્ડેડ ચીફ ટાઉન પ્લાનર સાગઠિયા અને તેમની ટોળકીએ જે રીતે અબજો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હતાં એ સીટની તપાસમાં બહાર આવ્યા છે. આ બનાવને પગલે રાજય સરકારે હવે મહત્વની સતા ધરાવતાં તમામ વિભાગોમાં આગોતરી તપાસ કરાવવાની જરૂર છે. રાજકોટ કલેકટર હસ્તક આવતાં ડીએલઆર વિભાગમા જે રીતે સાગઠિયા સતા ઉપર હતાં અને ફરિયાદો મળતી હતી તેવી જ ફરિયાદો મળી રહી છે. ન માત્ર ફરિયાદો મળે છે. પરંતુ લેન્ડ ગ્રેબીંગની નિયમિત ફરિયાદો કલેકટર સમક્ષ તથા પોલીસ કમિશ્નર સમક્ષ થઇ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે એક એક વર્ષ જુની ફરિયાદોનો નિકાલ નથી થતો. બીજી બાજુ ડીએલઆર કચેરીના કર્મચારી અધિકારી પાસે એવો જાદુ છે કે કોઇ પણ જમીનના નકશા સમયની માંગ પ્રમાણે બદલી જાય. ભૂમાફિયાઓના લાભ માટે જુના નકશાની હદો અને માપ ટીપણી હોય તે નવા નકશામાં બદલી શકાય છે. આસોપાલવ સોસાયટીના કેસમાં ચોંકાવનારી વિગત એવી આવી છે કે અંદાજે ર૮૦ કરોડની બજાર કિંમતની જમીનની હદો જુના નકશામાં હતી તે નવા નકશામાં બદલાઇ ગઇ છે.વાસ્તવમાં મૂળ નકશામાં કોઇ ફેરફાર થઇ શકે નહી. બીજુ જે ભૂમાફિયાઓ દબાણ કરે છે તેમને નવા નકશા તાત્કાલીક મળી જાય છે. જયારે ફરિયાદીને બહાનાબાજી કરી એક એક વરસથી ટટળાવાય છે.
આસોપાલવ સોસાયટીના ૯3-૧ પૈકિના બે પ્લોટના ધારક વિમલ ગઢિયાએ કલેકટર સમક્ષ કરેલી લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ વચ્ચે પણ એ પ્લોટ ઉપર કિશોર કોટેચા અને તેના ભાગીદારે આ ફરીયાદીની પ્લોટની ફેન્સીંગ તોડી નવી દિવાલો તેમની તરફેણમા બનાવી લીધી. આ દિવાલ બનાવવાની પેરવી થતી હતી ત્યારે તાલુકા પોલીસમાં ફરીયાદ કરી હોવા છતાં તાલુકા પોલીસ તંત્રએ બન્ને પક્ષને બોલાવી ડીએલઆરના ફાઇનલ રેકર્ડ ન આવે ત્યાં સુધી યથાવત સ્થીતિ રાખવા સૂચના આપી હતી. આમ છતાં કિશોર કોટેચા વગેરેએ દિવાલ બનાવી લીધાની ફરીયાદ વિમલ ચૂડાસમાએ કરી છે.
ફરિયાદીને ધમકાવી તેમનુ તિરસ્કૃત કરી ડીએલઆર કચેરીમાં સતાની તુમાખી બતાવવામાં આવે છે. સાગઠિયા સ્ટાઇલથી જ અહિં વજન મુકનારનું વજન વધી જાય છે. સાગઠિયા ઉપર મ્યુ.ડેપ્યુટી મ્યુ. કમિશ્નર અને મ્યુ.કમિશ્નર હતાં છતાં સાગઠિયાએ સતાવાર રીતે અમર્યાદ કરોડો રૂપિયાની સંપતિ બનાવી હતી. ભાજપની આખી બોડી આ બાબત જાણતી હોવા છતાં આ કૌભાંડો થયા. આવા જ કૌભાંડો કલેકટર તંત્રમાં આગળ ન વધે એ માટે પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર છે.
જિલ્લા કલેકટરે આ મામલે ડીએલઆર પાસેથી સબંધિત વિવાદીત પ્રકરણોના ઓરીજીનલ રેકર્ડ ડીએલઆર કચેરીમાંથી મંગાવી મહેસુલ વિભાગના અનુભવી અધિકારીઓ હેઠળ તાત્કાલી તપાસ કરવી જરૂરી છે. આ કોભાંડોમા જે પણ જવાબદાર હોય તેમને લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ જેલ હવાલે કરી દાખલો બેસાડવાની વેળા આવી છે.
આસોપાલવ સોસાયટી તો હિમશિલાની ટોચ છે
ડીએલઆર કચેરીમાં અનેક ભૂમાફિયાના કારસ્તાન છે
શહેરના ન્યારી ડેમ પાસે હાલ સોનાની લગડી જેવી બની ગયેલી જમીન ઉપર ભૂમાફિયાઓનો ડોળો ગયો છે. આ માટે ડીએલઆર કચેરીના સ્ટાફને ફોડી મૂળ દસ્તાવેજો સાથે ચેડાં કરી, જગ્યા ઉપર ગેરકાયદે દબાણ કરી,ખોટુ રેવન્યુ દસ્તાવેજ કરી કરોડો રૂપિયાનુ લેન્ડગ્રેબીંગ કરાય છે. આ અંગે કલેકટર કચેરીમાં કોટેચા ગ્રુપના કિશોર કોટેચા,મેહુલ નથવાણી વગેરે સામે થયેલી લેન્ડ ગ્રેબીંગની ફરિયાદના ઘેરા પડઘા પડયા છે. આ અંગેના અહેવાલ અગ્ર ગુજરાતમાં પ્રસિધ્ધ થયા બાદ જમીનના પ્લોટના કેટલાક અન્ય આસામીઓએ પણ તેમની જમીન ઉપર પણ દબાણ થયુ હોવાનું અને તેમના હકક ડુબાડવા પણ ડીએલઆરના કેટલાક કર્મચારીઓ સંડોવાયા હોવાની શંકા વ્યકત કરી છે. એટલું જ નહિ આ અંગે કલેકટર સહિતના ટોચના અધિકારીઓ સમક્ષ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. આ જોતાં આસોપાલવ સોસાયટી તો ડીએલઆર કચેરીનું હિમશિલાનું ટોચકું હશે. વાસ્તવમાં જમીનના ભાવ વધે એવી જગ્યાઓએ ચોકકસ કર્મચારીઓ દ્વારા મોટા પાયે ગફલાં થતાં હોવાની આશંકા છે.


