- ગ્રામ્ય વિસ્તારો બાદ ભૂમાફિયાઓનો શહેરી વિસ્તારની જમીનોમાં ડોળો
- રામાજીના છાપરા વિસ્તારમાં 200 મકાનો અને 1500ની વસતીનો વસવાટ છે
- વિસ્તારનો દસ્તાવેજ અને સાત બાર આઠ-અ ના ઉતારામાં પાકી નોંધ પણ પડી ગઇ
દહેગામમાં ભુમાફિયાઓએ માજા મુકી છે. તાજેતરમાં જ સમગ્ર પહાડિયા ગામનો બારોબાર સોદો કરી નાખ્યા બાદ ભુમાફિયાઓએ દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રામાજીના છાપરા વિસ્તારની 14 વિઘા જમીનનો પણ બારોબાર સોદો કરી દસ્તાવેજ પણ કરી નાખતા હડકંપ મચી જવા પામ્યો છે.
આ મામલે સ્થાનિક રહિશોએ હોબાળો મચાવતા મામલતદાર કચેરીના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. જે વિસ્તારની જમીન વેચાણ થઇ છે તેમાં વર્ષોથી 200 જેટલા મકાનો આવેલા છે. જ્યારે આ વિસ્તારની વસતી 1500ની છે.
તાજેતરમાં જુના પહાડિયા અને કાલીપુરાની જમીન વિવાદ બહાર આવ્યા બાદ રામાજી છાપરા વિસ્તારમાં રહેતા રહિશોએ અગમચેતીના પગલારૂપે પોતાની જમીનના ઉતારા અને સર્ચ રિપોર્ટ કઢાવ્યો હતો. આ જમીનના સાતબારના ઉતારા જોઇને તેમની આંખો પહોળી થઇ ગઇ હતી. ઉપરોક્ત જમીનમાં અન્ય લોકોના નામ દાખલ થઇ ગયા હતા. ભુમાફિયાઓએ રામાજીના છાપરા વિસ્તારની સર્વે નંબર-290ની 18 વિઘા પૈકી 14 વિઘા જમીનનો બારોબાર સોદો કરી નાખ્યો હતો.
એટલુજ નહી પરંતુ તેનો દસ્તાવેજ પણ થઇ ગયો હતો અને સાત-બાર , આઠ-અ ના ઉતારામાં ખરીદનાર વ્યક્તિોના નામ પણ દાખલ થઇ ગયા હતા. આ બાબત સામે આવતા રહિશોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ઉપરોક્ત વિસ્તાર વર્ષોથી દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર-7માં સમાવિષ્ઠ છે. અહિ વર્ષોથી 200 જેટલા કાચા પાકા મકાનો આવેલા છે. સ્થાનિક રહિશોના જણાવ્યા પ્રમાણે અહિ 1500 લોકોની વસતી છે. 1944થી ગાયકવાડ શાસન સમયથી આ જમીનનો કબજો તેમની પાસે છે. જોકે, લખાણ જે તે સમયે સાદા કાગળ પર થયેલુ છે. ત્યારબાદ રહિશોએ આ મામલે પોતાના નામ દાખલ કરાવવા સહિતની પ્રક્રિયાની કોઇ તજવીજ હાથધરી નહતી. જેનો ભુ-માફિયાઓએ ઉઠાવ્યો હતો. સમગ્ર વિસ્તાર નગરપાલિકા હેઠળ આવતો હોવા છતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં તેનો દસ્તાવેજ અને પાકી નોંધ પણ પડી જતા કચેરીની કામગીરી મામલે પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે.
આ જમીનના દસ્તાવેજમાં પણ જુના પહાડિયા ગામની જમીન વેચાણ જેવી જ મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હોવાની શંકા છે. ઉલ્લેખનીય છેકે, જુના પહાડિયા ગામના વેચાણ સમયે ભુમાફિયાઓએ અસલ જમીનના બદલે અન્ય જમીનના ફોટોગ્રાફ રજુ કરીને દસ્તાવેજ કરાવ્યો હોવાનું ખુલ્યુ હતું. આ મોડસ ઓપરેન્ડીથી દહેગામમાં હજુપણ અનેક જમીનોના બારોબાર સોદા થઇ ગયા હોવાની સંભાવના રહિશોએ વ્યક્ત કરી છે. આ મામલે રામાજીના છાપરા વિસ્તારના રહિશોએ ધારાસભ્યને રજુઆત કરી ન્યાય અપાવવાની માંગ કરી છે.


