મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
શહેરના વિકાસકામોને અવિરત શરૂ રાખવા, વહીવટી કામકાજને વેગ આપવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિશેષ કલમનો ઉપયોગ
અગ્ર ગુજરાત, રાજકોટ
મહાનગરપાલિકામાં ભાજપના શાસનની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાની સાથે વહીવટી પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા વિવિધ પ્રોજેક્ટ્સ અને કામોના રાજ્યમાન્ય કરારો પર સહી કરવાની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સત્તા હવે વહીવટી અધિકારીઓને સોંપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ અંગે સત્તાવાર આદેશ જારી કરીને નવી ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધીની વચગાળાની વ્યવસ્થા ગોઠવી છે.
સામાન્ય રીતે રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા અમલી બનાવવામાં આવતા કોન્ટ્રાક્ટ અને એજન્સીઓ સાથેના કરારો માટે એક ચોક્કસ કાનૂની પ્રક્રિયા અનુસરવામાં આવે છે. નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત સ્ટેમ્પ પેપર પર એજન્સીઓ પાસેથી રાજ્યમાન્ય કરારો કરવામાં આવતા હોય છે. જીપીએમસી એક્ટની જોગવાઈઓ મુજબ, કોર્પોરેશન દ્વારા કરવામાં આવતા કરારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદ્રા (સીલ) મારવી અનિવાર્ય છે. આ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેશનના પ્રતિનિધિ તરીકે સ્થાયી સમિતિના બે સભ્યોએ સાક્ષી તરીકે સહી કરવી પડે છે, જે આ કરારની કાયદેસરતાની પુષ્ટિ કરે છે.
જોકે, હાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી અને જનપ્રતિનિધિઓની ગેરહાજરીમાં વહીવટી તંત્ર દ્વારા કામગીરી સંભાળવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ગેરહાજરીમાં શહેરના વિકાસકામો કે રોજિંદા વહીવટી કરારો અટકી ન પડે તે હેતુથી કમિશનર તુષાર સુમેરાએ કલમ હેઠળની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો છે. આ આદેશ મુજબ, હવેથી કરારનામા પર સહી કરવા માટે ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
મ્યુ. કમિશનર તુષાર સુમેરાના આદેશ અનુસાર, હવેથી સેન્ટ્રલ ઝોનના નાયબ કમિશનર, સહાયક કમિશનર અને ચીફ એકાઉન્ટન્ટને આ સત્તા સુપરત કરવામાં આવી છે. આ ત્રણ અધિકારીઓમાંથી કોઈપણ બે અધિકારીઓ હવે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના સ્થાને રાજ્યમાન્ય કરારો અને અન્ય કાનૂની દસ્તાવેજો પર સહી કરી શકશે. આ વ્યવસ્થા નવી ચૂંટાયેલી પાંખ સત્તા પર ન આવે ત્યાં સુધી કાર્યરત રહેશે.


