એકવાર યદુ નામના રાજાએ એક અવધૂતને પોતાની મસ્તીમાં વિચરતાં જોઈને પૂછ્યું, `સંસારમાં બધા જ લોકો કામ અને લોભના અગ્નિમાં બળી રહ્યા છે, પરંતુ તમને જોઈને એવું લાગે છે કે આ અગ્નિ તમને કોઈ આંચ નથી પહોંચાડતો. એવું લાગે છે કે વનમાં આગ લાગી હોય ત્યારે કોઈ હાથ ગંગાજળમાં પહોંચી ગયો છે. આવું શા માટે?’
આ અવધૂત બીજું કોઈ નહીં, પણ ભગવાન દત્તાત્રેય જ હતા. તેમણે કહ્યું, `મેં ઘણા ગુરુ કર્યા છે. તેમનામાંથી શીખ લઈને હું આ રીતે મુક્ત બનીને વિચરું છું.’ તેમણે પોતાના 24 ગુરુઓ અને તેમનામાંથી મળેલી શીખ વિશે વાત કરી.
પૃથ્વી
પૃથ્વીમાંથી મેં ધીરજ રાખવાની અને ક્ષમા કરવાની શીખ લીધી છે. લોકો તેના પર કેટલો ઉત્પાત કરે છે! કોઈ પાયો ખોદે છે તો કોઈ કૂવો. કોઈ તેના પર પાવડો ચલાવે છે તો કોઈ કોદાળી. જ્યારે પૃથ્વી કોઈની સાથે બદલો લેતી નથી કે કોઈ જાતની ફરિયાદ પણ કરતી નથી. તે જ રીતે બુદ્ધિમાન વ્યક્તિએ ક્યારેય પોતાની ધીરજ ખોવી જોઈએ નહીં. જ્યારે સાધુએ પરોપકારી બનવાની શીખ લેવી જોઈએ.
વાયુ
વાયુ હંમેશાં ચાલતો રહે છે. તે ફૂલ, કાંટા, પવિત્ર, અપવિત્ર બધાને સમાન રીતે સ્પર્શ કરે છે. બધાને સમાન રીતે તાજગી અને જીવન બક્ષે છે. શરીરની અંદર રહેનારા પ્રાણવાયુમાંથી મેં શીખ લીધી છે કે જરૂરિયાત પ્રમાણે જ વસ્તુઓને ગ્રહણ કરવી જોઈએ. ઈન્દ્રિયોની બિનજરૂરી ઈચ્છાની પૂર્તિમાં પોતાનો શ્રમ વ્યર્થ ન કરવો જોઈએ.
આકાશ
આકાશમાંથી મેં એ શીખ લીધી છે કે અછૂતા રહેવું. પાણી વરસે, આગ લાગે, અન્ન પેદા થાય કે નષ્ટ થાય, વાદળાં આવે કે ચાલ્યાં જાય, આકાશને કોઈની સાથે કોઈ લગાવ નથી. કોઈ પણ કાળ હોય, કોઈ મનુષ્ય જન્મે કે મૃત્યુ પામે, પરંતુ આત્મા તો અછૂતો જ હોય છે.
પાણી
પાણીમાંથી મને શીખવા મળ્યું છે કે તે જેટલું સ્વચ્છ, ચીકણું, મધુર અને પવિત્ર કરનાર છે તેટલા જ પવિત્ર આપણે બનવું જોઈએ.
અગ્નિ
અગ્નિમાંથી મને શીખવા મળ્યું છે કે બધું જ પચાવી લેવું જોઈએ. આગ આડીઅવળી, લાંબા-પહોળા કે નાનાં-મોટાં લાકડાંમાં લાગી હોય ત્યારે તે લાકડાંના સ્વરૂપ પ્રમાણે જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તે એવી નથી હોતી. તે જ રીતે બધામાં રહેલો આત્મા અનેક સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ વાસ્તવમાં તો તે એક જ છે.
ચંદ્રમા
ચંદ્રમામાંથી મેં શીખ લીધી છે કે કલાઓના ઘટવા-વધવા પર પણ તેનું સ્વરૂપ તો એક જ છે. આવી જ સ્થિતિ આત્માની છે. જન્મથી લઈને મૃત્યુ સુધી શરીર વધે-ઘટે છે, પરંતુ તેની આત્મા પર કોઈ અસર થતી નથી.
સૂર્ય
સૂર્યમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈનામાં પણ આસક્ત ન થશો, જે લો એ પાણીની જેમ વરસાવી દો. જુદાં-જુદાં પાત્રોમાં સૂર્ય અલગ-અલગ દેખાય છે, પરંતુ તે એક જ છે. આવી જ સ્થિતિ આત્માની છે.
કબૂતર
કબૂતરમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈને પણ વધારે સ્નેહ ન કરવો જોઈએ. નહીંતર ઘણાં કષ્ટ ભોગવવાં પડે છે. કબૂતરનું એક જોડું હતું. તેનાં ઘણાં બચ્ચાં હતાં. એક દિવસ મા-બાપ બહાર હતાં ત્યારે શિકારીએ બાળકોને જાળમાં ફસાવી લીધાં. માએ પાછાં આવીને જોયું તો તે બહુ દુ:ખી થઈને પોતાનાં બચ્ચાંઓની સાથે જ તે જાળમાં જતી રહી, ત્યારબાદ બાપ પણ તે જ જાળમાં જતો રહ્યો. છેલ્લે શિકારી બધાંને બાંધીને પોતાની સાથે લઈ ગયો.
અજગર
અજગરમાંથી મેં એ શીખ લીધી છે કે સ્વાદિષ્ટ-ફિક્કું એમ થોડું ઘણું જે કંઈ પણ મળે તેમાં સંતોષ માનવો જોઈએ.
સમુદ્ર
સમુદ્રમાંથી મેં એ શીખ લીધી છે કે હંમેશાં પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ, ભલે પછી ભરતી આવે કે ઓટ આવે.
પતંગિયું
પતંગિયામાંથી શીખ લીધી છે કે રૂપના મોહમાં પડીને ક્યારેય આગમાં કૂદવું જોઈએ નહીં.
ભમરો
ભમરામાંથી મેં શીખ લીધી છે કે સારું જ્યાં પણ મળે લઈ લો.
હાથી
હાથીમાંથી મને એ શીખ મળી છે કે પોતાની ભાવનાઓ અને ઈચ્છાઓથી હંમેશાં સજાગ રહેવું જોઈએ. નહીંતર તેને કારણે આ સાંસારિક આકર્ષણ ઈન્દ્રિયોને બેકાબૂ કરી દે છે અને બળવાન હોવા છતાં મન તેમની જાળમાં ફસાઈને નિર્બળ બની જાય છે.
મધુહારી
મધુહારી (મધનો સંગ્રહ કરનારી)માંથી મેં એ શીખ લીધી છે કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં.
હરણ
હરણમાંથી મેં એ શીખ લીધી છે કે સંગીતનાં નાચ-ગાનનાં બંધનમાં ક્યારેય ન ફસાવું જોઈએ.
માછલી
માછલીમાંથી મેં શીખ લીધી છે કે જીભના સ્વાદમાં ક્યારેય ન પડવું જોઈએ. માછલી કાંટામાં ફસાયેલા માંસના ટુકડાના મોહમાં ફસાઈને પોતાના પ્રાણ ગુમાવે છે. આ જ સ્થિતિ સ્વાદના લોભી પુરુષોની થાય છે, તેથી જેણે જીભને જીતી લીધી છે તેણે બધી જ ઈન્દ્રિયો પણ જીતી લીધી છે.
પિંગળા વેશ્યા
પિંગળા નામની વૈશ્યામાંથી મેં શીખ લીધી છે કે ધનની ઈચ્છા ક્યારેય રાખવી જોઈએ નહીં. દુનિયામાં જે પણ અને જેટલું પણ મળે છે, તે હંમેશાં ઓછું પડે છે. મનુષ્યને ક્યારેય સંતુષ્ટિ થતી નથી, તેથી મનુષ્યોએ સાંસારિક વસ્તુઓની ઈચ્છા ત્યાગીને માત્ર પોતાની જરૂરિયાતોની પૂર્તિ કરતા આત્મ-સન્માનની સાથે આત્મચિંતન કરવું જોઈએ.
ગીધ
ગીધમાંથી મેં એ શીખ લીધી છે કે કોઈ વસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં, તેને કારણે બહુ દુ:ખ ભોગવવું પડે છે. એકવાર ગીધ પક્ષીને માંસનો એક ટુકડો મળી ગયો. તે ટુકડાને પોતાની ચાંચમાં દબાવીને જઈ રહ્યો હતો. બીજાં પક્ષીઓ તેને જોઈ ગયાં અને તેના પર ચાંચ વડે પ્રહાર કરવા લાગ્યાં. છેવટે લાચાર બનીને તેણે માંસનો ટુકડો ફેંકી દીધો, જેથી તેની બધી જ ઝંઝટ દૂર થઈ.
બાળક
બાળકમાંથી મેં એ શીખ લીધી છે કે આપણે હંમેશાં નિશ્ચિત અને આનંદમાં મગ્ન રહેવું જોઈએ.
કુંવારી કન્યા
કુંવારી કન્યામાંથી મને એ શીખ મળી છે કે ઘણા લોકોની સાથે રહેવાથી તેમની સાથે લડાઈ-ઝઘડો થાય છે, તેથી એકલા જ રહેવું જોઈએ કે વિચરણ કરવું જોઈએ. કુંવારી કન્યા ધાન કૂટી રહી હતી. તે કૂટતી વખતે તેની બંગડીઓ પરસ્પર ટકરાઈને અવાજ કરતી હતી. તેણે એક, બે, ત્રણ એમ વારાફરતી બંગડીઓ ઉતારી દીધી છતાં અવાજ બંધ ન થતાં તેણે બંને હાથમાં માત્ર એક-એક બંગડી જ રાખી, જેથી અવાજ બંધ થઈ ગયો.
બાણ બનાવનાર
એકવાર બાણ બનાવનાર કારીગર બાણ બનાવી રહ્યો હતો. તેની પાસેથી વાજાં વાગતાં-વાગતાં એક જાન નીકળી ગઈ છતાં પણ તેને તેની ખબર ન પડી. તેનામાંથી મને એ શીખવા મળ્યું છે કે આસન અને પ્રાણાયામના અભ્યાસ તથા વૈરાગ્યથી મનને વશમાં કરી લો, પછી તેને જ લક્ષ્ય બનાવી દો.
સાપ
સાપમાંથી મેં એ શીખ લીધી છે કે તેની જેમ એકલા જ વિચરણ કરો, ક્યાંય કાયમી ઘર ન બનાવશો.
કરોળિયો
કરોળિયામાંથી મેં એ શીખ લીધી છે કે મનુષ્ય આ જગતમાં રહીને પોતાના માટે માનસિક જગતનું નિર્માણ કરીને તેમાં જ રચ્યોપચ્યો રહે છે અને જન્મ-મૃત્યુના બંધનમાંથી બહાર નીકળી શકતો નથી.
ભૃંગી કીટ
ભૃંગી કીટમાંથી મેં એ શીખ લીધી છે કે સ્નેહથી, દ્વેષથી અથવા ભયથી જાણીજોઈને મનને એકાગ્ર કરવામાં લગાવી દો તો તે તદ્રૂપ થઈ જાય છે. આ સિવાય વૈરાગ્ય અને વિવેકની શિક્ષા આપવાને કારણે તેમણે શરીરને પણ ગુરુ માન્યું છે.


