મુંબઈની અંધારીઆલમના ડોન દાઉદ ઇબ્રાહિમને બે દિવસથી કરાચીની હોસ્પિટલમાં રખાયો છે
ઘરમાં જ કોઈએ ઝેર આપી દેવાયું હોવાની શંકા
પાકિસ્તાનમાં ઇન્ટરનેટ ડાઉન થયું હતું, પણ તેનું કારણ ઇમરાન ખાનની વર્ચ્યુઅલ રેલી હોવાનું મનાય છે
મુંબઈનો માફિયા ડોન અને સિરિયલ બોમ્બ ધડાકાનો મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમ કરાચીમાં જીવન અને મોત વચ્ચે ઝોલા ખાતો હોવાના સમાચારથી સોશ્યલ મીડિયામાં સનસનાટી મચી છે. છેલ્લા બે દિવસથી તેને કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તેના માટે આખો ફ્લોર ખાલી કરાવાયો છે અને તે ફ્લોર પર માત્ર ડોક્ટરો અને તેના સગાઓને જ પ્રવેશ મળતું હોવાનું કહેવાય છે.
દાઉદને કોઈએ ઘરમાં જ ઝેર આપી દીધું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
મુંબઈ પોલીસ પણ સોશ્યલ મીડિયામાં વાતો વહેતી થઈ તે પછી સક્રિય થઈ હતી અને મુંબઈની અંધારીઆલમમાંથી ખબરીઓ પાસેથી માહિતી મેળવવાનું શરૂ કર્યું હોવાનું મનાય છે.
દાઉદ ભાગેડુ ગુનેગાર છે અને ભારતની વારંવારની વિનંતી છતાં પાકિસ્તાન તેને પકડતી નથી અને ભારતને સોંપતી નથી. તે કરાચીમાં જ છુપાઈને રહે છે તે વાત જગજાહેર છે.
દાઉદની બહેન હસીના પારકરના દીકરાએ ગત જાન્યુઆરીમાં જ એનઆઈએને માહિતી આપી હતી કે દાઉદ કરાચીમાં જ રહે છે અને તેના બીજા લગ્ન થયેલા છે. અલીશાહ પારકાર અને સાજિદ વાગલેની મુંબઈ પોલીસે પૂછપરછ કરી હોવાનું જણાવાઈ રહ્યું છે.
દરમિયાન પાકિસ્તાનમાં ઇન્ટરનેટ ડાઉન થઈ ગયાનો મેસેજ પણ ફરતા થયા હતા, પણ તેનું કારણ દાઉદના સમાચાર નહીં, પણ ઇમરાન ખાનની પાર્ટી દ્વારા વર્ચ્યુઅલ રેલી કરવાની જાહેરાત થઈ હતી તે હોવાનું જાણકારો કહે છે. ઇમરાને ઓનલાઇન રેલી કરવાની જાહેરાત કરી તે પછી સરકારે ઇન્ટરનેટ ડાઉન કરી દીધાનું મનાય છે, જેથી તેના ટેકેદારો તેની સાથે જોડાઈ શકે નહીં.
દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરિતોએ મુંબઈમાં 1993માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. તેના મુખ્ય આરોપી તરીકે તે મોસ્ટ વોન્ટેડ છે અને પાકિસ્તાનને તેને સોંપી દેવા ભારતે વારંવાર કહ્યું છે. જોકે પાકિસ્તાન ઇનકાર કરે છે કે દાઉદ તેને ત્યાં છે, પણ ભારતીય ગુપ્તચર તંત્રને વારંવાર માહિતી મળતી રહી છે કે તે કરાચીમાં છુપાઈને રહે છે.


