- છ મહિને એકાદ કેસને બદલે હવે મહિને 15થી 20 કેસ
- સતત મોબાઈલ-હેડફોનનો ઉપયોગ ટાળો, સમયસર સારવાર જરૂરી
- બહેરાશની સમસ્યાને હળવાશથી લેવાને બદલે તાત્કાલિક તબીબનો સંપર્ક સાધી સારવાર લેવી જોઈએ
કોરોના સંક્રમણ બાદ 18થી 40 વર્ષના યુવાનોમાં એક કાને બહેરાશના કેસનું પ્રમાણ અચાનક વધ્યું છે. કોવિડ પહેલાં ભાગ્યેજ છ મહિનામાં એક કેસ આવતો હતો, જોકે હવે યુવાનોમાં એક કાને બહેરાશના દર મહિને 15થી 20 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે, જે ચિંતાજનક છે. ઘણી વાર યુવાનો આ બહેરાશની દરકાર લેતાં નથી, જેના કારણે અકસ્માત સર્જાવા સુધીની સ્થિતિ ઊભી થવા માંડી છે. કોરોના મહામારી પછી યુવાનો પણ વિવિધ બીમારીનો શિકાર બની રહ્યા છે. મોબાઈલ ફોન ઉપર સતત વ્યસ્ત રહેવું, હેડફોન વગેરેથી ઊંચા અવાજે સાંભળવાની ટેવ પણ બહેરાશની વધુ સમસ્યા નોતરી રહી છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ઈએનટી વિભાગનાં વડાં ડો. નીનાબહેન ભાલોડિયાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં એક કાને બહેરાશના મહિને 15થી 20 કેસ આવી રહ્યા છે, કોવિડ પહેલાં યુવાનોમાં ભાગ્યે જ આવા કેસ આવતાં હતા. કોરોનાના સમય ગાળામાં વર્ક ફ્રોમ હોમથી હેડફોનનો વધુ પડતો વપરાશ, ઊંચા અવાજે ફિલ્મ જોવા જેવી બાબતો પણ કારણભૂત મનાય છે. તબીબોના મતે, સિવિયર કોવિડ થયો હોય તેવા લોકોને થ્રોમ્બોસિસ એટલે કે લોહીનો ગંઠાવ થાય છે, જે શરીરના કોઈ પણ અંગ સુધી પહોંચીને ત્યાં રક્ત પ્રવાહની કામગીરમાં અવરોધરૂપ બને છે, જો કાનના ભાગને અસર કરે તો શ્રાવણ શક્તિ નબળી પડતી હોવાનું સામે આવ્યું છે.
તબીબોનું કહેવું છે કે, કેટલાકને એક કાને બહેરાશ આવી હોય તો પણ તેને ગંભીરતાથી લેતાં નથી, સામાન્ય લોકો બહેરાશને મજાકનું પાત્ર ગણતાં હોવાથી પણ સારવાર લેવામાં વિલંબ કરે છે, જેના કારણે દર્દીને જ કાયમી બહેરાશ થવાનું જોખમ ઊભું થાય છે. તબીબોનું કહેવું છે કે, એક અથવા બે કાને બહેરાશને કારણે ઘણી વાર અકસ્માતના કેસ બને છે, જાહેર રસ્તા ઉપર વાહન ચલાવતાં હોઈએ ત્યારે પાછળથી કોઈ વ્યક્તિ હોર્ન મારે તો પણ હકીકતે સંભળાતું નથી. બહેરાશની સમસ્યાને હળવાશથી લેવાને બદલે તાત્કાલિક તબીબનો સંપર્ક સાધી સારવાર લેવી જોઈએ.


