ઉત્કર્ષ સ્કૂલમાં મોતને આમંત્રણ આપતી ઘટના
ધો.11 નો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો પરંતુ એસી યુનિટે જીવ બચાવ્યો
વિદ્યાર્થીને સામાન્ય ઇજા કહેનાર શાળા સંચાલકોની ભૂમિકા શંકાસ્પદ : પોલીસ કાર્યવાહી વગર મામલો સમેટવાનો પ્રયાસ, CCTV ફૂટેજ પણ છુપાવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ફરી એકવાર શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈ ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરની જાણીતી ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પડ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સદનસીબે નીચે પડતી વખતે વિદ્યાર્થીએ એસીના આઉટડોર યુનિટને પકડી લેતાં તેની જાન બચી ગઈ હતી. જોકે, ઘટનાની ગંભીરતા છતાં શાળા સંચાલકોએ પોલીસને જાણ ન કરતાં અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનું ટાળતાં અનેક શંકાઓ ઊભી થઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ ઉત્કર્ષ સ્કૂલમાં રોજની જેમ સાંજે ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા. ગત સાંજે અંદાજે 4:45 વાગ્યાના સમયે ધોરણ 11નો વિદ્યાર્થી ત્રીજા માળે મિત્રો સાથે ઊભો હતો. તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તે બારીમાંથી નીચે પટકાયો હતો. નીચે પડતી વખતે દીવાલ પર લગાવાયેલ એસીના આઉટડોર યુનિટને મજબૂતીથી પકડી લેતા તે સીધો જમીન પર પટકાવાથી બચી ગયો હતો. બાદમાં તે ધીમે ધીમે છજ્જા (પેરાપેટ) પર ઉતરી ગયો હતો.
આ ઘટનામાં વિદ્યાર્થીને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં તેને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વાલીઓને જાણ કરી બોલાવવામાં આવ્યા હતા અને હાલ વિદ્યાર્થી વાલીઓ સાથે ઘરે હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે ઉત્કર્ષ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં ઘટનાને અકસ્માત ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ વિદ્યાર્થી બારી પાસે નમ્યો હતો અને અચાનક બેલેન્સ ગુમાવતા નીચે પડી ગયો હતો. જોકે, જ્યારે સીસીટીવી ફૂટેજ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ફૂટેજ જાહેર કરવાનું ટાળી દીધું હતું. તેમજ તેમણે કહ્યું હતું કે, આ સામાન્ય અકસ્માત હોવાથી પોલીસને જાણ કરવાની જરૂર પડી નથી અને આ બાબત અંગે જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરવામાં આવશે.
શાળા સંચાલકો દ્વારા શિક્ષકના ત્રાસ કે ઓછા માર્ક્સના કારણે વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચર્ચાઓને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે, શાળામાં તમામ જરૂરી સેફ્ટી વ્યવસ્થા ઉપલબ્ધ છે અને સુરતની આગની ઘટના બાદ વધારાની તકેદારી પણ લેવામાં આવી છે.
જો કે, ઘટનાને લઈને શહેરમાં અલગ-અલગ ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો માની રહ્યા છે કે વિદ્યાર્થી પર કોઈ દબાણ હોઈ શકે છે, જ્યારે કેટલાક દ્વારા ધક્કો મારવામાં આવ્યો હોવાની પણ અટકળો કરવામાં આવી રહી છે. ત્રીજા માળેથી વિદ્યાર્થી નીચે પડ્યો હોવા છતાં શાળા તંત્ર દ્વારા ઘટનાને સામાન્ય ગણાવી પોલીસને જાણ ન કરવી એ સૌથી ગંભીર મુદ્દો બની રહ્યો છે. હાલ વિદ્યાર્થી ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. હવે આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે, તે તરફ સૌની નજર મંડાઈ છે.


