- કેજરીવાલ-સંજયસિંહે ટ્રાયલ કોર્ટની સુનાવણી મોકૂફ રાખવા માગ કરેલી
- ફરિયાદ દાખલ કરતા પૂર્વે સક્ષમ સત્તાની મંજૂરી ન હોવાનો દાવો કર્યો
- કોર્ટે કેસની સુનાવણી હાલ પૂરતી મોકૂફ્ રાખવા અપાયેલી અરજી ફ્ગાવી
ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને બદનક્ષીભર્યા ઉચ્ચારણો કરવાના પ્રકરણમાં યુનિવર્સિટી તરફ્થી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આપના નેતા સંજયસિંહ વિરુધ્ધ બદનક્ષી કેસમાં આપના નેતાઓ તરફ્થી ટ્રાયલ કોર્ટની સુનાવણી મોકૂફ્ રાખવા કરાયેલી માંગ મેટ્રોપોલીટન કોર્ટે ફ્ગાવી દીધી હતી. તો આપના નેતાઓ વિરૂધ્ધ આ પ્રકારની બદનક્ષીની ફરિયાદ દાખલ કરતાં પહેલાં સક્ષમ સત્તાધીશોની મંજૂરી લેવાઇ નહી હોઇ બદનક્ષીનો કેસ રદ કરવા કરાયેલી માંગણી કરતી અરજી પરનો ચુકાદો કોર્ટે આવતીકાલ પર રાખ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગુજરાત યુનિવસટી દ્વારા અરવિદ કેજરીવાલ અને સંજયસિંહ વિરુધ્ધ દાખલ કરાયેલા બદનક્ષી કેસમાં ગઇકાલે મેટ્રોપોલીટન કોર્ટમાં સાક્ષીઓ અને અરજીના પુરાવા તપાસવાના હતા, તેથી યુનિવસટી તરફ્થી ફરિયાદી રજિસ્ટ્રાર, સાક્ષીઓ પુરાવા સાથે તેમના વકીલ પહોંચી ગયા હતા પરંતુ સુનાવણી શરૂ થાય તે પહેલાં જ આપના નેતાઓ તરફ્થી તેઓની બદનક્ષી કેસની કાર્યવાહીને પડકારતી રિવીઝન અરજી ગુજરાત હાઇકોર્ટમાં પડતર હોવાથી અને તેમાં તા.22મી ફેબ્રુઆરીની મુદત હોવાથી આ કોર્ટની સુનાવણી મોકૂફ્ રાખવા અરજી અપાઇ હતી. જો કે, ટ્રાયલ કોર્ટે અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ તરફ્થી કેસની સુનાવણી હાલ પૂરતી મોકૂફ્ રાખવા અપાયેલી અરજી ફ્ગાવી દીધી હતી. વધુ એક અરજી એવી પણ થઈ કે, સીઆરપીસીની કલમ-197 મુજબ અરજી કરાઇ હતી અને એવી માંગણી કરાઇ હતી કે, પ્રસ્તુત કેસમાં અરજદાર એ જાહેર લોકસેવક છે અને તેથી તેમની સામે કાર્યવાહી કરવા માટે સક્ષમ સત્તાવાળાની જરૂરી મંજૂરી લેવી પડે, જે આ કેસમાં લેવાઇ નથી અને સીધી જ બદનક્ષીની ફરિયાદ દાખલ કરાઇ છે, તેથી તે ચાલી શકે નહી.
ફરિયાદપક્ષ તરફ્થી એડવોકેટ અમીત નાયરે આ અરજીનો સખત વિરોધ કર્યો હતો અને જણાવાયું હતું કે, આરોપીઓ વિરૂદ્ધ બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા માટે કોઇ સત્તાવાર મંજૂરીની જરૂર રહેતી નથી. કારણ કે, અરજદારો પોતે જાહેર લોક સેવક હોવા છતાં તેમણે મર્યાદાનું ઉલ્લંઘન કરી ગુજરાત યુનિવર્સિટીની બદનામી અને છબી ખરડાય તે પ્રકારે બેફમ અને વાંધાનજક ઉચ્ચારણો કર્યા છે, તેથી બદનક્ષીની ફરિયાદ તેઓની વિરૂધ્ધ થઇ શકે. 197 હેઠળના મુદ્દા પરની અરજીનો ચુકાદો કોર્ટે આવતીકાલ પર રાખ્યો છે.


