- દૂરથી આવેલા વિદ્યાર્થીઓનું સ્ટેજ પરથી પદવીનું માન હણાયું
- કુલ 953 વિદ્યાર્થીઓને પદવી એનાયત, 43 વિદ્યાર્થીને પારિતોષિક
- સ્ટેજ પર પ્રથમવાર મહેમાનોની બેઠક વ્યવસ્થામાં ખુરશીઓ ગોઠવાઈ હતી
ગૂજરાત વિદ્યાપીઠમાં 18મી ઓક્ટોબરને બુધવારના 69મો પદવીદાન સમારોહમાં અનેક નવી વ્યવસ્થાઓ સાથે કેટલીક વર્ષો જૂની પરંપરા તુટી હતી. પદવીદાન દિવસે પારિતોષિક સહિત તમામ પદવીધારકોને મુખ્ય મહેમાન, કુલપતિ તેમજ કુલનાયકના હસ્તે સ્ટેજ પરથી પદવી એનાયત કરવા સામે આ વખતે સ્ટેજ પરથી માત્ર પારિતોષિક જ એનાયત થયાં હતા. જેથી માઈલો દૂર ગુજરાતના સરહદી વિસ્તારમાંથી મુખ્ય મહેમાન અથવા તો કુલપતિ, કુલનાયકના હસ્તે પદવી મેળવવાની ખુશી સાથે આવેલા વિદ્યાર્થીઓમા ભારે નારાજગી જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે, કુલપતિના દીક્ષાંત પ્રવચન બાદ આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જાણે કોઈ ફોટો સેશન શરૂ થયું હોય એવી રીતે વિદ્યાર્થીઓને ફેકલ્ટી પ્રમાણે કુલપતિ, કુલનાયક તેમજ ટ્રસ્ટીઓ સાથે ગ્રુપ ફોટો સેશન થયું હતુ, જે પણ આ વખતે નવી બાબત હતી. વળી, કાર્યક્રમ બાદ જાણે કોઈ ફૂડ પેકેટ વિતરણ થતાં હોય એવી રીતે ફેકલ્ટી પ્રમાણે પદવીનું વિતરણ કરતાં વિદ્યાર્થીઓ નજરે પડયાં હતાં.
પદવીદાન સમારોહમાં રાજ્યના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષસ્તામાં 451 વિદ્યાર્થી તેમજ 502 વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 43 વિદ્યાર્થીઓને પારિતોષીક એનાયત થયાં હતા, જેમાં 10 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર અને 43 તામ્રપત્ર હતાં. પદવી તેમજ પારિતોષિક મેળવનારમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે પદવીદાન સમારોહમાં જે નવી બાબતો જોવા મળી એમાં વિદ્યાપીઠની વિવિધ એક્ટિવિટીનું પ્રદર્શન કરતાં સ્ટેજ બનાવાયાં હતા. જેમાં દિનચર્યા, પ્રાકૃતિક ચિકિત્સા, ઉદ્યોગ, યોગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઓર્ગેનિક ફાર્મિંગ સહિતની એક્ટિવિટીઓ રજૂ કરાઈ હતી. આ સિવાય સ્ટેજ પર પ્રથમવાર મહેમાનોની બેઠક વ્યવસ્થામાં ખુરશીઓ ગોઠવાઈ હતી. અત્યાર સુધીમાં પાટ અથવા તો નીચે બેઠક વ્યવસ્થા ગોઠવાતી હતી. આ સિવાય મંડપનું કાપડ પણ ખાદીનું વપરાતું હતું. આ સિવાય વિદ્યાપીઠને આ વખતે મુખ્ય મહેમાન જ મળ્યા ન હોવાની ચર્ચાએ પણ જોર પકડયું હતું.
વિદ્યાપીઠે લુપ્ત થયેલા’અગણોતેર’ શબ્દનો પ્રયોગ કર્યો
ગૂજરાત વિદ્યાપીઠે તેના 69માં પદવીદાન સમારોહમાં સરાહનીય પ્રયાસ કરી લૂપ્ત થયેલા ‘અગણોતેર’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. ગુજરાતની 50 હજારથી વધુ શાળાઓ તેમજ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ ગૂજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક કાર્ય દરમિયાન 69નો શબ્દ પ્રયોગ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ અગણ્યોસિત્તેર તરીકે કરે છે, પરંતુ આજે પદવીદાન સમારોહમાં વિદ્યાપીઠને ‘અગણોતેર’ શબ્દનો પ્રયોગ કરતાં વિદ્યાર્થીઓ અને કેટલાક અધ્યાપકો પણ થોડા સમય માટે મૂંઝવણમાં મૂકાઈ ગયાં હતા. પાછળથી જાણ થઈ કે, વિદ્યાપીઠના શાસકો દ્વારા આજે લુપ્ત થયેલા શબ્દથી સૌને વાકેફ કર્યાં છે.
સેવ-મમરાના પેકેટ માફક પદવી મળી, ખૂબ દુઃખ થયું
પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન યોગામાં પદવી મેળવનાર 66 વર્ષિક જીતેન્દ્ર ખત્રી અને 65 વર્ષના તેમના પત્ની ભાવના ખત્રીએ જણાવ્યું હતુ કે, આ વખતે જે પ્રકારે તો જાણે સેવ-મમરાના પેકેટ વિતરણ થતાં હોય એ રીતે પદવીદાન સમારોહ યોજાયો, એ જોઈ ખૂબ જ દુખ થયું.’