સુપ્રીમ કોર્ટના જજોની અનુગામી બેન્ચો દ્વારા ચુકાદા પલટાવી દેવાની પ્રથાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ બી. વી. નાગરત્નાએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા ફક્ત એટલા માટે ના પલટવા જોઇએ કે તે ચુકાદા આપનારા જજ બદલાઇ ગયા છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો કે ન્યાયિક સ્વતંત્રતા અને કાયદાની સર્વોચ્ચતા મળીને સુનિશ્ચિત કરે છે કે કોઇપણ સમયમાં વર્તમાન રાજકીય દબાણના કારણે કાયદાનું શાસન નબળું નહીં પડે.
જજોને રાજકીય અને બાહ્ય પ્રભાવથી બચાવવા આ ઉદ્દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી આ બંને ખ્યાલ કાયદાના શાસન માટે મહત્વપૂર્ણ પાયા છે, જેમને ઓછા ન આંકી શકાય. જસ્ટિસ નાગરત્નાએ સોનીપતની એક ખાનગી યુનિવર્સિટીમાં ‘ન્યાયતંત્રની સ્વતંત્રતાઃ અધિકારો, સંસ્થાઓ અને નાગરિકો પર તુલનાત્મક દૃષ્ટિકોણ’ વિષય પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધતાં આ વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે કાયદાનું શાસન બેવડાં વિશ્વાસ પર આધારિત દૃષ્ટિકોણ છે. કોર્ટના ચુકાદાઓનો આદર કરવો એ કાનૂની બિરાદરી અને શાસન વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ લોકોનું કર્તવ્ય છે. જો કોઇ વાંધો હોય તો તે કાયદા મુજબની પરંપરા અનુસાર જ ઊઠાવવો જોઇએ. માત્ર એ કારણથી ચુકાદા ફગાવવા પ્રયાસ ના થવા જોઇએ કે હવે ચહેરા બદલાઇ ગયા છે. ન્યાયતંત્ર દેશના શાસન માટે એક મહત્વપૂર્ણ હિસ્સો છે. અદાલતોએ ઘણીવાર ભારતીયોના ભવિષ્ય સાથે સંકળાયેલા ઘણા મુદ્દા પર નિર્ણયો લેવા પડે છે. ન્યાયતંત્રની સ્વતંત્ર માત્ર જજોના ચુકાદાઓથી જ નહીં પણ તેમના વ્યક્તિગત આચરણથી પણ સુરક્ષિત રહે છે. જજોની વર્તણૂક શંકાથી પર હોવી જોઇએ અને એક નિષ્પક્ષ ન્યાયિક વ્યવસ્થા માટે રાજકીય અલગાવ ખૂબ જરૂરી છે.


