ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્હીમાં 23 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી ચૂંટણી સભાઓને સંબોધશે. 4 દિવસમાં 14 જેટલી સભાઓને સંબોધિત કરશે. જનમેદનીઓ સંબોધિત કરતા યોગી આદિત્યનાથ પક્ષની ઉપલબ્ધીઓ અને વિકાસ કાર્યોને લોકોની સમક્ષ મુકશે. તો સાથે જ વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર વાક્બાણ પણ છોડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે તમામ પક્ષો પોતાની રીતે તૈયારીઓમાં લાગી ગયા છે. દિલ્હીની ગાદી મેળવવા માટે ભાજપ એડી ચોટીનું બળ લગાવી રહી છે.
યોગી આદિત્યનાથનો જોવો મળશે આક્રમક અંદાજ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિલ્લીમાં 14 સભાઓ યોજીને જનતાને ભાજપને મત આપવા માટે આહ્વાન કરશે. ભાજપ પક્ષની આ જનસભાઓ ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા યોગી આદિત્યનાથની રેલીઓ માટે ભાજપ અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યું છે. પોતાની જાહેર સભાઓ દરમિયાન સીએમ યોગી પૂર્વાંચલી, ઉત્તરાખંડી અને હિન્દૂ મતદાતાઓને વધુ મતદાન કરવા માટે આહ્વાન કરશે. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં જાહેર સભાઓ સંબોધિત કરાશે.
જીત મેળવવા માટે ભાજપની તડામાર તૈયારીઓ
મતદાતાઓને પોતાની તરફ આકર્ષિત કરવા માટે ભાજપે મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને યુવાઓ માટે ખાસ રણનીતિ તૈયાર કરી છે. પાર્ટીના સંકલ્પ પત્રમાં મહિલાઓ માટે ખાસ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. તો ટૂંક સમયમાં સંકલ્પ પત્રોનો બીજો ભાગ પણ જાહેર કરવામાં આવશે. જેમાં યુવાઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ જાહેરાતો કરવામાં આવશે.
યુવાઓ માટે ખાસ યોજનાઓ
દિલ્હી ચૂંટણીમાં ભાજપ પોતાનો જાદુ ચલાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભા ગજવવા માટે તૈયાર છે. દિલ્હીની સત્તાથી દૂર રહેલું ભાજપ સિંહાસન મેળવવા માટે મજબૂત રણનીતિ બનાવી રહ્યું છે. યુવાઓ માટે યોજનાઓ જાહેર કરી પોતાની તરફ આકર્ષિત કરવા માટે વિવિધ જાહેરાત કરવામાં આવી રહી છે. ચૂંટણી માટે રણશિંગુ ફૂક્યા બાદ દિલ્હીના પક્ષો એક્ટિવ મોડમાં જોવા મળી રહયા છે. જનતા જનાર્દન માટે કરેલા વિકાસ કાર્યોની હારમાળાઓ રાજનૈતિક પક્ષો ગણાવી રહ્યા છે. તમામ સભાઓ, યોજનાઓ જાહેર કર્યા બાદ મતદાન કોને પક્ષે જાય છે તે તો સમય જ બતાવશે.