દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે દૃશ્યતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ્સ પર અસર પડી છે. એરલાઇન્સે આ અંગે એક એડવાઇઝરી જાહેર કરી છે. ઇન્ડિગો એરલાઇન્સની ટ્રાવેલ એડવાઇઝરીમાં ચેતવણી આપવામાં આવી છે કે હવામાનની સ્થિતિ ફ્લાઇટના સમયપત્રકને અસર કરી શકે છે અને દિલ્હી જનારા મુસાફરોને અસુવિધા પહોંચાડી શકે છે. ઇન્ડિગોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મુસાફરોને વર્તમાન હવામાન પરિસ્થિતિઓ અને કામગીરી પર તેની સંભવિત અસર વિશે માહિતી આપી હતી.
ઇન્ડિગોની એડવાઇઝરી જાહેર
ઇન્ડિગોએ તેની પોસ્ટમાં લખ્યું છે કે દિલ્હીમાં ઓછી દૃશ્યતા અને ધુમ્મસ ફ્લાઇટના સમયને અસર કરશે. અમે હવામાનનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છીએ અને તમે તમારા ગંતવ્ય સ્થાન પર સુરક્ષિત અને સરળતાથી પહોંચી શકો તે માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. અમે તમને અમારી વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા તમારી ફ્લાઇટની સ્થિતિ વિશે અપડેટ રહેવા વિનંતી કરીએ છીએ. અમારી ટીમો તમને દરેક તબક્કે મદદ અને સમર્થન આપવા માટે ઉપલબ્ધ છે. અમને આશા છે કે જેમ જેમ હવાઈ મુસાફરી સુધરશે અમે તમને ટૂંક સમયમાં વધુ સારી સેવા પ્રદાન કરી શકીશું, અને આ પડકારજનક સમયમાં તમારી ધીરજ અને સમજણ બદલ આભાર
એર ઇન્ડિયાની એડવાઇઝરી જાહેર
X પરની એક પોસ્ટમાં એર ઇન્ડિયાએ પણ ટ્રાવેલ એડવાઇઝરી બહાર પાડી છે. જેમાં લખ્યું હતું કે ગાઢ ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતા દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ફ્લાઇટ્સને અસર કરી રહી છે. કૃપા કરીને એરપોર્ટ પર જતા પહેલા https://www.airindia.com/in/en/manage/flight-status.html પર તમારી ફ્લાઇટ સ્ટેટસ તપાસો.”
દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું
મહત્વનું છે કે આજે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ ગઇ છે. જેના કારણે વિઝિબિલિટી શૂન્ય થતા ફ્લાઇટ પર તેની અસર પડી છે. પ્રતિકૂળ હવામાનને કારણે ફ્લાઇટમાં વિલંબ થવાની ધારણા છે. આગામી દિવસોમાં દિલ્હી માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં વધુ ફ્લાઇટ રદ અને વિલંબ થવાની સંભાવના છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, સોમવારે સવારે 8 વાગ્યે દિલ્હીનો AQI 452 નોંધવામાં આવ્યો હતો. રવિવારે સાંજે 4 વાગ્યે AQI 461 હતો.


