ટીઆરપી કાંડ બાદ કલેકટર ફૂંકી ફૂંકીને પીવે છે છાશ : ટીમ આપવા માટે કલેકટરે સરકારને કરી દખાસ્ત
લોકમેળાનું ઉદધાટન ભાજપના પ્રભારી રાઘવજીભાઇ પટેલ શનિવારે સાંજે ૪ વાગ્યે કરશે
રાજકોટના ટીઆરપી કાંડ બાદ સૌપ્રથમ વખત લોકમેળો યોજાઇ રહ્યો છે. હજારો લોકો એકસાથે મેળામાં એકઠાં થવાના છે અને ન કરે નારાયણ તેમા કોઇ દૂઘર્ટના થાય તો એક મજબૂત સુરક્ષા કવચ માટે એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટીમ મેળામાં તૈનાત રહે તેવા આશયથી કલેકટર પ્રભવ જોષીએ સરકારમાં દરખાસ્ત કરી એન.ડી.આર.એફ. અને એસ.ડી.આરે.એફ.ના જવાનો આપવા માગણી કરી છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં શનિવારથી શરૂ થતા લોકમેળાની તૈયારીને આખરી અપાઇ રહ્યો છે. મોટાભાગની રાઇડસ ઉભી થઇ ચુકી છે તો સ્ટોલ અને ડોમ પણ બની ગયા છે. તૈયારીના આ ધમધમાટ વચ્ચે હજુ પણ રાઇડસની વહીવટી મંજૂરી મળી નથી તેવુ આજે કલેકટર પ્રભવ જોષી સાથે મીડિયાકર્મીઓએ કરેલી વાતચીત દરમિયાન સતાવાર સામે આવ્યુ છે.
લોકમેળા આડે હવે માત્ર બે દિવસ જ બાકી છે. શનિવારે સાંજે ૪ વાગ્યે રંગારંગા કાર્યક્રમ સાથે મેળાનું ઉદઘાટન થવાનું છે. ત્યારે મેળાની સંપુર્ણ તૈયારી સજ્જ થઇ ચુકી છે. આખરી ઓપ અપાઇ રહ્યો છે. રમકડા, ખાણીપીણીના સ્ટોલ બની ગયા છે. તો મોટાભાગની રાઇડસ પણ ફીટ થઇ ચુકી છે. ગઇકાલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ચકાસણી માટે આવી હતી. અન્ડરગ્રાઉન્ડ કેબલ, ફાયર સેફ્ટી, એન્ટ્રી અને એક્ઝીટ ગેટની વ્યવસ્થા, ભાગાદોડી થાય તો મેળાની સ્પેશની જોગવાઇ સહિતની બાબતની ચકાસણી કરી હતી.
દરમિયાન ગઇકાલે કલેકટર પ્રભવ જોષી મેળાના ઉદઘાટન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને આમંત્રણ આપવા રૂબરૂ ગયા હતા. જો કે કોઇ સંજોગોવસાત તે ઉદઘાટન માટે આવી શકવાના નથી. તેના બદલે રાજકોટના પ્રભારી રાઘવજીભાઇ પટેલ આવશે. શનિવારે ૪ વાગ્યે રાઘવજીભાઇના હસ્તે લોકમેળો ખુલ્લો મુકવામા આવશે. દરમિયાન ટીઆરપી કાંડમાંથી ધડો લાડવો લઇને કલેકટરે મેળામાં પુરતુ લોકોને પુરતુ સુરક્ષા કવચ મળે તેવા આશયથી એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનો આપવા માટે માગણી કરી છે.
SOP બાબતે બહોળા જાહેર હિતને લઇને નિર્ણય લેવાશે : કલેકટર
ટીઆરપી અગ્નિકાંડ બાદ સરકારની નવી એસ.ઓ.પી.(ગાઇડલાઇન)માં એવુ સ્પષ્ટ જણાવવામા આવ્યુ છે. યાંત્રિક રાઇડસ સિમેન્ટ-કોંક્રિટના ફાઉન્ડેશન પર ઉભી કરવાની રહેશે. જો કે સરકારની આ એસ.ઓ.પી. સ્થાનિક પ્રશાસને અભેરાઇએ ચડાવી દીધી હતી. મેળાની તમામ રાઇડસ ઉભી થઇ ચુકી છે અને એકપણ રાઇડસ ફાઉન્ડેશન પર નથી. ત્યારે આ અંગે આજે મીડિયાકર્મીઓએ કલેકટર પ્રભવ જોષીને પુછેલા સવાલમાં તેમણે માત્ર એટલુ જ કહ્યુ હતુ કે, એસ.ઓ.પી.નો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યા બાદ બહોળા જાહેરહિતને લઇને નિર્ણય લેવાશે(જો કે રાઇડસ ઉભી પણ થઇ ચુકી છે, મેળાની તૈયારીને આખરી ઓપ પણ અપાઇ ગયો છે ત્યારે કલેકટરના આ જવાબ થોડો વિચિત્રભર્યો લાગે છે)
રાઇડસ માટે SOPના નિયમનું પાલન જરૂરી : કલેકટર
સોઇલ ટેસ્ટ મંજૂર હોય તો ફાઉન્ડેશન જરૂરી નથી : કોન્ટ્રાક્ટર
રાઇડસ મામલે ચાલતા વિવાદમાં હજુ પણ ચોક્કસ નિષ્કર્ષ આવ્યો નથી. એકબાજુ કલેકટરે આજે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, મેળામાં રાઇડસ સંચાલકો સહિત તમામ માટે સરકારની નવી એસ.ઓ.પી.નો અમલ ફરજીયાત છે. તો બીજીબાજુ એસ.ઓ.પી.થી વિરુધ્ધ ફાઉન્ડેશન વગર રાઇડસ ઉભી પણ થઇ ચુકી છે અને રાઇડ્સનો ખાનગી કોન્ટ્રાક્ટ લેનાર એવુ કહે છે કે, એસ.ઓ.પી.માં એવુ દર્શાવેલુ છે કે સોઇલ ટેસ્ટ મંજૂર થયો હોય એ જમીન પર ફાઉન્ડેશન વગર રાઇડસ ઉભી કરી શકાય છે.