બુલડોઝરની નોટિસ, ગરીબોના હૃદય પર ઘા
400 કરોડની જમીન, 20 હજાર જીવ અને ડિમોલિશનની તલવાર લટકતી હોવા છતાં કાર્યવાહી શરૂ પણ ન થઈ, છતાં ભયે લીધો 43 વર્ષીય યુવાનનો જીવ
હિન્દુ–મુસ્લિમ એકતાનું પ્રતીક બનેલો જંગલેશ્વર આજે આંસુઓમાં ડૂબ્યો કોંગ્રેસ રસ્તા પર, કોર્પોરેટર સહાનુભૂતિમાં; કલેક્ટર કચેરીમાં લોકોની હૈયાવરાળ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના વર્ષો જૂના અને ગરીબોની મહેનતથી વસેલા જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા આપવામાં આવેલી ડિમોલિશનની આખરી નોટિસે હજી બુલડોઝર ચાલ્યા વગર જ એક જીવ લઈ લીધો છે. સરકારી રેકોર્ડ મુજબ રૂ. 400 કરોડની સરકારી જમીન પર ખડકાયેલી 1358 મિલકતો દૂર કરવા માટે સાત દિવસની નોટિસ આપવામાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં ભય, અસુરક્ષા અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. આ માનસિક દબાણ વચ્ચે જંગલેશ્વરના રાધાકૃષ્ણ નગર શેરી નંબર 10માં રહેતા 43 વર્ષીય રામપ્રસાદ માયારામ ચૌહાણ નામના ભૈયાજી મજૂર યુવાનનું રાત્રે હાર્ટ એટેકથી મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ડિમોલિશનની કાર્યવાહી હજી શરૂ પણ થઈ નથી, માત્ર નોટિસ આપવામાં આવી છે, પરંતુ “ઘર તૂટી જશે, પરિવાર ક્યાં જશે?” જેવી સતત ચિંતા રામપ્રસાદ માટે જીવલેણ સાબિત થઈ. પરિવારજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાંક દિવસોથી તેઓ સતત તણાવમાં રહેતા હતા, ઊંઘ નહોતી આવતી અને વારંવાર કહેતા કે જો ઘર તૂટશે તો પત્ની-બાળકોને લઈને રસ્તા પર આવી જવું પડશે. અંતે આ માનસિક દબાણે તેમનો જીવ લઈ લીધો. એક ગરીબ મજૂરનું મોત હવે તંત્રની નિષ્ઠુરતા સામે મોટો પ્રશ્નચિહ્ન બની ઊભું થયું છે.
જંગલેશ્વર વિસ્તાર આજે સંપૂર્ણ રીતે અફરાતફરીના માહોલમાં છે. મહિલાઓના આંખોમાં આંસુ સુકાતા નથી, બાળકો ડરીને માતાના પલ્લુને પકડી રાખે છે અને વૃદ્ધો પોતાના જીવનભરના આશિયાણાને બચાવવાની લાચારી વ્યક્ત કરે છે. ઘણા પરિવારો તો પહેલેથી જ સામાન બાંધીને વૈકલ્પિક વ્યવસ્થા શોધવા માટે શહેરમાં ભટકતા નજરે પડે છે. રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવનાર લોકો માટે ભાડાનું મકાન લેવું પણ અશક્ય બની રહ્યું છે.
જંગલેશ્વર માત્ર ગરીબોની વસાહત નથી, પરંતુ વર્ષોથી હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું જીવંત ઉદાહરણ રહ્યું છે. અહીં દરેક તહેવાર સૌ સાથે મળીને ઉજવાય છે અને એકબીજાના દુઃખ-સુખમાં ભાગીદારી રહે છે. આ જ કારણથી જંગલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં રહેતા હિન્દુ સમાજના લોકો પણ ખુલ્લેઆમ જંગલેશ્વરના રહેવાસીઓના વહારે આવ્યા છે. હિન્દુ આગેવાનોએ કહ્યું છે કે, જો તંત્ર આ વિસ્તારને બેઘર કરશે તો તે માત્ર એક સમાજને નહીં, પરંતુ વર્ષોથી જીવંત રહેલી કોમી એકતાને પણ તોડશે.
ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે હવે લોકો રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચીને આવેદનપત્ર આપવાની તૈયારીમાં છે. માંગણી સ્પષ્ટ છે કે વર્ષોથી વસેલા લોકોને બેઘર ન કરવામાં આવે, અથવા તો સરકારના જંત્રી મુજબ ભાવ લઈને તમામ મિલકતો કાયદેસર કરવામાં આવે, નહીં તો વૈકલ્પિક આવાસ ફાળવવામાં આવે.
આ સમગ્ર અંધાધુંધીના માહોલમાં સૌપ્રથમ કોંગ્રેસ મેદાને આવી હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ડિમોલિશન અટકાવવાની માંગ કરવામાં આવી હતી અને ગરીબ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ, આટલી મોટી માનવિય સમસ્યા હોવા છતાં ભાજપના મોટા નેતાઓની ચુપ્પી અનેક સવાલો ઊભા કરી રહી છે. જો કે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવ જંગલેશ્વરના લોકોના વહારે આવ્યા છે અને ગરીબોના મકાન બચાવવાનો પ્રયાસ કરવાની જાહેરાત કરી છે.
જંગલેશ્વર અને આસપાસના વિસ્તારમાં અંદાજે 15 હજારથી વધુ લોકો વસે છે. કલેક્ટરે વધારાનો સમય આપવાની માંગ ફગાવી દેતા લોકોમાં વધુ ભય ફેલાયો છે. લોકોનો પ્રશ્ન છે કે જો જમીન વર્ષોથી સરકારી હતી તો વીજળી, પાણી, ડ્રેનેજ અને મતદાર યાદી કેવી રીતે બની? વર્ષો સુધી આંખ આડી કાન કરનાર તંત્ર આજે અચાનક બુલડોઝર કેમ લઈને ઊભું થયું છે? ડિમોલિશન હજી શરૂ થયું નથી, પરંતુ ભયે પહેલો શિકાર લઈ લીધો છે. રામપ્રસાદ ભૈયાજીનું મોત માત્ર એક વ્યક્તિનું મૃત્યુ નથી, પરંતુ તે તંત્રની અસંવેદનશીલતાનું જીવતું પ્રતીક બની ગયું છે. જો સમયસર માનવિય નિર્ણય નહીં લેવાય તો આ ભય, આ આંસુઓ અને આ રોષ તંત્ર સામે મોટું જનઆંદોલન બની શકે છે. આવો સ્પષ્ટ સંદેશ આજે જંગલેશ્વર વિસ્તાર આપી રહ્યો છે.
ગરીબોના આશિયાણે સંકટ, અનેક હિન્દુ સમાજો એક અવાજે ઊભા થયા
જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1400 જેટલી મિલકતોનું ડિમોલિશન કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત થયા બાદ સમગ્ર વિસ્તાર અચાનક ભય અને અંધાધુંધીના માહોલમાં ફેરવાઈ ગયો છે. વર્ષોથી વસેલા ગરીબ પરિવારો હવે “ઘર તૂટશે તો ક્યાં જઈશું?” જેવા પ્રશ્નો સાથે વ્યાકુળ બન્યા છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને ઘણા પરિવારો તો આવતીકાલની અનિશ્ચિતતાથી રાતભર ઊંઘી પણ શકતા નથી. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે જંગલેશ્વર વિસ્તાર એક નવી એકતાનું સાક્ષી બન્યો હતો. જંગલેશ્વરની આસપાસના વિસ્તારોમાં વસતા આહીર સમાજ, કોળી સમાજ, રજપૂત સમાજ, ભરવાડ સમાજ, દરજી સમાજ તથા ક્ષત્રિય સમાજના લોકો બહોળી સંખ્યામાં જંગલેશ્વર વિસ્તારમાં એકત્ર થયા હતા. તમામ સમાજોના આગેવાનો અને સ્થાનિક લોકો એક સુરે બોલ્યા હતા કે ગરીબોના ઘર તોડવાની કાર્યવાહી રોકવા માટે જે ભોગ આપવો પડે તે આપવા તૈયાર છીએ અને જંગલેશ્વરના રહેવાસીઓને એકલા નહીં છોડીયે.
વિવિધ સમાજોના આગેવાનોએ મિલકત ધારકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે વર્ષોથી અહીં રહેતા ગરીબ પરિવારોને બેઘર કરવાનું અન્યાયી છે. લોકોની મહેનતની કમાણીથી ઉભા થયેલા ઘરોને તોડી પાડવા કરતાં તંત્રએ માનવિય વલણ અપનાવવું જોઈએ. જો ડિમોલિશન અટકાવવાની માંગને અવગણવામાં આવશે તો આ લડત વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી.
સવારના સમયથી જ મોટી સંખ્યામાં લોકો એકત્ર થવા લાગતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું અને અલગ અલગ પોલીસ ટીમોને જંગલેશ્વર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવી હતી. રસ્તાઓ પર પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
એક તરફ તંત્ર ડિમોલિશનની તૈયારી કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ ગરીબોના ઘરો બચાવવા સમાજો એક થઈ રહ્યા છે. જંગલેશ્વર હવે માત્ર ડિમોલિશનની ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ ગરીબોના હક્ક, માનવતા અને સામાજિક એકતાની કસોટી બની ગયું છે. હવે બધાની નજર તંત્રના આગામી નિર્ણય પર મંડાઈ છે કે શું ગરીબોની આ વ્યથા સાંભળવામાં આવશે કે પછી બુલડોઝરની ગુંજ જંગલેશ્વરમાં બધું ચૂપ કરી દેશે.
જંગલેશ્વરના ગરીબોને પડ્યા પર પાટુ, તક સાધુઓએ ભાડાની ઓરડીના ભાવ 4 ગણા વધારી દીધા
જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1400 જેટલી મિલકતો તોડી પાડવા માટે તંત્ર દ્વારા આખરી નોટિસ ફટકારવામાં આવતા સમગ્ર વિસ્તાર ભય અને અનિશ્ચિતતાના માહોલમાં ફસાઈ ગયો છે. એક તરફ ગરીબ પરિવારો આશિયાણું બચાવવાની ચિંતા કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ પરિસ્થિતિને ‘તક’માં ફેરવી અમુક તકસાધુઓ ખુલ્લેઆમ નાણાં કમાવા મેદાનમાં ઉતરી આવ્યા છે.
ડિમોલિશનની જાહેરાત પહેલાં જંગલેશ્વર અને તેની આસપાસ ખાલી પડેલી, કાયદેસર મિલકતોમાં ભાડું સામાન્ય રીતે 1000થી 1500 રૂપિયાના દરે મળતું હતું. પરંતુ હવે, જ્યારે બેઘર થવાનો ભય મંડરાઈ રહ્યો છે, ત્યારે એ જ ઓરડીઓ અને મકાનોના ભાડા રાતોરાત ત્રણથી ચાર ગણાં વધારી દેવામાં આવ્યા છે. હાલ પરિસ્થિતિ એવી છે કે જે મિલકત અગાઉ 1500 રૂપિયામાં મળતી હતી, તેના માટે હવે 3500થી 4000 રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગરીબ પરિવારો માટે જાણે પડ્યા ઉપર પાટુ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. “જો રાતોરાત ઘર ખાલી કરવું પડે તો ક્યાં જઈશું?” એવા પ્રશ્ન સાથે અનેક પરિવાર ભાડાની ઓરડીઓ શોધવા નીકળ્યા છે, પરંતુ જંગલેશ્વર વિસ્તારમાં હવે ભાડાની ઓરડીઓ મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. જ્યાં મળે છે, ત્યાં આસમાને પહોંચેલા ભાડાં ગરીબોની પહોંચ બહાર છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અમુક તકસાધુઓ આ સંકટની ઘડીને પણ કમાણીનું સાધન બનાવી રહ્યા છે. માનવતા ભૂલીને લોકોની લાચારીનો લાભ લેવાઈ રહ્યો છે. ગરીબોના ઘર તૂટવાની ભીતિ વચ્ચે કોઈ સહાનુભૂતિ બતાવવાને બદલે ભાડાં વધારીને તેમની મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જંગલેશ્વરમાં ડિમોલિશનની કાર્યવાહી હજુ શરૂ પણ થઈ નથી, પરંતુ તેની અસરથી ગરીબોની જિંદગી અસ્તવ્યસ્ત બની ગઈ છે. એક તરફ તંત્રની નોટિસનો ભય, બીજી તરફ તકસાધુઓની લૂંટ, આ બંને વચ્ચે ગરીબ પરિવારો પીસાઈ રહ્યા છે. .


