અરજદારોને રૂા.૭૯.૬૭ લાખનો ફાયદો કરાવી દીધો હતો : રેકર્ડના આધારે પૂછપરછ થશે
સરકારી અધિકારીઓ દ્વારા નોકરી દરમિયાન નાના પાયે ભ્રષ્ટાચારની ફરિયાદો અને કટકીની ફરિયાદો હવે સામાન્ય થઇ ગઇ છે. કેટલાક આઇએએસ અધિકારીઓ અને સેકન્ડ કેડરના અધિકારીઓની હિંમત હવે એસ.કે.લાંગાની જેમ ખૂબ ખૂલી ગઇ છે. સમગ્ર સરકારને પડકાર ફેંકતા હોય તેમ રેવન્યુ રેકર્ડ સાથે ચેડા કરી બિલ્ડરો અને ધંધાર્થીઓને સરકારી જમીન પાણીના ભાવે પધરાવી દઇ આ અધિકારીઓ રાતો રાત કરોડપતિ બની જાય છે. બાદમાં સસ્પેન્શન કે નોકરીમાંથી દૂર કરવાના પગલાં લેવામાં આવે તો પણ તેમને કોઇ ફરક પડતો નથી. કચ્છના જમીન કૌભાંડમાં નાયબ કલેકટર જે.ડી.જોશીની લાખો રૂપિયાની જમીન પધરાવી દેવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. રેવન્યુ રેકર્ડના આધારે તેની સામે ચાર્જશીટ ફ્રેમ કરી વધુ પગલાં લેવાશે.
પ્રાપ્ત માહિતી મુજબ ભુજ ગ્રામ્ય મામલતદાર ભરતકુમાર નવીનચંન્દ્ર શાહએ ભુજના નિવૃત પ્રાંત અધિકારી નાયબ કલેકટર જે.ડી.જોષી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ગત ૨૮ માર્ચ ૨૦૦૭થી ૩૦ એપ્રિલ ૨૦૦૮ દરમિયાન બન્યો હતો. આરોપીએ પોતાના ફરજ કાળ દરમિયાન માધાપરના અરજદાર રામજી સામજી પીંડોરીયાની માધાપર સીમ સર્વે ૧૦૪૪ અને નવા સીમ સર્વે નંબર ૩૬૫/૧ એકર ૭.૩૦ ગુંઠા જમીન શ્રી સરકાર હોઈ જે જમીન દબાણ નિયમબધ્ધ કરી આપવા જમીન અરજદારને વિના મુલ્ય આપી સરકારને ૨૩,૫૪,૪૦૦નું નૂકશાન પહોંચાડ્યું હતું.
તેમજ કનૈયાબે ગામે એશિયા મોટર વર્ક લીમીટેડ કંપની બિનખેડૂત હોવા છતાં અરજદારને ખેતીની જમીન એકર ૨.૦૧ ગુઠા વધારા બાબતે પોતાની પાસે અધિકાર ન હોવા છતાં જમીનના દબાણને નિયમબધ્ધ કરીને અઢી ગણુ પ્રિમીયમ લેવાને બદલે રૂપિયા ૮૧,૯૫૦ લઈને સરકારને રૂપિયા ૩૯,૨૬,૬૦૦નું નૂકશાન પહોંચાડયું હતું. તથા ભુજના જુના સર્વે નંબર ૮૩૯/૧ અને નવા સર્વે નંબર ૮૩૨/૨ વાળી ૩ એકર ૮.૨૩ ગુંઠાવાળી જમીન કુલે ૧૧.૦૬ ગુઠાવાળી જમીન વધારો ૩ એકર નિયમિત કરવા ભુજના દિલીપકુમાર શ્યામદાસ કબીરપંથીને આરોપીએ નિયમબધ્ધ કરી આપી સરકાર સાથે ૧૫,૭૮, ૨૫૫ આર્થિક નૂકશાન પહોંચાડયું હતું.
પધ્ધર પાસેના શ્રૃજન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ચંદાબેન શ્રોફએ પધ્ધર જુનાસર્વે નંબર ૪૭ પૈકી એકર ૪.૦૬ ગુઠા તથા જુના સર્વે નંબર ૪૭ પૈકી ૪.૦૫ ગુઠા એમ કુલ ૮.૧૧ ગુઠા અને નવા સર્વે નંબર ૭૦૫ પૈકી ૧ એકર ૪.૦૭ તથા ૭૦૫ પૈકી ૨ એકર ૪.૦૮ કુલ ૮.૧૫માં માપણી વધારો ૦.૦૪ ગુંઠા નિયમિત કરી દેવાની માગણીમાં આરોપીએ દબાણ નિયમિત કરીને ૧,૦૮,૦૦૦ પ્રિમયમ લેવાને બદલે માત્ર ૧૦ જેવી નજીવી કિંમત લઈને સરકારને ૧,૦૮,૦૦૦નું આર્થિક નૂકશાન પહોંચાડી આમ આરોપીએ અરજદારોની અરજી સામે નિયમ મુજબ થતી કાર્યવાહી નહીં કરીને સરકારને કુલે રૂપિયા ૭૯,૬૭,૫૫૫નું આર્થિક નૂકશાન પહોંચાડયું હતું.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જે.ઠુમરના જણાવ્યા પ્રમાણે આ ગંભીર બનાવમાં એલસીબી અને સ્થાનિક પોલીસની મદદથી મુળ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ગામના હાલે વડોદરાના ૧૫૬ ઓચીર્ડ બંગલો રિલાયન્સ મોલ પાછળ અક્ષર ચોક ખાતે રહેવાસીની ધરપકડ બહુચરાજીથી કરવામાં આવી છે. હાલ આ કેસમાં પોલીસ દ્વારા રેવેન્યુ રેકર્ડના આધારે પુછપરછ હાથ ધરવામાં આવશે. ફરીયાદ નોંધાવા બાદ ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પડાયા હતા.