- સંબંધોમાં ખટાશ છતાં માલદીવમાં ભારતના પ્રોજેક્ટ્સમાં પ્રગતિ
- માલદીવમાં પ્રોજેક્ટ્સ માટે લગભગ 700 કરોડ રૂપિયા ફાળવ્યા
- ફાળવવામાં આવેલ રકમ ગત નાણાકીય વર્ષ કરતા લગભગ બમણી
માલદીવમાં જ્યારથી મોહમ્મદ મુઈજ્જુની સરકાર બની છે ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. જો કે, પરસ્પર તણાવ છતાં, માલદીવમાં ચાલી રહેલા ભારતના પ્રોજેક્ટ્સમાં પ્રગતિ જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ ભારત દ્વારા માલદીવને આપવામાં આવતી આર્થિક મદદ છે. પરસ્પર કડવાશ હોવા છતાં ભારતે માલદીવને આપવામાં આવતી મદદ રોકી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતે ચાલુ નાણાકીય વર્ષ માટે માલદીવમાં પ્રોજેક્ટ્સ માટે લગભગ 700 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ ગત નાણાકીય વર્ષ કરતા લગભગ બમણી છે. મતલબ કે ચાલી રહેલા તણાવ છતાં ભારતે સહાયની રકમમાં વધારો કર્યો છે.
મુઈજ્જુના વિચારોને કારણે બંને દેશો વચ્ચે કડવાશ વધી
મુઈજ્જુ સત્તામાં આવ્યા પહેલા ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ઘણા સારા હતા. ભારત પોતાના પાડોશી દેશને નાના ભાઈ તરીકે જોતો હતો. ભારતે ત્યાં મેડિકલ વ્યવસ્થાથી લઈને સુરક્ષા સુધીની તમામ જવાબદારી પોતાના ખભા પર લીધી હતી.
સત્તામાં આવ્યા બાદ મુઈજ્જુએ ચીનને આપ્યું મહત્વ
જો કે, સત્તામાં આવ્યા બાદ મુઈજ્જુએ ભારતને બદલે ચીનને વધુ મહત્વ આપ્યું. ચૂંટણી જીત્યા બાદ તેમણે માલદીવના વર્ષો જૂના ઈતિહાસને તોડીને સૌથી પહેલા ભારતને બદલે ચીનની મુલાકાત લીધી હતી.
મુઈજ્જુએ બેજિંગ સાથે કર્યા મહત્વના કરાર
ચીનની મુલાકાત દરમિયાન મુઈજ્જુએ બેજિંગ સાથે કેટલાક મહત્વપૂર્ણ કરાર પણ કર્યા હતા. તેમણે ભારત સરકાર સાથે આ કરારો વિશે માહિતી પણ શેર નથી કરી. આ ઉપરાંત તેઓ માલદીવમાં તૈનાત ભારતીય સુરક્ષા જવાનો પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. આ જ કારણ છે કે ભારત સરકારે મે સુધીમાં પોતાના સૈનિકોને ત્યાંથી બોલાવવાનો નિર્ણય કર્યો છે.


