દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુના બહુ મોટા ભક્ત હતા. નારદજી પૂર્વજન્મમાં એક ગંધર્વ હતા અને પછી તેઓ બ્રહ્માજીના સાત માનસપુત્રોમાંથી એક પુત્ર તરીકે વૈશાખ વદ એકમના દિવસે અવતર્યા. નારદજી અહીંની વાત ત્યાં કરતા અને ત્યાંની વાત અહીં. તેઓ બે લોકો વચ્ચે આગ લગાવવાનું કામ કરવા માટે ઘણા પ્રસિદ્ધ હતા, પરંતુ તેમના આમ કરવા પાછળ કોઈ ચોક્કસ હેતુ હતો. તેમને મનુષ્ય, દેવ, દાનવ એમ સૌ કોઈ માનતા હતા. તેઓ જ્યાં પણ જાય ત્યાં માન-સન્માન મળતું. તેમને સંપૂર્ણ બ્રહ્માંડની ખબર રહેતી કે ક્યાં શું થઈ રહ્યું છે, તેથી કહી શકાય કે તેઓ દુનિયાના પહેલા પત્રકાર હતા. તેમના હાથમાં વીણા રહેતી અને મુખ પર નારાયણ-નારાયણનો જાપ. સતત ભ્રમણ કરતા રહેતા અને સંદેશાઓ આપતા-પહોંચાડતા રહેતા.
ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોમાંથી દેવર્ષિ નારદને ત્રીજો અવતાર માનવામાં આવે છે. નારદજીને સંગીતના આદ્ય આચાર્ય માનવામાં આવે છે.
કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર બધા જ જીવોનું કલ્યાણ કરવું એ જ તેમનો સંકલ્પ હતો, તેથી તેઓ દરેકને તેમની સમસ્યાનું સમાધાન જણાવે છે. ભગવાનના ભક્તોને ભક્તિનો માર્ગ બતાવે છે. તેમને ભક્તિસૂત્રના નિર્માતા પણ માનવામાં આવે છે. તેઓ નારદસંહિતાના રચનાકાર હતા. તેમણે જ્યોતિષ વિજ્ઞાનના વ્યવહારુ ઉપયોગ પર પણ ઘણો પ્રકાશ પાડ્યો છે. નારદ ભક્તિસૂત્રમાં ભક્તિને સૂક્ષ્મ રૂપે વર્ણિત કરવામાં આવી છે. નારદ અવતાર દરેક માટે પ્રેરણાસ્રોત છે.
નારદમુનિને સમજવા સહેલા નથી. આમ તો તેઓ હંમેશાં ખુશ અને આનંદિત દેખાય છે, પરંતુ તેટલા જ ગંભીર અને વિદ્વાન પણ છે. પૌરાણિક કથાઓ અનુસાર તેમણે ભગવાન વિષ્ણુનાં ઘણાં કામ કર્યાં છે. નારદજીને ભગવાન વિષ્ણુના સંદેશાવાહક પણ માનવામાં આવે છે. તેઓ હંમેશાં ત્રણેય લોકોમાં ફરતા રહેતા અને દેવ, દાનવ અને માનવને જાણકારીઓ આપતા રહેતા. શબ્દકલ્પદ્રુમામાં તેમને ભક્તિની વાતો કરનારા માનવામાં આવ્યા છે. તેમની સાથે ઘણી રસપ્રદ ઘટનાઓ જોડાયેલી છે.
એકવાર નારદજી ફરતાં ફરતાં ડાકુ રત્નાકારના ક્ષેત્રમાં પહોંચ્યા. રત્નાકરે નારદજીને લૂંટવા માટે રોક્યા. ત્યારે નારદજીએ કહ્યું, `ભાઈ, મારી પાસે તો માત્ર આ વીણા છે. તું તેને રાખી લે, પરંતુ એક વાત મને જણાવ કે તું આ પાપ શા માટે કરી રહ્યો છે?’
ત્યારે લૂંટારા રત્નાકરે કહ્યું, `પોતાના પરિવાર માટે.’ આ સાંભળી નારદજીએ કહ્યું, `સારું, પરંતુ તું અત્યારે તારા પરિવારને એક સવાલ પૂછી આવ કે શું તેઓ તારા પાપમાં ભાગીદાર છે?’
રત્નાકર દોડીને ઘરે પહોંચ્યો અને સવાલ કરતાં જવાબ મળ્યો, `અમારી સારસંભાળ રાખવી એ તો તમારું કર્તવ્ય છે, પરંતુ અમે તમારા પાપમાં ભાગીદાર નથી.’
આ સાંભળી દુ:ખી હૃદયે રત્નાકર નારદજી પાસે પાછા આવ્યા અને સમયાંતરે નારદજીની મદદથી તેઓ રત્નાકરમાંથી વાલ્મીકિ ઋષિ બની ગયા. તેમને રામાયણ લખવાની પ્રેરણા પણ નારદજી પાસેથી જ મળી હતી.