નવા વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામોમાં હર હર મહાદેવ અને જય માતાજીનો નાદ ગુંજી ઉઠયો
સોમનાથ, દ્વારકા, પાવાગઢ, અંબાજી સહિતના મંદિરોમાં ભકતોનું ઘોડાપુર : આરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઇ ધન્યતા અનુભવી : ૨૦ લાખથી વધુ પ્રવાસી ઉમટી પડયા
વર્ષ 2026ની સવાર ભક્તિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સાથે ઉગી છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં નવા વર્ષના પ્રારંભે આસ્થાનો એવો જુવાળ જોવા મળ્યો છે કે તમામ મુખ્ય મંદિરોમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું હોય તેવા દૃશ્યો સર્જાયા છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈને શક્તિપીઠ અંબાજી સુધી ‘હર હર મહાદેવ’ અને ‘જય માતાજી’ના નાદ ગુંજી રહ્યા છે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં અંદાજે 7થી 8 લાખ શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે. સમુદ્ર કિનારે વસેલું સોમનાથ મંદિર નવા વર્ષે ભક્તિમય બની ગયું છે અને વહેલી સવારની આરતીમાં હજારો ભક્તોએ હાજરી આપી સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી.
પંચમહાલનું પાવાગઢ પર્વત ‘જય મહાકાળી’ના જયઘોષથી ગાજી ઉઠ્યું છે. નવા વર્ષે મા મહાકાળીના આશીર્વાદ લેવા વહેલી સવારથી લાંબી કતારો લાગી હતી. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે પણ મા અંબાના દર્શન કરવા માટે લાખો માઈભક્તો પહોંચ્યા છે. મંદિરને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે અને સમગ્ર ચાચર ચોક ગરબા અને ભક્તિના રંગે રંગાયો છે.
જગતમંદિર દ્વારકામાં પણ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ગોમતી ઘાટ પર સ્નાન કરી ભક્તો કાળિયા ઠાકોરના શરણમાં પહોંચ્યા હતા. દ્વારકાની તમામ હોટલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે લોકોએ મોજ-મજાના બદલે આધ્યાત્મિકતા સાથે વર્ષનો પ્રારંભ કરવાનું વધુ પસંદ કર્યું છે.
ભક્તોના આ ભારે ધસારાને પહોંચી વળવા માટે ગુજરાત પોલીસ અને મંદિર ટ્રસ્ટો દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને વૃદ્ધો તથા બાળકો માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે 2026ના નવા વર્ષના પ્રારંભે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ મંદિરે પવિત્ર ધનુર્માસ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુવાર, 1 જાન્યુઆરી, 2026ના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પ્રાકૃતિક શણગાર સાથે વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ અન્નકૂટમાં કુલ 251 કિલો સુખડી, મેસુબ, અડદિયો અને મોહનથાળ જેવા વિવિધ મિષ્ટાનનો સમાવેશ થતો હતો. ધનુર્માસના પાવન અવસર પર મંદિરમાં ભક્તિભાવ અને જયઘોષ ગુંજી ઉઠ્યા હતા.
નવા વર્ષ નિમિત્તે માત્ર અંબાજી જ નહીં, પરંતુ રાજ્યભરના અન્ય મંદિરોમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, તેઓ દર વર્ષે નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને જ કરે છે. અંબાજી મંદિરમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો, જ્યાં ચારેય બાજુ ભક્તિમય માહોલ છવાયેલો હતો.


