DGCAએ સ્પષ્ટતા કરી છે કે સ્ટેટ ઓફ ડિઝાઇન દ્વારા જાહેર કરાયેલી એરવર્થિનેસ ડાયરેક્ટિવ્સના આધારે આ તપાસ જરૂરી બનાવવામાં આવી છે. આ નિયમ ભારતમાં નોંધાયેલા તમામ વિમાનો, એન્જિન અને ઘટકો પર લાગુ કરાશે. DGCAના ધ્યાનમાં આવ્યું છે કે SAIB મુજબ ઘણા ઓપરેટરો, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને, તેમના વિમાન કાફલાનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે. ક્ષતિગ્રસ્ત વિમાનના તમામ એરલાઇન ઓપરેટરોને 21 જુલાઈ 2025 સુધીમાં તપાસ પૂર્ણ કરવાની સલાહ અપાઇ છે.
તમામ અહેવાલ સુપરત કરાશે
અમદાવાદમાં એર ઇન્ડિયા અકસ્માત અંગે AAIBના અહેવાલ પછી નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આદેશ જાહેર કર્યો છે. DGCAએ તમામ ભારતીય રજિસ્ટર્ડ ફ્લાઇટ્સના એન્જિન ફ્યુઅલ સ્વિચની ફરજિયાત તપાસ કરવાના આદેશો જાહેર કર્યા છે. AAIBના અહેવાલ પછી આ પગલું લેવામાં આવ્યું છે. તપાસ પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ 21 જુલાઈ 2025 છે. તપાસ બાદ નિરીક્ષણ યોજના અને અહેવાલ સંબંધિત પ્રાદેશિક કાર્યાલયને માહિતી આપીને તમામ અહેવાલ સુપરત કરવામાં આવશે.
તમામ જરૂરી તપાસ કરાઇ
અમદાવાદ અકસ્માતમાં વિમાન, VT-ANB વર્ષ 2023થી સ્વચ્છ જાળવણી રેકોર્ડ ધરાવતુ હતુ. અહેવાલમાં સામે આવ્યું છે કે તમામ જરૂરી તપાસ કરવામાં આવી હતી અને વિમાન પાસે માન્ય ઉડ્ડયન યોગ્યતા પ્રમાણપત્રો હતા. એર ઇન્ડિયા ફ્લાઇટ AI171 અકસ્માતની શરૂઆતની તપાસમાં કહેવામાં આવ્યું છે કે વિમાન ક્રેશ થયાના થોડાક સેકન્ડ પહેલા, એક પાઇલટે બીજાને પૂછ્યું કે તેણે એન્જિનમાં બળતણ કેમ બંધ કર્યું. પરંતુ બીજા પાઇલટે તેમ કરવાનો ઇનકાર કર્યો. આ અહેવાલ બાદ, એતિહાદ એરવેઝે તેના એન્જિનિયરોને B-787 ફ્લાઇટ્સમાં સ્વિચના લોકીંગ મિકેનિઝમ તપાસવા કહ્યું છે. અન્ય એરલાઇન્સે પણ સમાન પગલાં લેવાનું શરૂ કર્યું છે.