રાષ્ટ્રીય સેમિનારમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સૌથી જૂની અને ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે તા. ૧૪ માર્ચ, ૨૦૨૬ શનિવારનાના રોજ “સસ્ટેનેબલ સમાજમાં આર્ટ્સ અને હ્યુમેનિટીઝની ભૂમિકા” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર કોલેજના કેમ્પસ ખાતે યોજાશે.
આ સેમિનારનું આયોજન ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ દ્વારા એલ્યુમ્નાઈ એસોસિએશનના સહયોગથી કરવામાં આવશે. કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશ એન. રાવલ દ્વારા આપવામાં આવી રહ્યું છે અને કોલેજની સમગ્ર ટીમ દ્વારા તેને સફળ બનાવવા માટે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. આ સેમિનારના મુખ્ય પ્રેરક તરીકે દિલીપકુમાર રાણા (IAS), કમિશનર ઓફ હાયર એજ્યુકેશન, ગુજરાત રાજ્ય રહેશે તેમજ ડૉ. યોગેશ યાદવ, Joint CEO, Knowledge Consortium of Gujarat (KCG)નો સહયોગ પ્રાપ્ત છે.
સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે પ્રોફે. (ડૉ.) દિલીપ બારડ, હેડ – અંગ્રેજી વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. વિષય નિષ્ણાત તરીકે ડૉ. કે.કે. ખખ્ખર (ભૂતપૂર્વ પ્રોફેસર અને વડા, અર્થશાસ્ત્ર વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) તથા ડૉ. ક્ષિતિજા પ્રશાંત ગાંધી (પ્રિન્સિપાલ, પ્રતિભા કોલેજ ઓફ કોમર્સ એન્ડ કમ્પ્યુટર સ્ટડીઝ, પુણે ) ઉપસ્થિત રહી પેપર રજુ કરશે.
સેમિનારમાં આર્ટ્સ અને હ્યુમેનિટીઝ દ્વારા માનવ મૂલ્યો, સામાજિક સુમેળ, પર્યાવરણ જાગૃતિ, સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ તથા માનવ જીવનના સર્વાંગી વિકાસમાં થતી ભૂમિકાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં માનવતા, વિચારશીલતા અને જવાબદાર નાગરિકતાના વિકાસ માટે આર્ટ્સ અને હ્યુમેનિટીઝનું મહત્વ વધુ ઊભરતું જઈ રહ્યું છે. દેશભરના ૨૭૦થી વધુ પ્રોફેસરો, સંશોધકો અને વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લેશે તેમજ તેમનાં દ્વારા ૮૦ થી વધુ અલગ-અલગ પેટા થીમમાં સંશોધન પેપરો રજૂ કરવામાં આવશે. પસંદગી થયેલ સંશોધન પેપરોને ISSN ધરાવતા રેફરીડ અને પીઅર રિવ્યૂ જર્નલમાં પ્રકાશિત કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સેમિનારના સંયોજક તરીકે ડૉ. મનીષ વ્યાસ કાર્ય કરી રહ્યા છે અને આયોજન સમિતિના વિવિધ સભ્યો સહિતના સભ્યો જોડાયેલા છે.
આ રાષ્ટ્રીય સેમિનાર દ્વારા આર્ટ્સ અને હ્યુમેનિટીઝના માધ્યમથી માનવ જીવનમાં સુખ, સંતુલન અને ટકાઉ વિકાસ માટેના નવા વિચારો પર ચર્ચા કરીને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન પ્રાપ્ત થાય તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.


