- અકસ્માતમાં પાંજરાપોળમાંથી પશુ ભરેલી આઈસર ટ્રક પલટી ખાતા એક બળદ પણ ઇજાગ્રસ્ત,
- ઇકોમાં શ્રામિકો પોતાના વતન જઈ રહ્યા હતા : ઈજાગ્રસ્તોને ધંધૂકા ખસેડાયા
- ત્રણ ની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી
ધંધૂકા ફેદરા માર્ગ પર વખતપર પાટિયા નજીક શનિવારે સવારના સુમારે આઈસર ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. ઇકો કારમાં સવાર લોકો પૈકી 8 વ્યક્તિને ઇજાઓ થવા પામી હતી. જે પૈકી 3 લોકોની હાલત ગંભીર હતી. તો ટ્રકમાં પાંજરાપોળના પશુઓ ભર્યા હતા. જે પલટી ખાઈ જતા એક બળદ ઇજાગ્રસ્ત થયો હતો.
ધંધૂકા ફેદરા માર્ગ પર વખતપર પાટિયા નજીક ગોધરિયા મજૂરોને લઈ જતી ઇકો કાર અને પાંજરાપોળના પશુઓ ભરીને જઈ રહેલી આઈસર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધંધૂકા સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. ઇકોમાં સવાર લોકોમાંથી 8ને ઇજાઓ થઈ હતી. જેમાંથી ત્રણ ની હાલત ગંભીર જણાતા અમદાવાદ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સંત રોહિદાસ ટ્રસ્ટ રાસ્કા પાંજરાપોળની આઈસર ટ્રક અકસ્માતમાં પલટી મારી જતા ગાડીમાં લઇ જવામાં આવી રહેલ પશુઓ પૈકી એક બળદ ઇજાગ્રસ્ત થયો હતો. સદનસીબે બીજા પશુઓને સામાન્ય ઇજા થતાં તેમનો આબાદ બચાવ થયો હતો. શનિવારે સવારે 10 વાગ્યાની આસપાસના સુમારે ઘટેલી અકસ્માતની દુર્ઘટનાથી થોડા સમય માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો. તેમજ ધંધૂકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તો ખેતીવાડીમાં કામ કરતા શ્રામિકો હતા. આ માર્ગ પર ગોહિલવાડ, સૌરાષ્ટ્ર અને પાંચાળમાં દરરોજ અનેક તુફાન અને ઇકો ગાડીઓ બેફમ રીતે નિયમોનો છડેચોક ભંગ કરી કેપિસિટી કરતા વધારે લોકો ભરી આવનજાવન કરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર કેમ મૌન ધરી બેઠું છે?, કેમ કોઈ પગલાં લેવાતા નથી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.


