- મા અંબાને સમર્પિત આધ્યાત્મિક આલ્બમ
- ગાયકોના કંઠે માતાજીની સ્તુતિ અને ત્રણ આરતીનો સમાવેશ
- આ આલ્બમ સાંભળનારના હૃદયને સ્પર્શી જશે
નવલાં નવરાત્રિના તહેવારો શરૂ થવાની તૈયારી છે ત્યારે ધનરાજ નથવાણીની સંગીતસભર પ્રસ્તુતિ પંચવીને લોન્ચ કરવામાં આવ્યું છે. આ આલ્બમ નવરાત્રિમાં ધૂમ મચાવશે.
પદ્મશ્રી હરિહરન, પદ્મશ્રી શંકર મહાદેવન, ઓસમાણ મીર, નિશા ઉપાધ્યાય, ઉમેશ બારોટ, યાશિતા શર્મા, માનસી પારેખ ગોહિલ, જાહનવી શ્રીમાંકર, આમિર મીર અને પાર્થિવ ગોહિલ જેવા લબ્ધપ્રતિષ્ઠિત ગાયકો દ્વારા સૂરબધ્ધ કરવામાં આવેલું આલ્બમ પંચવી મા અંબાના દૈવી આશીર્વાદને રજૂ કરતો સંગીતમય માસ્ટરપીસ છે.
આલ્બમના લોન્ચ પ્રસંગે ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું કે, આગામી નવરાત્રિના તહેવારોની મોસમને ધ્યાને લેતા પંચવીના વિમોચનનો સમય આનાથી વધારે યોગ્ય ના હોઇ શકે. સુપ્રસિધ્ધ ગાયકોના પ્રદાન સાથે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવેલું આલ્બમ આધ્યાત્મિક શાંતિ શોધી રહેલા લોકો માટે શાંતિમય સ્વર્ગના દરવાજા ખોલી આપે છે. હું દૃઢપણે માનું છું કે આ આલ્બમ સાંભળનારના હૃદયને સ્પર્શી જશે. તેમને મા અંબાના દૈવી આશીર્વાદની નજીક લાવશે અને તેમની આધ્યાત્મિક યાત્રાના માર્ગને પ્રશસ્ત કરશે.
પાર્થિવ ગોહિલ દ્વારા ક્યુરેટ કરાયેલા અને પાર્થ ભરત ઠક્કર દ્વારા સંગીત સંયોજન કરાયેલા આ આલ્બમમાં પોતાનું આગવું સત્વ ધરાવતી એક સ્તુતિ અને ત્રણ આરતીનો સમાવેશ કરવામાં આવેલો છે, જે શ્રોતાઓના આત્માને સ્પર્શી જાય છે.