- 44 ગામોને નર્મદાના નીર પહોંચાડવા રૂ. 417 કરોડની યોજનાને મંજૂરી
- ત્રણેય તાલુકામાં આશરે 3 હજારથી વધુ હેકટર જમીનમાં સિંચાઈ માટે પાણી પહોંચશે
- લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સરકારનો માસ્ટર સ્ટ્રોક સમાન નિર્ણયથી હરખ
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ અને મૂળી તાલુકામાં આવેલા અને નર્મદા વિભાગના કમાન્ડ એરીયા બહારના ગામોના લોકો વર્ષોથી નર્મદાના નીર માટે લડત કરી રહ્યા હતા. જેમાં ખાસ કરીને ખેડૂતોને આ પાણી સીંચાઈ માટે આશીર્વાદરૂપ સમાન માનવામાં આવે છે. ત્યારે રાજય સરકારે આ ત્રણ તાલુકાના 44 ગામોમાં નર્મદાના નીર પહોંચાડવા રૂપિયા 417 કરોડના ખર્ચે યોજનાને વહીવટી મંજૂરી આપતા સરકાર સામે બાંયો ચડાવતા ખેડૂતોની આખરે જીત થઈ છે.
નર્મદા જિલ્લાથી નીકળતી અને કચ્છ, સૌરાષ્ટ્ર સુધી નર્મદાની મુખ્ય સૌરાષ્ટ્ર શાખા કેનાલ ઝાલાવાડમાંથી પસાર થાય છે. ઉત્તર ગુજરાત બાદ ઝાલાવાડને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાના સરકાર ગુણગાન ગાય છે. પરંતુ પરીસ્થીતી તેનાથી વિપરીત હતી. જિલ્લામાં નર્મદા વિભાગના કમાન્ડ એરીયા બહાર આવેલા ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના ગામડાના લોકો નર્મદાના નીરની રાહ જોતા હતા. જયારે ખેડૂતો ખેતી માટે સીંચાઈના પાણીની આશ લગાવતા હતા. આ પાણી મેળવવા માટે અનેક વાર ગામડાઓમાં રાત્રે ખેડૂતોની મીટીંગો પણ થઈ છે. અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ સમયે ધ્રાંગધ્રા તાલુકાના બાકી ગામો માટે પુર્વ મંત્રી આઇ.કે.જાડેજાએ પણ પ્લાન સાથે રજૂઆત કરી હતી.બીજી તરફ વઢવાણના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા અને રાજ્ય સરકારમાં વઢવાણ-મુળીના ગામો માટે આ પ્રશ્ને રજુઆતો કરી હતી. ત્યારે પદાધીકારીઓની રજુઆત અને ખેડૂતોના આંદોલનની જીત થઈ છે. રાજયના મુખ્યમંત્રીએ જિલ્લાના ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી તાલુકાના 44 ગામડાઓમાં નર્મદાના નીર પહોંચાડવાની યોજનાને રૂપીયા 417 કરોડના ખર્ચે વહીવટી મંજુરી આપી છે. સરદાર સરોવર નર્મદા નીગમની કોઈપણ બ્રાંચ કેનાલ મારફતે આ ગામોને આયોજનમાં આવરી લેવાશે. નર્મદાના પુરના વધારાના 1 મીલીયન એકર ફીટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના 3 તાલુકાના 44 ગામોનો સમાવેશ કર્યો છે. જેમાં આ ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના નીરથી ભરવામાં આવશે. જયારે 3 હજાર હેકટરથી વધુ ખેતીની જમીનને સીંચાઈની સુવિધા મળશે. રાજય સરકારના લોકસભા ચૂંટણી પહેલા જિલ્લાના ખેડૂતોના હિતમાં કરાયેલ આ નિર્ણય માસ્ટરસ્ટ્રોક સમાન સાબિત થશે તેમ લાગી રહ્યુ છે.
જિલ્લાના કયા-કયા ગામોને લાભ થશે ?
ઝાલાવાડમાં રૂ. 417 કરોડના ખર્ચે મંજુર થયેલ યોજનામાં વઢવાણ તાલુકાના રૂપાવટી, નગરા, અધેલી, ખોડુ, પ્રાણગઢ, વેળાવદર તથા ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર, ગુજરવદી, ધોળી, નારીચાણા, મોટા અંકેવાળીયા, રામપરા, ભેચડા, ગાજણવાવ, રાયગઢ, દેવચરાડી, કોંઢ, કલ્યાણપુર, રતનપર, ખાંભડાને લાભ મળશે. આ ઉપરાંત મુળી તાલુકાના ટીકર, દીગસર, પાંડવરા, સરા, જેપર, સરલા, કરમડ, દુધઈ, કુંતલપુર, લીયા, દાણાવાડા, વડધ્રા, ખંપાળીયા, ગઢડા, વેલાળા (ધ્રા), રાયસંગપર, વીરપર, દાધોળીયા, સાગધ્રા, ભેટ, નાડધ્રી, રામપર, આંબરડી, કરશનગઢ, સુજાનગઢને લાભ મળશે.
ધ્રાંગધ્રા,વઢવાણ અને મૂળી તાલુકાને ફાયદો
ધ્રાંગધ્રા,મુળી અને વઢવાણ તાલુકાના નર્મદાની સિંચાઇ યોજનાના લાભથી વંચિત રહયા બાદ સરકાર દ્વારા યોજનાની મંજૂરી અપાતા આ ત્રણેય તાલુકાના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે.
વર્ષો જૂની સમસ્યા ઉકેલાઇ છે : ધારાસભ્ય
વઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ જણાવેલ કે આ ત્રણેય તાલુકાના નર્મદા કમાન્ડ એરીયાથી બહારના ગામોના ખેડૂતોને કેનાલનો લાભ ન મળવાના કારણે મુસ્કેલી પડતી હતી પરંતુ મુખ્યમંત્રી દ્વારા યોજનાને મંજૂરી આપતા વર્ષો જુની સમસ્યા ઉકેલાતા ખેડૂતોને ચોકકસ ફાયદો થશે.


