‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ’ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
રાજકોટમાં ટાઈપ-૧ ડાયાબિટીસ માટે અત્યાધુનિક ‘એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર’ સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય: મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરની અગ્રણી સંસ્થા જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (JDF) દ્વારા ટાઈપ-૧ ડાયાબિટીસથી પીડાતા બાળકો અને તેમના પરિવાર માટે એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘જાગૃતિથી સશક્તિકરણ’ના સુત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યત્વે ટાઈપ-૧ ડાયાબિટીસમાં કિડનીની સંભાળ રાખવા બાબતે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જામનગરના આણદાબાવાઆશ્રમના મહંત પૂજ્ય દેવપ્રસાદ સ્વામીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, “જેના વિચારો સબળ હોય છે તેને કોઈ રોગ લાગુ પડતો નથી. રોગ શરીરને નથી મારતો, પરંતુ નબળા વિચારો માણસને મારી નાખે છે”.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આપણી વિચારશક્તિ જ આપણને જીવંત રાખે છે.સ્વાસ્થ્ય અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું કે જો દવા ન ખાવી હોય તો ‘વાદ’ ન કરવો જોઈએ અને રોગથી બચવા માટે રોજ લીમડાનો ગળો (ગરો) ખાવો જોઈએ.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી દ્વારા કરવામાં આવતા કાર્યોનેબિરદાવતા પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે, ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો અને તેમના માતા-પિતાની માનસિક સ્થિતિ ખૂબ જ નાજુક હોય છે, ત્યારે આવી સંસ્થાને સહયોગ આપવો એ સમયની માંગ છે.તેમણે ટકોર કરી હતી કે પૈસા આપવા સહેલા છે પણ સમય આપવો અઘરો છે, અને JDF જેવી સંસ્થાઓને દાન આપનારના ભંડારો હંમેશા ભરેલા રહે છે. JDFના ટ્રસ્ટી અપુલદોશીએ સંસ્થાની સ્થાપના પાછળની ભાવુક ગાથા રજૂ કરી હતી.૨૨ વર્ષ પહેલાં પોતાના પુત્રને થયેલા ટાઈપ-૧ ડાયાબિટીસના અનુભવમાંથી પ્રેરણા લઈ, માત્ર ૫ બાળકોથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે સૌરાષ્ટ્ર-કચ્છના ૨૨૫૦ થી વધુ બાળકો નિઃશુલ્ક નોંધાયેલા છે.ટાઈપ-૧ ડાયાબિટીસમાં બાળકોને દિવસમાં ૮થી ૧૦ વખત સોઈની પીડા (ઇન્સ્યુલિન અને સુગર ચેક) સહન કરવી પડે છે.જો યોગ્ય સારવાર ન મળે તો કિડની, આંખ અને હ્રદય જેવા અંગો પર જીવલેણ અસર થાય છે. સંસ્થા દ્વારા ૮૦૦ થી વધુ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન, ગ્લુકોમીટર અને મેડિકલ ચેકઅપ પૂરી પાડવામાં આવે છે.આ ઉપરાંત, શિક્ષણ સહાય, ‘ડાયાબિટીસ એજ્યુકેટર’ કોર્સ અને લગ્ન માટે ‘મેટ્રીમોનિયલ ગ્રુપ’ જેવી સેવાઓ પણ ચલાવવામાં આવે છે.તાજેતરમાં કેટલાક બાળકો ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કરતા શ્રી દોશીએ જણાવ્યું કે, રાજકોટમાં ટાઈપ-૧ ડાયાબિટીસ માટે અત્યાધુનિક’એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર’ સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય છે.
આ કાર્યક્રમના ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેલા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાચેરમેન નરેશભાઈ પટેલે સંસ્થાના સેવાકાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન (IDF) ટાઈપ-૧ ડાયાબિટીસના બાળકો માટે ઉત્કૃષ્ટ અને અનુકરણીય કામગીરી કરી રહ્યું છે. સમાજમાં આવા બાળકોને જે હૂંફ અને તબીબી સહાયની જરૂર હોય છે, તે આ સંસ્થા પૂરી પાડી રહી છે તે ખરેખર વંદનીય છે.”તેમણે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી અને તેમની ટીમની નિઃસ્વાર્થ સેવાને બિરદાવી હતી. ફાલ્કન પમ્પના કમલનયનભાઈ સોજીત્રાએ ખૂબ જ સંવેદનશીલ અને પ્રેરક ઉદબોધિત કર્યું હતું.તેમણે સંગઠનની શક્તિ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સંગઠનમાં એક અનોખી તાકાત હોય છે અને જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.તેમણે ભાવુક થઈને જાહેરાત કરી હતી કે, “હું આ સંસ્થા સાથે જોડાયેલા ૨૩૦૦ બાળકોનો મામા છું, અને મારા ભાણેજો માટે ગમે ત્યારે મદદ કરવા હું હંમેશા તત્પર રહીશ.”તેમણે એક કિસ્સો યાદ કરતા જણાવ્યું કે, ઘણા સમય પહેલા તેમની ઓફિસે એક પરિવાર આવ્યો હતો જેમના બાળકો ટાઈપ-૧ ડાયાબિટીસથીપીડાતા હતા અને પરિવાર ખૂબ મુંઝવણમાં હતો.કમલનયનભાઈએ તેમને તાત્કાલિક JDF ના મેનેજિંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશી પાસે મોકલ્યા હતા, જ્યાં તેમને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી હતી.તેમણે ઉમેર્યું કે આવા તો અઢળક પરિવારો છે જેમને આ સંસ્થા દ્વારા નવજીવન મળ્યું છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈટીલાળાએ રાજકોટની સેવાકીય પરંપરાને બિરદાવતા જણાવ્યું હતું કે, “રાજકોટ એ સંતો, શૂરવીરો અને દાતારીની ભૂમિ છે. જ્યારે પણ સમાજમાં કોઈ સેવાકીય ઉમદા કાર્ય થાય છે, ત્યારે રાજકોટના દાતાઓ હંમેશા મોખરે રહે છે.આ કાર્યક્રમમાં વર્ષા ફાઉન્ડેશનનામોટિવેશનલ સ્પીકર અને શિક્ષક શ્રી વિનોદ પટેલે ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
તબીબી અને સંસ્થાકીય શ્રેષ્ઠીઓમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલના પ્રમુખ નાનુભાઈ મકવાણા અને, કેન્સર સર્જન ડો.જીજ્ઞેશ મેવાએ હાજરી આપી હતી. અને દાતાશ્રીઓ જેવા કે જયેશભાઈ શાહ (સોનમ ક્વાર્ટર્સ), સિનિયર અને અશ્વિનભાઈ કોઠારીએ પણ કાર્યક્રમની શોભા વધારી હતી.આ ભગીરથ કાર્યમાં મદદરૂપ થવા માટે સમાજના શ્રેષ્ઠીઓએ ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી..એન.દેસાઈ (N. Desai) પરિવાર દ્વારા સંસ્થાના ૧૦૦ બાળકોને આજીવન નિઃશુલ્ક સારવાર અને ઇન્સ્યુલિન પૂરી પાડવાની ઉમદા જાહેરાત કરવામાં આવી હતી.આ ઉપરાંત, રવિ મેટલ ગ્રુપ તરફથી પણ સંસ્થાને લાખો રૂપિયાનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.નોંધણીય છે કે, ૨૦૦૪થી કાર્યરત JDF સંસ્થા હાલ ૨૩૦૦થી વધુ બાળકોની નિઃશુલ્ક સેવા કરી રહી છે અને જરૂરિયાતમંદ ૮૦૦ થી વધુ બાળકોને ઇન્સ્યુલીન સહિતની સંપૂર્ણ તબીબી સારવાર વિનામૂલ્યે પૂરી પાડે છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન્કર હરિકૃષ્ણપંડયા દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠીઓ દ્વારા JDF સંસ્થા માટે દાનની સરવણી થઇ હતી જેમાં નાનુભાઈ મકવાણા માસ્કોટફોર્જ દ્વારા રૂ.૧ લાખ, કમલનયનભાઈ સોજિત્રા રૂ.૧ લાખ ૨૫ હજાર, જયેશભાઈ શાહ સોનમ ક્વાર્ટર્સ દ્વારા રૂ. ૨ લાખ ૨૫ હજાર, રમેશભાઈ રાચ્છ રવિ મેટલ દ્વારા રૂ.૧ લાખ ૫૧ હજાર, કિરીટભાઈ આદ્રોજા એન્જલ પંપ દ્વારા રૂ.૧ લાખ ૫૧ હજાર, જગદીશભાઈ કોટડીયા ફાલ્કન પંપ દ્વારા રૂ.૧ લાખ ૨૫ હજાર, સૌરભભાઈ સંઘાણી રૂ. ૫૧ હજાર, વિક્રમભાઈ જે. શાહ – થાન રૂ ૫૧ હજાર, હરેશભાઈ સંઘોઇ રૂ. ૫૧ હજાર, મુકેશભાઇ બાટવીયા રૂ. ૫૧ હજાર, મહેન્દ્રભાઇ શાહ રૂ. ૫૧ હજારનું અનુદાન કરેલ હતું.
સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશી, ટ્રસ્ટી રોહિત કાનબાર, ટ્રસ્ટી હરિકૃષ્ણપંડયા, ટ્રસ્ટી અમિત દોશી, ટ્રસ્ટી મીતેશ ગણાત્રા સાથે સંસ્થાના બાળકોના મામા કમલનયન સોજીત્રા તેમજ પારસ દોશી, જેનિસ કાંજિયા, મૈત્રી દોશી, ઋષિલ દવે, નંદની સોલંકી, પૂજા પરમાર, કેયૂરી શિંગાળા, રાહુલ રાઠોડ, મિહિર સાકરીયા, વૈભવ ગાંધી, પાર્થ સચદે અને બાકીના ટીમે આ અભિયાનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.


