દરરોજ 100થી વધુ સામાન્ય ઓપરેશનો અટકી પડ્યા : નર્સીંગ સ્ટાફ દ્વારા કેન્ડલ માર્ચ
કલકત્તાની આર જી કર હોસ્પિટલની રેસિડેન્ટ ડોક્ટર પરના બળાત્કાર હત્યા કેસના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે. સરકારી, ખાનગી, ટ્રસ્ટની હોસ્પિટલોના ડોક્ટરોએ એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડ્યા બાદ રાજકોટ શહેરની સરકારી હોસ્પિટલ છેલ્લા ચાર દિવસથી હડતાલ કરી રહી છે અને આજે પાંચમા દિવસે પણ હડતાલ યથાવત રાખી છે. જુનિયર તબીબો દ્વારા ન્યાયની માંગ સાથે દરરોજ સરકારી હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. ત્યારે પીડીયુ અને એમસીએચ વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા આજે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.
શહેરની સિવિલ હોસ્પીટલના જુનીયર તબીબોએ છેલ્લા ચાર દિવસથી કોલકતામાં મહિલા તબીબની નિર્મમ હત્યાના વિરોધમાં પીડીત પરિવારને ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ છેડતા આજે હડતાલના પાંચમા દિવસે પણ જિલ્લાભરમાંથી સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હોવાની ફરીયાદો સામે આવી રહી છે. દર્દીના સગાઓ દર્દીને લઈને હોસ્પિટલમાં જ્યાં ત્યાં ભટકી રહ્યા છે. પરંતુ સારવાર મળતી નથી. જુનિયર તબીબો અમુક અંશે હડતાલના નામે દર્દીઓ પર એક જાતનો સિતમ ગુજારી રહ્યા છે. રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્રભર માસથી રાજકોટની સિવિલ હોસ્પીટલમાં રોજ જુદાજુદા વિભાગોમાં હજારોની સંખ્યામાં દર્દીઓ ઓપીડીમાં જનરલ સારવાર માટે આવતાં હોય છે આ ઉપરાંત રાજકોટની સરકારી હોસ્પિટલમાં તમામ પ્રકારના ઓપરેશન નિ:શુલ્ક થતા હોવાથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ ઓપરેશન માટે આવી રહ્યા છે. પરંતુ હડતાલના કારણે રોજબરોજ નાના-મોટા ૧૦૦ જેટલા ઓપરેશન જુનીયર તબીબોની હડતાલને કારણે અટકી પડતા દર્દીઓને નાછુટકે મોંઘીદાટ ખાનગી હોસ્પીટલોમાં જવાનો સમય આવ્યો છે. ખરેખર વિરોધ દર્શાવવાનો સૌને અધિકાર છે. પરંતુ તેમના ભોગે અન્ય લોકો હેરાનગતિ અનુભવે ત્યાં સુધીનો વિરોધ યોગ્ય ન ગણી શકાય. ડોક્ટરોએ હડતાલની સાથો સાથ સેવાકીય પ્રવૃત્તિ પણ કરી હતી. જેમાં રવિવારે હડતાલમાં જોડાયેલા જુનિયર ડોક્ટરો દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 120 થી પણ વધુ બોટલ રક્ત એકત્રિત થયું હતું.
હડતાલના પાંચમા દિવસે સરકારી હોસ્પિટલ અને એમસીએચ બ્લોકમાં કાર્યરત નર્સિંગ કર્મચારીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને આ માર્ચ થકી કલકત્તાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે બે મિનિટનું મૌન પણ પાડી મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આગામી સમયમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે મુજબનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.