- અખિલેશ યાદવને આજે હાજર થવા સીબીઆઇનું છે સમન્સ
- ગેરકાયદે ખનન મામલે અખિલેશ યાદવની પૂછપરછ
- અખિલેશ યાદવ સીબીઆઇ સમક્ષ નહી હાજર થાય-સૂત્ર
ગેરકાયદેસર ખનન મામલે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને સીબીઆઇએ સમન્સ પાઠવ્યુ છે. તેઓને પૂછપરછ માટે સીબીઆઇએ બોલાવ્યા છે. દિલ્હી સીબીઆઇએ હમીરપુરમાં થયેલા ખનન સ્કેમને લઇને વર્ષ 2019માં એફઆઇઆર અંતર્ગત નોટિસ ફટકારીને અખિલેશ યાદવને પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ આજે સીબીઆઇ સમક્ષ હાજર થશે નહી તેમ જાણવા મળ્યું છે.
PDAની બેઠકમાં ભાગ લેશે- રાજપાલ કશ્યમ
સમાજવાદી પાર્ટીના પછાત વર્ગના પ્રદેશ અધ્યક્ષ રાજપાલ કશ્યપે કહ્યું કે અખિલેશ યાદવ આજે લખનૌમાં પાર્ટી કાર્યાલયમાં પીડીએની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ સભા સિવાય ક્યાંય જશે નહીં.
2019માં FIR નોંધવામાં આવી હતી
નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે અખિલેશ યાદવે જવાબ આપવા માટે CBI સમક્ષ હાજર થવું પડશે. અખિલેશને જાન્યુઆરી 2019માં નોંધાયેલી CBI FIRના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યુ છે, જે 2012-2016 વચ્ચે હમીરપુરમાં કથિત ગેરકાયદેસર ખાણકામ સાથે સંબંધિત છે. જાન્યુઆરી 2019 માં, તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય સહિત ઘણા અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. FIRમાં આરોપ છે કે સરકારી કર્મચારીઓએ હમીરપુરમાં ખનીજનું ગેરકાયદેસર ખનન થવા દીધું.
કોર્ટે કેસ નોંધવાનો આદેશ કર્યો હતો
હાઈકોર્ટે 28 જુલાઈ, 2016ના રોજ આદેશ આપ્યો હતો, ત્યારબાદ સીબીઆઈએ કેસ નોંધ્યો હતો. ડીએમ હમીરપુર, ભૂસ્તરશાસ્ત્રી, ખાણકામ અધિકારી, કારકુન, લીઝ ધારક અને ખાનગી અને અજાણ્યા વ્યક્તિઓ સામે 120B, 379, 384, 420, 511 અને ભ્રષ્ટાચાર નિવારણની કલમ 13(1), (ડી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 5 જાન્યુઆરી, 2019 ના રોજ, સીબીઆઈએ 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા જેમાં ઘણી રોકડ અને સોનું મળી આવ્યું. હતું. CBIએ CrPC 160 હેઠળ આ કેસમાં અખિલેશને સાક્ષી તરીકે બોલાવ્યા છે. અખિલેશ યાદવ 2012 થી 2017 સુધી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા. જ્યારે 2012 થી 2013 સુધી તેઓ રાજ્યના ખાણકામ મંત્રી હતા.
શું છે સમગ્ર મામલો?
હમીરપુરમાં 2012 અને 2016 વચ્ચે થયેલા ગેરકાયદેસર ખનનનો મામલો સપા સરકાર દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં સીબીઆઈ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મની લોન્ડરિંગ એક્ટ સહિત અન્ય ઘણા કેસમાં એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ બી ચંદ્રકલા સહિત તમામ 11 લોકોના નામ સીબીઆઈ એફઆઈઆરમાં હતા. જે બાદ CBIએ IAS ઓફિસર બી ચંદ્રકલાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ કેસમાં IAS બી. ચંદ્રકલા અને પૂર્વ એસપી એમએલસી રમેશ ચંદ્ર મિશ્રા સહિત 11 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.


