સાચો સાધક હંમેશા વિનમ્ર હોય છે
શોખથી કથા ન સાંભળો, શ્વાસે શ્વાસે કથા સાંભળો!
વક્રતામાં કેવળ વકતૃત્વ ન હોય, કત્રૃત્વ પણ હોવું જોઇએ
શ્રી તિરૂપતિ-બાલાજી, વ્યંકટેશ ભગવાનની ભૂમિ પર પરમ પાવનની રામકથા ‘માનસ ત્રિપતિ’ના સાતમા દિવસે-ગઇકાલે-કથાનો પ્રેમસંવાદ આગળ લઇ જતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે, મારા બાપ, તિરૂપતિની તીર્થભૂમિ પર આપણે ‘માનસ ત્રિપતિ’ને કેન્દ્રમાં રાખીને પ્રેમસંવાદ કરીએ છીએ ત્યારે આજે ઋગ્વેદના એક શ્લોકમંત્રથી પ્રારંભ કરું કે, મંત્રમાં ભૂદેવી-ભૂમા-પૃથ્વીનો મહિમા ગવાયો છે. આપ સૌ પણ સાંભળીને બોલશો..
અવ સ્મા યસ્ય વેષણે
સ્વેદમ પથિષુ જુહરુતિ અભિમ:
સ્વજન્યમ ભૂમા પ્રષ્ઠેવ ગુરુહા
એટલે કે ભૂદેવી-પૃથ્વી-સાગરની પુત્રી લક્ષ્મી છે. વિષ્ણુ પત્ની છે. જેના પતિ રમાપતિ-શ્રીપતિ છે.
સાધક વિશે બાપુએ વિસ્તારપૂર્વક સમજાવતાં કહ્યું કે, સાચો સાધક હંમેશા વિનમ્ર હોય છે. વિનોબાજીએ વિનમ્રતાના ત્રણ આયામો કહ્યું છે. (૧) સામાજીક વિનમ્રતા-મારા રામ સહજ છે. ‘સહજ’ શબ્દ મારો પ્રિય શબ્દ છે અને આ સહજતા સ્વાભવિક હોવી જોઇએ એમાં આયાસ-પ્રયાસ ન હોય! રામ, શિવજી, કબીર વગેરે કેટલા સહજ છે. આપણે પણ સહજ બનીએ તો મારી દ્રષ્ટિએ સાધકના કેટલાક લક્ષણો.. (૧) સાધકમાં વિનમ્રતા હોવી જોઇએ (૨) પરસ્પર પ્રેમ હોય, આપણે પરસ્પર-એકમેકને પ્રેમ ન કરી શકીએ? ધ્વેષ, નિંદા, ટીકા શા માટે? પ્રેમ જ સર્વસ્વ છે. (૩) ભરોસો-સાધકને વિશ્વમાંગલ્યનો દ્રઢ ભરોસો હોવો જોઇએ. વિશ્વ કલ્યાણની ભાવના હોવી જોઇએ (૩) સાધકે પોતાના ઇષ્ટનું નિરંતર સ્મરણ કરવું જોઇએ. (૫) અહંકાર-સપનામાં પણ કથા સાંભળવાનો અહંકાર ન હોવો જોઇએ. ઘણા કહે કે, મેં આટલી કથા સાંભળી! એવો સૂક્ષ્મ અહંકાર પણ ન આવવો જોઇએ. કૃષ્ણકથામાં આવે છે કે ભગવાન શ્રીકૃષ્ણ એ ત્રણ લોકોનો અહંકાર એક સાથે નષ્ટ કર્યો છે. જેમ એક ડોક્ટર ત્રણ-ચાર રોગોનો એક સાથે જ સારવાર કરે તેમ શ્રીકૃષ્ણએ ગરૃ, સુદર્શન ચક્ર અને સત્યભામાનો અહંકાર એક જ ઘટનાથી એક પ્રસંગથી દૂર કર્યો છે. કૃષ્ણએ ગરૂડને કહ્યું કે, મારે હનુમાનજીનું તાત્કાલિક કામ છે, તું હનુમાનજીને બોલાવી લાવ, એ ક્યાં છે? ગરૂડે કીધું કે એ હનુમાન પૂછમાં રહે છે, હમણા બોલાવી લાવું! ગરૂડ હનુમાનજી પાસે આવે છે અને સમાચાર આપે છે કે, ભગવાન શ્રીકૃષ્ણ તમને યાદ કરે છે. તમને તાત્કાલિક બોલાવે છે. હનુમાનજી ગરૂડને કહે છે કે તું જા, હું આવું છું, ગરૂડ કહે અરે, તમે મારી સાથે જ આવો, મારી પાંખ પર બેસી જાઓ. હનુમાનજી કહે કે તું જા હું દ્વારિકા પ્હોંચી જઇશ. ગરૂડ ખૂબ દલીલો કરે છે ત્યારે હનુમાનજી એની પૂંછ એવી ફેરવે છે કે ગરૂડ ઘૂમરી ખાઇને ક્યાં ગયો એ ખબર ન પડી! પછી રોકે છે, હનુમાનજી કહે કે, ભાઇ, મને કૃષ્ણએ બોલાવ્યો છે, એને કામ છે એટલે મને તું જવા દે! સુદર્શન કહે નહીં! અને હનુમાનજી સુદર્શન ચક્રને મોઢામાં ગળી જાય છે! પછી હનુમાનજી કૃષ્ણ પ્રભુ પાસે જાય છે. ત્યારે એને કૃષ્ણમાં રામ દેખાય છે અને રામ સ્વરૂપને હનુમાનજી કહે છે કે પ્રભુ, આ તમારી બાજુમાં કોણ બેઠું છે? આ કોણ છે? જે સીતાની દાસીય નથી જણાતી! અને સત્યભામાએ કૃષ્ણને કહ્યું કે, હનુમાનજી આવું કેમ કહે છે? શું હું સીતાજીની દાસી કરતાંય વામણી લાગું છું! આ રીતે કૃષ્ણે ગરૂડ, સુદર્શન ચક્ર અને સત્યભામાનો અહંકાર દૂર કર્યા છે. સાધકે ક્યારેય કોઇ પણ સ્થિત-પરિસ્થિતિની ચિંતા ન કરવી. ભગવાન રામે સુગ્રીવને ચિંતા ન કરવાનું કીધું અને કૃષ્ણએ અર્જ્રુનને ચિંતા ન કરવાનું કહ્યું છે. ભગવાન બધી ચિંતા કરે જ છે. સાધકનો ભરોસો દ્રઢ હોવો જોઇએ.
પ્રબુદ્ધ-પુરૂષ-ગુરૂ આપણને પંદર વસ્તુ આપે છે. પાંચ શિક્ષા આપે છે, પાંચ દિક્ષા આપે છે અને પાંચ ભિક્ષા આપે છે. પાંચ શિક્ષા કઇ? (૧) વિદ્યા (૨) વિનય (૩) નિપુણતા (૪) ગુણતી શિક્ષા અને (૫) કર્મની શિક્ષા ગુરૂ આપે છે. પાંચ દિક્ષા કઇ? (૧) શબ્દની દિક્ષા (૨) સ્પર્શ દિક્ષા-આમાં અનર્થ થવાની શક્યતા છે. દિવ્યસ્પર્શની દિક્ષા. અહીં સાવધાન હોવું જરૂરી છે. (૩) રૂપ-સ્વરૂપની દિક્ષા (૪) રસદિક્ષા અને (૫) ગંધ દિક્ષા-ત્યાર પછી પાંચ ભિક્ષા કઇ? (૧) અશ્રુભિક્ષા (૨) અભયની ભિક્ષા-ગૂરૂ/બુદ્ધપુરૂષ આપણને અભય કરે છે. (૩) અનુભવની ભિક્ષા (૪) અ-મલ નિર્મળતાની ભિક્ષા અને (૫) અ-મનની ભિક્ષા.
ગુરૂગૃહ અને ગુરૂમાં તફાવત છે. આશ્રમ હોય ત્યાં એના નિયમો હોય છે, આશ્રમના નિયમોનું પાલન કરવું પડે છે. ગાંધી બાપુના આશ્રમમાં નિયમો હતાં એ નિયમોનું પાલન ન કરનારને આશ્રમમાંથી રજા આપવામાં આવતી. તો આશ્રમોમાં નિયમોનું બંધી હોય છે જ્યારે ગુરૂગૃહમાં કોઇ નિયમો કે બંધન નથી. કેમ કે એ ગૂરનું ઘર છે. એક શ્રોતાએ લખ્યું છે (હળવાશની વાત છે) કે, જે શબ્દની છેલ્લે ‘રૂ’ અક્ષર આવે એ બધું જ ખતરનાક છે! જેમ કે: દારૂ, વાંદરૂ, કૂતરૂં, અંધારૂ, કવાતરૂ, સાંસરું અને તમે કહો તો આ શબ્દ કહું? બધા શ્રોતાઓએ હા પાડી એટલે બાપુ હળવાશ બાલ્યા : બૈરૂં….!!!
કથામૃત
(૧) મોક્ષ એટલે જ્યાં મોહનો ક્ષય થાય તો મોક્ષ
(૨)કાગબાપુ ઉંબરથી અંબર સુધી વિસ્તરેલા કવિ છે
(૩) સાધક હોય એણે ક્યારેય, કોઇપણ સ્થિતિ-પરિસ્થિતીની ચિંતા ન કરવી
(૪) ગરૂ-પ્રબુદ્ધ પુરૂષ આપણને શિક્ષા, દિક્ષા અને ભિક્ષા આપે છે
(૫) સાધકમાં વિનમ્રતા-દાસપણાનો ભાવ હોવો જોઇએ.


