- વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ISRO ચીફ વિશેષ વાત કરી
- “2028 સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું”
- “આવનારા દિવસોમાં ભારતીય સ્પેસ સ્ટેશનને ઘણો ફાયદો થશે”
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ કહ્યું છે કે, તે આવનારા ચાર વર્ષમાં દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્થાપવાનું સપનું છે. ગુજરાતના ગાંધીનગરની મુલાકાતે આવેલા ISROના ચીફ સોમનાથે જણાવ્યું હતું કે, વર્તમાન ક્ષમતા સાથે, 2028 સુધીમાં ભારતીય અવકાશ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું.
ભારતની પ્રતિભા વૈશ્વિક સ્તરે ગૂંજી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે 2028 સુધીમાં સૌપ્રથમ ‘ઈન્ડિયન સ્પેસ સ્ટેશન’ સ્થાપિત કરવા પર નજર છે. ISRO ચીફ એસ સોમનાથે જણાવ્યું હતું કે, સંસ્થા હાલની પ્રક્ષેપણ ક્ષમતાનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પહેલું ‘ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્ટેશન’ સ્થાપિત કરવા માંગે છે. ISROએ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન તેના મહત્વાકાંક્ષી લક્ષ્ય વિશે વાત કરી હતી.
ISROના ચીફ એસ સોમનાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આયોજિત એક સેમિનારમાં જણાવ્યું હતું કે, પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશનની સ્થાપનામાં સફળતા મળ્યા બાદ અમે તેને અવકાશયાત્રીઓ માટે પ્રયોગશાળા તરીકે વિકસાવવા ઈચ્છીએ છીએ અને પ્રયોગો કરી શકીએ. 2035 સુધીમાં આપણે મનુષ્યને અવકાશમાં મોકલી શકીશું. અમારી પાસે પ્રયોગશાળાઓ, સંસ્થાઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ હશે, જ્યાં ખગોળશાસ્ત્ર સંબંધિત સંશોધન થઈ શકશે.
ઈસરોના ચીફે વધુમાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં ભારતીય સ્પેસ સ્ટેશનને ઘણો ફાયદો થશે. તેના દ્વારા આર્થિક પરિણામો પણ પ્રાપ્ત કરી શકાય છે. સોમનાથે કહ્યું કે, દેશનું પ્રથમ સ્પેસ સ્ટેશન સ્થાપ્યા બાદ ISRO કંપનીઓ અને સંસ્થાઓની પણ શોધ કરશે. ભારતીય સ્પેસ સ્ટેશનનો ઉપયોગ કરીને આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરી શકે તેવી કંપનીઓની શોધ કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ISRO માટે આ એક પ્રાપ્ય લક્ષ્ય છે.


