ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનો બિમારીથી કંટાળી આપઘાત
માનસિક અસ્વસ્થ રહેતા હોવાથી ભરેલુ પગલુ : પોતાની કારમાં જ દવા ગટગટાવી લીધી
અગ્ર ગુજરાત, ભાવનગર
ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહીલે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો. છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થતાથી પીડાતા દિગ્વિજયસિંહે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં મોત નીપજ્યું હતું.
દિગ્વિજયસિંહ ગોહિલ છેલ્લા ચારથી સવા ચાર વર્ષથી ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSO તરીકે ફરજ બજાવતા હતા. માનસિક અસ્વસ્થતાને કારણે તેઓ એક મહિના પહેલાં જ સિકલીવ પર હતા અને તાજેતરમાં જ ફરજ પર પાછા ફર્યા હતા. તેમણે ભાવનગરના ખાનગી ડૉક્ટર કેયુર પરમાર પાસે માનસિક રોગની દવા ચાલુ કરાવી હતી પરંતુ, મન અસ્વસ્થ રહેતાં કામમાં મન લાગતું ન હતું.
અંતે કંટાળી જઈ દિગ્વિજયસિંહે ગઈકાલે સાંજે ચાલુ ફરજ દરમિયાન ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કાર ઝેરી દવા ગટગટાવી લેતા તેઓને પ્રથમ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને શહેરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ દિગ્વિજયસિંહ ગોહિલનું મોત નીપજ્યું હતું.
દિગ્વિજયસિંહના પિતા જયદેવસિંહ ગોહિલ પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. પિતાના પગેરું પગલે પુત્ર પણ પોલીસમાં જોડાયા હતા. તેમને સંતાનમાં 3 વર્ષનો પુત્ર અને 1 વર્ષની પુત્રી છે. આપઘાતને કારણે બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ વિભાગમાં પણ આ ઘટનાથી ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.
આ અંગે DYSP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, ગઈકાલે તારીખ 21ના રોજ દિગ્વિજયસિંહે ભૂતેશ્વર ગામ નજીક ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર માટે સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમના પિતા જયદેવસિંહ ગોહીલનું નિવેદન લઈને જાણવા જોગ દાખલ કરવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું કે દિગ્વિજયસિંહ ડૉ. કેયુર પરમારની માનસિક રોગની દવા લેતા હતા અને સારવાર ચાલુ હતી. આજે તેમનું મોત થતાં એક્સિડેન્ટલ ડેથ (એ.ડી.) કેસ નોંધવાની કાર્યવાહી ચાલુ છે અને મામલતદારની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.


