- ભારે વરસાદને પગલે સંખ્યાબંધ મકાનો પાણીમાં ગરકાવ થયા
- તંત્રને રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલની કોઈ કામગીરી નહીં
- દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 15 ઈંચ જેટલો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 15 ઈંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે દ્વારકામાં 3 દિવસથી કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ છે અને ઠેરઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદને પગલે સંખ્યાબંધ મકાનો પાણીમાં ગરકાવ થયા
ત્યારે તંત્ર દ્વારા હજુ પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ભારે વરસાદને પગલે સંખ્યાબંધ મકાનો પાણીમાં ગરકાવ થયા છે અને લોકોની ઘરવખરી પાણીમાં પલળી જતા મોટુ નુકસાન થયુ છે. તંત્રને ઘણી રજૂઆતો કરવા છતાં પાણીના નિકાલની કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી, રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન
દ્વારકામાં ભારે વરસાદને પગલે ભાટિયા ભોગાત હાઈવે પર પાણી ભરાયા છે અને આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. જો કે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોએ પાણીના નિકાલ માટે જેસીબી વાહનોની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે અને જગતનો તાત મોટી ચિંતામાં મુકાયો છે.
9 લોકોનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા
વરસાદની ભારે તારાજી સર્જાતા આવડપરા વિસ્તાર જળમગ્ન બન્યો છે. દ્વારકામાં સતત વરસાદ પડતા દ્વારકામાં આવેલા આવળપરામાં રહેણાંક મકાનમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા દ્વારકાના પીઆઈ તેમજ નગરપાલિકાના તંત્ર દ્વારા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. દ્વારકા નગરપાલિકા તથા દ્વારકા પોલીસ દ્વારા આવળપરા વિસ્તારમાં પાણીમાં ફસાયેલાં 9 જેટલાં લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ રાખવામાં ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.


