જ્યાં થોડા દિવસ પહેલા વિનાશ થયો હતો, જ્યાં મૃતદેહો પડ્યા હતા, ત્યાં ધરતી ફરી હલી ગઈ છે. હા, મ્યાનમારમાં ફરી એકવાર ધરતી હલી ગઈ છે. મધ્ય મ્યાનમારમાં આજે ફરી ભૂકંપ આવ્યો છે. શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 10-59 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મ્યાનમારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગ (DMH) એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી હતી. મ્યાનમારમાં 28 માર્ચથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ મંડલે ક્ષેત્રના વુન્ડવિન શહેરથી લગભગ પાંચ માઇલ દક્ષિણપૂર્વમાં 10 કિમીની ઊંડાઈએ હતું. મ્યાનમાર હવામાન અને જળવિજ્ઞાન વિભાગ અનુસાર, મ્યાનમારમાં 2.8 થી 7.5 ની તીવ્રતા સુધીના 112 થી વધુ ભૂકંપ અનુભવાયા હતા. મ્યાનમાર રાજ્ય વહીવટી પરિષદની માહિતી ટીમે જણાવ્યું હતું કે મ્યાનમારમાં ભૂકંપને કારણે મૃત્યુઆંક 3649 ને વટાવી ગયો છે.
મ્યાનમારનું નવુ વર્ષ ઉજવાશે
દરમિયાન, રાજ્ય સંચાલિત ગ્લોબલ ન્યૂ લાઈટ ઓફ મ્યાનમારએ ગુરુવારે જણાવ્યું હતું કે 2025 મ્યાનમાર નવું વર્ષ આટ્ટા થિંગયાન ઉત્સવ સંગીત અને નૃત્ય વિના શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવશે. આ વર્ષે, થિંગયાન પ્રથમ વખત ઉજવવામાં આવશે, જ્યારે તેને સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) ના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યાંગોન સિટી ડેવલપમેન્ટ કમિટીના એન્જિનિયરિંગ વિભાગના જણાવ્યા અનુસાર, યાંગોન સિટી હોલની સામે બનાવવામાં આવી રહેલા વોટર ફેસ્ટિવલ પેવેલિયન અને થિંગયાન વોકનું બાંધકામ અટકાવી દેવામાં આવ્યું છે અને રદ કરવામાં આવ્યું છે, એમ અહેવાલમાં જણાવાયું છે.


