- મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જઈ શકાશે નહી
- 2.23 લાખ કર્મચારીઓએ બેલેટથી મતદાન કર્યું છે
- 928 કરોડની ગેરકાયદે વસ્તુઓ ગુજરાતમાંથી જપ્ત થઈ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય ચૂંટણી પંચ એક્શનમાં આવી ગયું છે. ત્યારે, ચૂંટણીની તૈયારીઓને લઈને આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી. પત્રકાર પરિષદમાં સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલે ચૂંટણી લક્ષી કામગીરીને લઈને માહિતી આપી હતી.
સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાન સારી રીતે યોજાય માટે ઝીંણવટભરી કામગીરી કરવામાં આવી રહી છે અને આવતીકાલે 5મી મેના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રન ફોર વોટનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો આવતીકાલે ગાંધીનગરમાં યોજાનાર રન ફોર વોટમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી ભાગ લેશે.
એ.બી.પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાનના દિવસે એટલે કે 7મી મેના રોજ હીટવેવની આગાહી કરવામાં આવી છે જેને લઈને પણ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ચૂંટણી પંચ દ્વારા પોલિંગ બૂથ ખાતે શેડ, કૂલર, પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇમરજન્સીના સંજોગોમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દવાઓ, ORSની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. વધુમાં સન સ્ટ્રોક માટે મેડિકલ ઓફિસરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
ચૂંટણી અધિકારી વધુમાં જણાવ્યું કે ચૂંટણી દરમિયાન મતદાન કરવા માટે મતદાર ચૂંટણી કારચ અને આધાર કાર્ડ સહિત અન્ય 12 પૂરાવા રજૂ કરી શકશે. વધુમાં, મતદાન મથકની અંદર મોબાઈલ જવા દેવામાં આવશે નહિ. મતદાર સ્લીપનો ઉપયોગ માત્ર અને માત્ર જાણકારી માટે ઉપયોગ થઈ શકશે મતદાન માટે તેનો ઉપયોગ થઈ શકશે નહી. વધુમાં કહેવામાં આવ્યું છે કે વિદેશનું ડેલિગેશન મતદાન પ્રક્રિયા નીહાળવા ભાગ લેશે.
વધુમાં ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓની જે મતદાન પ્રક્રિયા થઈ હતી તેમાં, 2 લાખ 23 હજાર કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું છે. વધુમાં, 928 કરોડની વસ્તુઓ ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવી છે. તો આવતીકાલે 5મી મીના રોજ સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ચૂંટણી પ્રચાર માટે બહારથી આવેલા લોકોએ ગુજરાત છોડી દેવું પડશે. તો, વધુમાં 756 ફ્લાઈંગ સ્ક્વોડ અને 1203 એસએસટી દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવામાં આવશે.
સંવેદનશીલ તથા અતિ સંવેદનશિલ મતદાન મથકો સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે કે સંવેદનશીલ મતદાન મથકો અંગેની વિગત જાહેર કરવામાં આવતી નથી.


