અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમનું માનવું છે કે ભારત અમેરિકન સામાન પરના ટેરિફ ઘટાડશે. જોકે, ટ્રમ્પે 2 એપ્રિલથી ભારત પર યુએસ ટેરિફ લાદવાની ધમકીનો પણ પુનરોચ્ચાર કર્યો છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે ભારત સાથે અમેરિકાના સંબંધો પર ચર્ચા કરી. ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીત વિશે પૂછવામાં આવતા, ટ્રમ્પે કહ્યું કે તેમના ભારત સાથે “ખૂબ સારા સંબંધો” છે. “પરંતુ ભારત સાથે મારી એકમાત્ર સમસ્યા એ છે કે તે વિશ્વના સૌથી વધુ ટેરિફ દેશોમાંનો એક છે.”
ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે ભારત ટેરિફ ઘટાડશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “મારું માનવું છે કે તેઓ કદાચ તે ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરશે. પરંતુ 2 એપ્રિલથી, અમે તેમની પાસેથી તે જ ટેરિફ વસૂલ કરીશું જે તેઓ અમારી પાસેથી વસૂલ કરે છે.” ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ-આર્થિક કોરિડોર વિશે પૂછવામાં આવતા, ટ્રમ્પે ખાસ કરીને ચીનનો ઉલ્લેખ કર્યો ન હતો. પરંતુ કહ્યું કે તે “દેશોનો એક અદ્ભુત સમૂહ છે જે વેપાર પર આપણને નુકસાન પહોંચાડતા અન્ય દેશોનો સામનો કરવા માટે એક સાથે આવી રહ્યો છે.”
‘ભારત અમેરિકા પર ભારે ડ્યુટી લાદે છે’
મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ટ્રમ્પે IMEC પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું, “આપણી પાસે વેપારમાં ભાગીદારોનો એક શક્તિશાળી જૂથ છે.” ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ભારત તેના ટેરિફમાં “નોંધપાત્ર ઘટાડો” કરવા સંમત થયું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ભારત અમેરિકા પર ભારે ડ્યુટી લાદે છે. જેના કારણે ત્યાં ઉત્પાદનો વેચવાનું મુશ્કેલ બને છે. જોકે, વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે 10 માર્ચે નવી દિલ્હીમાં એક સંસદીય સમિતિને જણાવ્યું હતું કે વાટાઘાટો હજુ પણ ચાલુ છે અને ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ટેરિફ પર હજુ સુધી કોઈ કરાર થયો નથી.


