- માંગમાં ઘટના કારણે કોરોના વિરોધી રસીના ઉત્પાદનમાં ઘટાડો કરાયો
- મેલેરિયા વેક્સિનની 10 કરોડ રસી તૈયાર કરવાની ક્ષમતા
- તેના માટે કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કર્યો છે
વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ સોમવારે જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન બાદ કંપની મેલેરિયા અને ડન્ગ્યૂની વેક્સિન બનાવવા પર ભાર આપશે. તેના માટે કંપનીએ પોતાની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં વધારો કર્યો છે. સીરમ ઈન્સ્ટિટયૂટ કોરોનાની કોવિશીલ્ડ વેક્સિન બનાવે છે. માંગમાં કમીના કારણે કોરોના વિરોધી રસીના ઉત્પાદનમાં ઘટાડો કરાયો છે. કંપની હવે કોરોના વિરોધી વેક્સિન બનાવવાની ક્ષમતાનો ઉપયોગ મેલેરિયાની વેક્સિન બનાવવામાં કરશે. પૂનાવાલાએ જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ મોટો રોગચાળો આવશે તો સમગ્ર ભારતનું વેક્સિનેશન કરવામાં ત્રણથી ચાર મહિનાનો સમયગાળો જ લાગશે. તેમણે જણાવ્યું હતું કે સીરમ પાસે મેલેરિયા વેક્સિનની 10 કરોડ રસી તૈયાર કરવાની ક્ષમતા છે. માંગમાં વધારો થશે તેમ તેમાં વધારો કરવામાં આવશે. નોંધનીય છે કે દર વર્ષે લાખો લોકો મેલેરિયા અને ડેન્ગ્યૂની લપેટમાં આવે છે.
કંપની વેક્સિનની નિકાસ પર વધુ ભાર આપશે : સીરમ
પૂનાવાલાએ જણાવ્યું હતું કે મેલેરિયા વેક્સિનને લઈને ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાના સોદાના બદલે વેક્સિનની નિકાસ પર ભાર મૂકવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે હાલમાં ડેન્ગ્યૂની વેક્સિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પૂનાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે મોટો રોગચાળો ફાટી નીકળે તેવા સંજોગોમાં કંપની અન્ય દેશો અને સરકારો સાથે કંપની પાસેની ઉત્પાદન સુવિધાનો ઉપયોગ કરવાના સોદા માટે વાટાઘાટો કરી રહી છે. જો કે તેમણે આ ચર્ચા અંગે વધારે માહિતી ઉપલબ્ધ કરાવી ન હતી.
સીરમ દર વર્ષે મેલેરિયા વેક્સિનના 10 કરોડ ડોઝ બનાવી શકે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ગત વર્ષે મેલેરિયાની બીજી વેક્સિનને મંજૂરી આપી દીધી હતી. આ વેક્સિન બજારમાં ઉપલબ્ધ થશે ત્યારે તેના એક ડોઝની કિંમત રૂ. 166થી રૂ. 332ની વચ્ચે રહેવાની સંભાવના દર્શાવાઇ હતી. અહેવાલો અનુસાર આ વેક્સિનને ઓક્સફર્ડ યુનિવર્સિટીએ બનાવી છે અને તેણે વિશ્વમાં સૌથી મોટા વેક્સિન નિર્માતા સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાની સાથે દર વર્ષે 10 કરોડ ડોઝ બનાવવાનો કરાર કર્યો હતો. જો કોઇ વ્યક્તિને મેલેરિયા હોય તો તેણે આ વેક્સિનના ચાર ડોઝ લેવાના રહેશે.


